ગુજરાત : 3 દાયકામાં રોકડ અને બાગાયતી પાકો કઠોળ, અનાજનું સ્થાન લેશે, કૃષિ ક્ષેત્રમાં આવ્યા મોટા બદલાવ

  • February 12, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નર્મદાના પાણીની ઉપલબ્ધતા, બજારના વલણો, લઘુત્તમ ટેકાના ભાવ અને એગ્રીકલ્ચરલ ઇનોવેશનના કારણે કૃષિ ક્ષેત્રમાં આવ્યો નવો બદલાવ


છેલ્લાં કેટલાંક વર્ષોથી ચોમાસામાં પડતા વરસાદની પૅટર્નમાં જોવા મળેલી અનિયમિતતા ગુજરાતના ખેડૂતોને નુકસાનીમાં ધકેલી રહી છે. જોકે, કૃષિ વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોના મતે જળવાયુ પરિવર્તનની અસરને કારણે હવામાન નોંધાઈ રહેલા ફેરફારને લીધે થતાં નુકસાનથી બચવા ખેડૂતોએ ખેતીની પદ્ધતિ અને પાકની વાવણીમાં બદલાવ લાવવાની જરૂર પડશે.


અમરેલી જિલ્લાના ધારીના ખેડૂત અરવિંદ દવે ૧૯૯૦ના દાયકામાં તેમના ખેતરમાં મુખ્યત્વે ઘઉં જેવા અનાજ અને એરંડા જેવા પાકની વાવણી કરતા હતા. પરંતુ હવે તેઓ મગફળી અને કપાસ તરફ વળ્યા છે. અગાઉ ખેતી વરસાદ આધારિત હતી અને ભૂગર્ભજળ પર વધુ નિર્ભર હતી. પરંતુ વરસાદની પેટર્નમાં ફેરફાર અને ચેકડેમ બંધાવવાથી તેઓને માર્ચ સુધી પાણી મળે છે અને તે વર્ષમાં બે પાક માટે પૂરતું છે.


ગુજરાતમાં ત્રણ દાયકાના પાક પેટર્નના ફેરફારને આવરી લેતા એક મોટા અભ્યાસમાં દવે એકલા નથી. અભ્યાસ દર્શાવે છે કે વાવણી વિસ્તાર (હેક્ટર દીઠ માપણી)ના સંદર્ભમાં અનાજનો હિસ્સો ૪૧% અને તેલીબિયાંની વાવણી ૧૭% ઘટી ગઈ છે. બંનેની સરખામણીમાં કઠોળમાં ૯% ઓછો ફેરફાર જોવા મળે છે. આ જ સમયગાળા દરમિયાન જે બે કેટેગરીમાં નોંધપાત્ર વધારો થયો હતો તેમાં ૭૮%ના દરે વાણિજ્યિક અથવા રોકડિયા પાકો અને ૧૨૨%ના દરે બાગાયતી પાકોનો સમાવેશ થાય છે.


તાજેતરમાં એસડી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, સરદારકૃષિનગર (અગાઉ દાંતીવાડા)ના પ્રકાશિત થયેલો અભ્યાસ કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર કે.પી. ઠાકર, આસીસ્ટન્ટ પ્રોફેસર શિવરાજ સિંહ અને સૌમ્યા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ૧૯૯૨-૮૩ થી ૨૦૧૭-૧૮ દરમિયાન રાજ્ય સરકારના કૃષિ નિર્દેશાલયમાંથી એકત્ર કરાયેલ જિલ્લા સ્તરના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.



પ્રોફેસર ઠાકરે જણાવ્યું કે રાજ્યમાં એકંદરે બાગાયતમાં વધારો જોવા મળે છે, અને વિશ્લેષણ માટેનું એક માપદંડ ૨૦૦૫-૦૬ ના સમયગાળા સાથે સરખામણી કરવામાં આવ્યું હતું જ્યારે રાષ્ટ્રીય બાગાયત મિશન શરૂ થયું હતું. તેમણે વધુમાં કહ્યું કે, "પાણીની ઉપલબ્ધતા, બજારના વલણો, લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) અને એગ્રીકલ્ચરલ ઇનોવેશન સહિત પાકની પેટર્નમાં ફેરફાર અને પ્રદેશવાર પસંદગીના અનેક કારણો છે. નર્મદાના પાણીની ઉપલબ્ધતાને પણ એક મહત્વપૂર્ણ પરિબળ કહી શકાય. જો આપણે જોઈએ તો ૨૦૧૮ પછીના વલણમાં, ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા પ્રદેશોમાં વાવણી અને પાક પેટર્ન હેઠળના વિસ્તારોમાં વધુ ફેરફારો જોઈ શકીએ છીએ."


રાજ્યના કૃષિ વિભાગના ભૂતપૂર્વ નિયામક, બી.આર. શાહે જણાવ્યું હતું કે રોકડિયા પાકો અને બાગાયતી પાકો મોટાભાગે પાણીયુક્ત હોય છે, અને ઘણા વિસ્તારોમાં પાણીની અછતણા કારણે ખેડૂતોના અન્ય પાકો ન લેવાનું એક કારણ હતું. અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રદેશોએ ૧૯૮૨ અને ૨૦૧૮ ની વચ્ચે વ્યાપારી અથવા રોકડ પાકોમાં વૈવિધ્યતા દર્શાવી હતી, જ્યારે બાગાયતી વાવેતર વિસ્તારો માટે સૌથી વધુ ફાયદો ઉઠાવનારા ઉત્તર અને દક્ષિણ ગુજરાત પ્રદેશો હતા.


બનાસકાંઠાના એક ખેડૂત રમેશ પટેલે જણાવ્યું હતું કે, "ખેતી અનિયમિત અને વરસાદ આધારિત હોવાથી પશુપાલનનો વિકાસ થયો છે. પાછલા દાયકામાં, આપણે પાકમાં મોટા ફેરફારો જોયા છે, જેમ કે નવી ટેક્નોલોજી અને ટપક સિંચાઈનો ઉપયોગ કરીને ખેતી કરવાની રીત અને સૌથી અગત્યનું દાડમથી લઈને ખજૂર સુધીની દરેક વસ્તુ માટે લોકો પ્રયોગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application