BREAKING NEWS

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો

  • July 04, 2026 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો

જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

• ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, ૭૬૫ કે.વી. લાઇનમાં ૬૨૫ ચોમી ના બદલે ૭૨૯ ચોમી નુ વળતર ચુકવાશે

• જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા 'માર્કેટ રેટ કમિટી' (MRC)ની રચના થશે: ખેડૂત પ્રતિનિધિઓને મળશે સ્થાન

• અગાઉ ત્રણ તબક્કામાં ચુકવણા ના બદલે એકી સાથે શરૂઆતમાં જ ૧૦૦ % ચુકવણું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક ભાઇ વેકરીયાએ ખેડૂતો સાથે ચર્ચા, વિચાર વિમર્શ અને પરામર્શ કરીને તેમજ ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે.

ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર (૨૦૦%) લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. તે પરત્વે વિવિધ ખેડુત સંગઠનો તરફથી મળતી રજુઆતો અન્વયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મોટો સુધારો કરીને, જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવ (Market Rate)ના બમણા ભાવ ચૂકવવાનો ખેડૂત હીત લક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ (પાયા) વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું. હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે; ૭૬૫ કે.વી. લાઇનમાં અગાઉ ૬૨૫ ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને ૭૨૯ ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે.

અગાઉ જમીનમાલિકોને વળતર અંગે, ફાઉન્ડેશન તબક્કે ૪૦%, ઇરેક્શન વખતે ૪૦% તથા વાયર લગાડ્યા બાદ ૨૦% રકમ મુજબની ચુકવણી થતી હતી, તેના બદલે જમીનમાલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનું નિર્ધારિત થયેલ છે.

ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એમ.આર.સી. (Market Rate Committee)ની રચના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડુતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટર, જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ પણ હશે.

બીજી તરફ, વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમ.આર.સી દ્વારા નિર્ધારીત થયેલ બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના ૩૦%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના ૪૫% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના ૬૦% મુજબ વળતર આપવામાં આવશે.

રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે, જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં (ચાલુ) હોય, તેવા તમામ ખેડૂતોને આ નીતિ નો લાભ મળવાપાત્ર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application