દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધો.૧૨ બોર્ડની પરિક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ
સામાન્ય પ્રવાહનું ૯૫.૨૭ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૮૬.૮૮ ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાનું સામાન્ય પ્રવાહ પરિણામ ૯૫.૨૭ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૬.૮૮ ટકા આવ્યું છે. ગત વર્ષે જિલ્લાનું સામાન્ય પ્રવાહ પરિણામ ૯૫.૬૯ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૯૦.૮૮ ટકા હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહના કુલ ૩,૪૫૭ માંથી ૩,૪૪૩ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હતી. જેમાં ૫૮ વિદ્યાર્થીઓ એ-૧, ૪૩૦ વિદ્યાર્થીઓ એ-૨, ૬૭૪ વિદ્યાર્થીઓ બી-૧, ૮૧૫ વિદ્યાર્થીઓ બી-૨, ૭૪૦ વિદ્યાર્થીઓ સી-૧, ૪૬૭ વિદ્યાર્થીઓ સી-૨, ૯૬ વિદ્યાર્થીઓ ડી ગ્રેડ મેળવી, કુલ ૩૨૮૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
આ સાથે જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના કુલ ૩૨૨ માંથી ૩૨૦ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હતી. જેમાં ૨ વિદ્યાર્થીઓ એ-૧, ૨૦ વિદ્યાર્થીઓ એ-૨, ૭૭ વિદ્યાર્થીઓ બી-૧, ૭૭ વિદ્યાર્થીઓ બી-૨, ૬૩ વિદ્યાર્થીઓ સી-૧, ૩૬ વિદ્યાર્થીઓ સી-૨, ૩ વિદ્યાર્થીઓ ડી ગ્રેડ મળી, કુલ ૨૭૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૯૦.૮૮ ટકા આવ્યું હતું.
સામાન્ય પ્રવાહમાં જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે મીઠાપુર કેન્દ્ર ઉપર ૧૫૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૩૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં કેન્દ્રનું પરિણામ ૮૮.૬૬ ટકા, ખંભાળિયા કેન્દ્રમાં ૧૩૩૪ વિદ્યાર્થીઓમાંથી ૧૨૯૨ પાસ થતા પરિણામ ૯૬.૮૫ ટકા, દ્વારકા કેન્દ્રમાં ૩૩૦ વિદ્યાર્થીઓમાંથી ૨૯૭ પાસ થતા પરિણામ ૯૦ ટકા, ભાટિયા કેન્દ્રમાં ૬૫૮ વિદ્યાર્થીઓમાંથી ૬૩૪ પાસ થતા પરિણામ ૯૬.૩૫ ટકા, ભાણવડ કેન્દ્રમાં ૫૪૮ વિદ્યાર્થીઓમાંથી ૫૩૩ પાસ થતા પરિણામ ૯૭.૨૬ ટકા, કલ્યાણપુર કેન્દ્રમાં ૪૪૧ વિદ્યાર્થીઓમાંથી ૪૦૫ પાસ થતા ૯૧.૮૪ ટકા પરિણામ આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં મીઠાપુર કેન્દ્ર પર ૬૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૫૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં કેન્દ્રનું પરિણામ ૮૫.૪૮ ટકા અને ખંભાળિયા કેન્દ્રમાં ૨૫૮ વિદ્યાર્થીઓમાંથી ૨૨૫ પાસ થતા ૮૭.૨૧ ટકા પરિણામ આવ્યું છે.