જામનગરમાં સરકારી શાળાના વિધાર્થીઓ શિષ્યવૃતિથી વંચિતના આરે, કારણદર્શક નોટીસ ફટકારાઇ
અહો આશ્ર્ચર્યમ: કેટમાં ઉર્તીણ છાત્રોની વિગતો અપલોડ ન કરનાર આચાર્ય,બીઆરસી-સીઆરસીનો ખુલાસો મંગાયો
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા વારંવાર આપવામાં આવેલી સૂચનાનો સરેઆમ ઉલાળિયો કરાયો.
સરકારી તંત્રમાં લેખિતના બદલે સોશ્યિલ મીડીયામાં જનરલ સૂચનાઓના દૌરથી અનેક સવાલ
કોઇપણ સરકારી વિભાગમાં સૂચનાઓ નિયમોનુસાર લેખિતમાં હોદો, જાવક નંબર નોંધી નીચે પત્ર કરનારની સહી, હોદો દર્શાવેલ હોવા જોઇએે. પણ હવે સરકારના મોટા ભાગના વિભાગમાં સોશ્યિલ મીડીયાના માઘ્યમ પર ચાલતા થયા છે. કેટની ચોઇસ ફીલીંગ માટે તંત્રએ શાળાઓને પત્ર દ્વારા શાળાદીઠ લેખિતમાં જાણ કરી નથી અને તાલુકા, જિલ્લાની સમગ્ર યાદીઓ વોટસએપ ગ્રુપમાં નાખી જનરલ સૂચના આપી સંતોષ માની લેવામાં આવતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. તદઉપરાંત જે શાળાએ ચોઇસ ફીલીંગ કરવાની સૂચના આપતો અને શાળાના વિધાર્થીઓ કેટ પરીક્ષાના મેરીટમાં આવ્યાની શાળાને જાણ કરતો પત્ર પાઠવવામાં આવ્યો છે કે કેમ તે અંગ પણ સવાલ ઉઠ્યા છે. નવાઇની વાત તો એ છે કે, સૂચના સોશ્યિલ મીડીયાના માઘ્યમથી અને કારણદર્શક નોટીસ નિયમોનુસાર પત્રથી આપવામાં આવતા બેવડી નીતિ ઉજાગર થઇ છે.
જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાના ૧૨૫થી વધુ વિધાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત રહે તે સ્થિતિ સર્જાઇ છે. કારણ કે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉર્તીણ અને મેરીટમાં આવનાર છાત્રોની વિગતો અપલોડ કરવામાં આવી નથી. આથી જોડીયા તાલુકા સિવાય તમામ તાલુકાની સરકારી શાળાઓ કે જેઓએ આ એન્ટ્રી કરી નથી તેના આચાર્ય, સીઆરસી અને બીઆરસી કો-ઓર્ડીનેટરોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જેનો લેખીત ખુલાસો ૩ દીવસમાં કરવા તાકીદ કરાઇ છે. નવાઇની વાત તો એ છે કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા વારંવાર આપવામાં આવેલી સૂચનાનો સરેઆમ ઉલાળિયો કરાયો છે. આથી આ સ્થિતિ સર્જાઇ છે.
જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જોડીયા સિવાય અન્ય તાલુકાના સંબધિત સરકારી શાળાના આચાર્ય, સીઆરસી અને બીઆરસી કો-ઓર્ડીનેટરોને તા.૪ એપ્રિલના કારણદર્શક નોટીસ ફટકારી છે. જેમાં જણાવ્યાનુસાર કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(કેટ) અંતર્ગત ઉર્તીણ થયેલા અને મેરીટમાં આવેલા ધો.૭,૮ અને ૯ માં અભ્યાસ કરતા બાળકોની શાળા પ્રવેશ પત્ર, આધાર કાર્ડ અને બેંક પાસબુક અપલોડ કરવાની થાય છે. પરંતુ લગત પ્રાથમિક શાળાઓના બાળકોની વિગત હજુ પણ ઓનલાઇન ભરવાની બાકી હોય જે શાળાઓમાં કવેરી આવી હોય તે કવેરી પણ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવેલ ન હોય તથા રજીસ્ટ્રેશનની કામગીરી ખૂબજ નબળી રહી છે. આ બાબતે વારંવાર સૂચના આપવા છતાં આ કામગીરી પૂર્ણ થઇ નથી. આથી પાત્રતા ધરાવતા વિધાર્થીઓ શિષ્યવૃતિ યોજનાથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઇ છે.
આટલું જ નહીં આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હોવા છતાં આચાર્ય દ્રારા કરવામાં આવી નથી. વધુમાં બીઆરસી અને સીઆરસી કક્ષાએ પણ આ અંગે જરી ફોલોઅપ લઇ કાર્યવાહી પૂર્ણ થાય તે બાબતની સૂચના આપવા છતાં યોગ્ય કામગીરી કરવામાં ન આવી હોવાનું ફલીત થાય છે. આથી આ કામગીરી શા માટે સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકી નથી તેનો લેખીત ખુલાસો ૩ દિવસમાં કચેરીને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત મોકલવા જણાવાયું છે. આટલું જ નહીં જો ખુલાસો કરવામાં નહીં આવે તો આપને કશું કહેવું નથી તેમ માની આગળની આનુસંગીકક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે. આમ સંબધિત અધિકારીઓ પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની સૂચનાઓએ ઘોળીને પી જતાં પાત્રતા ધરાવતા વિધાર્થીઓ પણ શિષ્યવૃતિથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાતા શિક્ષણજગતમાં ચકચાર જાગી છે.