જામનગર જિલ્લાના પશુપાલકો માટે પશુપાલન ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયુ
આગામી ૨૬ એપ્રિલ સુધી પશુપાલકો પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે
જામનગર જિલ્લાના પશુપાલકોના આર્થિક ઉત્થાન અને પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે સરકાર દ્વારા પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા પશુપાલકો માટે આઈ-ખેડૂત (i-khedut) પોર્ટલ તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ છે. પશુપાલન ખાતાની આ યોજનાઓ હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે, જે અંતર્ગત પશુપાલકોએ નિયત સમયમર્યાદામાં પોર્ટલ પર પોતાની અરજી દાખલ કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ પશુપાલકોએ અરજીની પ્રિન્ટ મેળવીને યોજનાને અનુરૂપ જરૂરી સાધનિક પુરાવાઓ અને દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. જો કોઈ પશુપાલક ઓનલાઈન દસ્તાવેજ અપલોડ ન કરી શકે, તો તેમણે અરજીમાં દર્શાવવામાં આવેલ સંબંધિત નોડલ એજન્સી, કચેરી અથવા નજીકની પશુસારવાર સંસ્થા ખાતે અરજીની હાર્ડકોપી જમા કરાવવાની રહેશે. આથી, જિલ્લાના તમામ પશુપાલક મિત્રોને પશુપાલન ખાતાની આ કલ્યાણકારી યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે સમયસર ઓનલાઈન અરજી કરવા નમ્ર અપીલ કરવામાં આવે છે. આ બાબતે વધુ માહિતી કે માર્ગદર્શનની જરૂર હોય તો પશુપાલકોએ પોતાના નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધવા જણાવાયું છે.