ખંભાળિયા : કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતિ ખંડિત
કલ્યાણપુર નજીક પુરપાટ જતી એક મોટરકારની ઠોકરે બાઈક પર જઈ રહેલા કાનપર શેરડી ગામના દંપતી-પુત્ર સાથે થયેલા અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પિતા-પુત્રને ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે રહેતા વજશીભાઈ અરજણભાઈ ચાવડા નામના ૪૧ વર્ષના યુવાન મંગળવારે રાત્રિના આશરે પોણા દસ વાગ્યાના સમયે તેમના ધર્મપત્ની રંજનબેન (ઉ.વ. ૩૬) અને ૬ વર્ષના પુત્ર જયને સાથે લઈને નંદાણા ગામેથી એક લગ્ન પ્રસંગ પૂર્ણ થઈ કરીને કાનપર શેરડી ગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે કલ્યાણપુરથી આશરે ૩૦ કિલોમીટર દૂર હરીયાવડ (જુવાનપુર) ગામની સીમ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૦૫ સી.એમ. ૧૮૨૨ નંબરના એક અલ્ટો મોટરકારના ચાલકે વજશીભાઈના મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી. જેના કારણે બાઇક પર જઈ રહેલા દંપતિ, પુત્ર ફંગોળાઈ ગયા હતા. આ બનાવ બનતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. જેથી અલ્ટો કારનો ચાલક પોતાની કાર મૂકીને નાસી છૂટ્યો હતો.
આ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ૧૦૮ દ્વારા ત્રણેય વ્યક્તિઓને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા રંજનબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બાઈક ચાલક વજશીભાઈ ચાવડાને વધુ સારવાર અર્થે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સંદર્ભે ખંભાળિયા કલ્યાણપુર પોલીસે વજશીભાઈ અરજણભાઈ ચાવડાની ફરિયાદ પરથી અલ્ટો કારના મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.