જામનગર: કનસુમરા પાટિયા પાસે બાઇક ચાલકને કચડી નાખનાર ટેન્કર ચાલક સામે ગુન્હો
પાંચ દિવસ પુર્વે સર્જાયેલા અકસ્માતમાં યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક
જામનગર નજીક કનસુમરા પાટીયા રોડ પર આશરે પાંચ દિવસ પુર્વે ટેન્કરની અડફેટે બાઈકચાલકનું મોત નીપજતા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરની પાર્ક કોલોની અંકુર એપાર્ટમેન્ટ ખાતે રહેતા ફરિયાદી અમિત જયસુખલાલ મહેતાના સાળા મયુર બીપીનચંદ્ર મકીમ (ઉ.વ. ૪૮) પોતાની ડિસ્કવર મોટરસાઇકલ રજી. નં.જી.જે.૧૦એ.ડી.-૫૭૨૩ લઈને તા. ૯ના રોજ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેન્કર રજી. નં. જી.જે. ૧૦ ટી.વી.-૬૪૬૫ના ચાલકે પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે વાહન હંકારી તેમની બાઈકને સાઇડમાંથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં મયુર મકીમ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સ્થાનિક લોકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પંચ-બી પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી), ૨૮૧ તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.