ભાણવડ: મેવાસા ગામના કૂવામાં ૩ દિવસથી મોત સામે ઝઝૂમતા શિયાળનું દિલધડક રેસ્ક્યુ
ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી એક શિયાળ પડી ગયું હોવાની ઘટના સામે આવી હતી.
કૂવામાં પડેલા આ શિયાળને બહાર કાઢવા માટે વાડી માલિકે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ તેમાં સફળતા ન મળતાં આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.
ઘટનાની ગંભીરતા સમજીને એનિમલ લવર્સની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, ટીમના સભ્યોએ પોતાના જાનના જોખમે કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ શિયાળને હેમખેમ બહાર કાઢ્યું હતું.
ત્રણ દિવસની ભૂખ-પ્યાસ અને મરણતોલ પરિસ્થિતિમાંથી મુક્ત થતાં જ શિયાળને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યું હતું. આ કપરા રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવામાં સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડ જોડાયા હતા. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ બિરદાવી હતી.