તાજમહેલમાં યોજાતા ઉર્સ પર્વ પર વિવાદ, મામલો પહોંચ્યો કોર્ટમાં, જાણો શું છે કારણ

  • February 04, 2024 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજમહેલમાં સમ્રાટ શાહજહાંના 369માં ઉર્સની ઉજવણીને લઈને વિવાદ ચાલુ છે. અખિલ ભારત હિન્દુ મહાસભા એ તાજમહેલમાં 'ઉર્સ'ના આયોજન પર પ્રતિબંધ મૂકવા માટે આગ્રા કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકાર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ની પરવાનગી વિના તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


મુગલ બાદશાહ શાહજહાંની પુણ્યતિથિ પર ઉર્સનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન 369મો ત્રણ દિવસીય ઉર્સ યોજાવા જઈ રહ્યો છે. ઉર્સના અવસર પર શાહજહાં અને મુમતાઝની અસલી કબરનો રસ્તો ખોલવામાં આવે છે. પરંતુ અખિલ ભારત હિંદુ મહાસભાએ કોર્ટને અપીલ કરી છે કે ઉર્સના અવસર પર લોકોને તાજમહેલમાં મફત પ્રવેશ આપવાથી રોકવામાં આવે. અરજદારે કહ્યું કે ઐતિહાસિક વારસામાં ધાર્મિક કાર્ય ન થવું જોઈએ.



દર વર્ષે મુઘલ સામ્રાજ્યના પાંચમા બાદશાહ શાહજહાંની પુણ્યતિથિ પર તાજમહેલ ખાતે ત્રણ દિવસીય ઉર્સ કાર્યક્રમ યોજાય છે. એવું કહેવાય છે કે શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલની યાદમાં યમુના નદીના કિનારે તાજમહેલ બનાવ્યો હતો. 1631માં મુમતાઝનું અવસાન થયું, ત્યારપછી 1632માં સફેદ આરસપહાણની સુંદર સમાધિ બનાવવાનું કામ શરૂ થયું. જેને પૂર્ણ થતાં લગભગ 20 વર્ષ લાગ્યાં. 1666માં શાહજહાંના મૃત્યુ બાદ તેને પણ મુમતાઝની કબર પાસે જ દફનાવવામાં આવ્યા હતા.



તાજમહેલમાં, શાહજહાં અને મુમતાઝ મહેલ બંનેની કબરો મુખ્ય સમાધિના ભોંયરામાં આવેલી છે. સામાન્ય લોકોને આખા વર્ષ દરમિયાન આ કબરોની મુલાકાત લેવાની મંજૂરી નથી. પરંતુ ઉર્સના અવસર પર શાહજહાં અને મુમતાઝની કબરો દરેક માટે ખોલવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રવાસીઓને વાસ્તવિક કબરો જોવાનો મોકો મળે છે. ગુસ્લ વિધિ પછી આ પ્રસંગે ફાતિહા, મિલાદ-ઉન-નબી અને મુશાયરાનું આયોજન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application