દ્વારકામાં તબીબી દંપતી સામે નોંધવામાં આવેલ એફઆઇઆર સામે ગુજરાત માનવાધિકાર સખત: ગુજરાત હાઇકોર્ટની નોટીસ
વધુ સુનાવણી તા. ૧૭ જુલાઈએ યોજાશે: એફ.આઈ.આર. ની થશે ન્યાયીક સમીક્ષા
જામનગરમાં તબીબી દંપતી ડો.વિવેક વી.શુક્લ અને ડો. શ્રીલેખા વી. શુક્લ તેમની ખાસ જરૂરત ધરાવતી ૧૧ વર્ષની દિકરી સાથે દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે તા. ૨૦/૦૪/૨૦૨૬ ના દર્શન કરવા ગયા હતા. દર્શન પછી મંદિરથી નીકળી જવા જેવી સામાન્ય બાબતે પ્રાઇવેટ સિક્યોરીટી ગાર્ડ સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ મંદિરના વહીવટદાર અને ડે. કલેક્ટર હિમાંશુભાઈ ચૌહાણ પણ ત્યાં હાજર હતા. તેમને મામલો થાળે પાડવાની જગ્યાએ પોલીસને તબીબી દંપતી વિરૂદ્ધ પગલાં લેવાની સુચના આપેલ હતી.
આ સુચના અન્વયે દ્વારકા પી.આઇ. વિપુલ કે. કોઠીયાએ તબીબી દંપતી અને તેની નિર્દોષ દિવ્યાંગ બાળકીને મંદિર ખાતે પ્રથમ ડીટેઇન કરી અને તે પછી દ્વારકા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસ સ્ટેશને પરિવાર પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવેલ, મારકૂટ કરવામાં આવેલ, તેમજ પીવાનું પાણી પણ ન આપીને અનેક રીતે અમાનવીય વર્તન કરવામાં આવેલ હતું, આટલું કરીને પુરું ન થતાં વહીવટદારના ઇશારે દંપતી વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવેલ હતી.
આ બાબતે દ્વારકા કોર્ટમાં તબીબી દંપતી દ્વારા ફરિયાદ થતાં, કોર્ટ પોતાના હુકમમાં સમગ્ર ઘટના અમાનવીય વર્ણવી કોર્ટે તપાસના હુકમ કરેલ હતો. આ પછી માનવાધિકાર આયોગે પણ તા. ૧૧.૬.૨૦૨૬ ના સુનાવણી કરતા પ્રકરણની વિગત ધ્યાને લેતા ટીકા કરેલ હતી અને જણાવેલ હતું કે, આ પ્રકારનો આ ચોથો બનાવ છે, અહી જે અરજદાર છે તે બંને ડોક્ટર છે અને તેઓના હોદ્દાનો લિહાજ કર્યા વગર વહીવટદારે અરજદાર વિરૂધ્ધ જે ફરિયાદ નોંધાવી છે, તે બિલકુલ યોગ્ય નથી.
આ સુનવણી દરમિયાન કલેકટર અને પોલીસે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા મૌખિક બાહેદારી આપેલ હતી. અંતે આયોગે કલેકટર અને પોલીસને સમગ્ર મામલે તપાસ કરી અહેવાલ રજૂ કરવા જણાવેલ અને સ્પષ્ટ શબ્દોમાં અરજદારને એક વાગ્યાથી લઇ નવ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવા બદલ ખુલાસો પણ કરવા જણાવેલ છે અને વધુ સુનાવણી તા. ૬.૭.૨૦૨૬ ના રોજ રાખેલ છે.
આ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવેલ છે અને જેની સુનાવણી તા.૧૫/૦૬/૨૦૨૬ ના થયેલ હતી. આ મામલે વકિલ સ્વપ્નેશ્ર્વર ગૌતમની રજૂઆત ધ્યાને રાખીને નોટીસ કાઢવામાં આવેલ છે અને સ્પષ્ટ આદેશ કરવામાં આવેલ છે કે આ મામલે ગુજરાત હાઇકોર્ટની મંજુરી વગર ચાર્જશીટ કરવી નહિ તેમજ વધુ સુનાવણી તા. ૧૭.૭.૨૦૨૬ ના રાખેલ છે, આથી તબીબી દંપતી ઉપર પોલીસ દ્વારા નોંધવામાં આવેલ એફઆઈઆરની હવે ન્યાયિક સમીક્ષા થશે.