જામનગરમાં અકસ્માતના બનાવમાં રૂ. ૪૫ લાખનો કલેઈમ મંજુર
જામનગરના આસામી કિરણભાઈ વાલજીભાઈ કડ દ્વારા તેમની માલિકીના ટ્રક નં. જીજે ૩૭ ૮૨૫૩ નો સને ૨૦૨૫ - ૨૬ ની સાલ માટે વીમો રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપની પાસેથી મેળવવામાં આવેલ. તે વખતે વીમા કંપની દ્વારા ટ્રકની આઈ. ડી. વિ. રૂ. ૪૫,૦૦,૦૦૦ જણાવવામાં આવેલ અને તેના ઉપર રૂ. ૬૭,૯૪૩ પ્રીમીયમ વસુલ લેવામાં આવેલ. ત્યારબાદ ટ્રક પલસાણ તાલુકાના કરણ ગામ પાસેથી પસાર થતા કેબીન ફ્યુઝ્માં અચાનક આગ લાગી જતા ડ્રાઈવર રફીકે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરેલ. જે બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવેલ. પરંતુ, આગ આખા ટ્રકમાં અને ટ્રકમાં રહેલા પ્લાસ્ટીકના દાણામાં ફેલાઈ ગયેલ. જેથી સંપૂર્ણ ટ્રક અને દાણાનો નાશ થયેલ. જે અંગે પલસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા એફ. એસ. એલ. ને જાણ કરી આગ ક્યાં કારણસર લાગેલ તેના સેમ્પલ લેવા બોલાવવામાં આવેલ. ટ્રકનો વીમો હોય ફરિયાદી કિરણભાઈ દ્વારા રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને જાણ કરેલ અને ટ્રકમાં ટોટલ લોસ હોય તેથી રૂ. ૪૫,૦૦,૦૦૦ નો કલેઈમ નોંધાવવામાં આવેલ.
જે બાદ વીમા કંપની દ્વારા સર્વેયર તથા ઈન્વેસ્ટીગેટરની નિમણુંક કરવામાં આવેલ અને ફરિયાદીનો કલેઈમ ટ્રકની કેબીનમાં એક્સ્ટ્રા પંખો ફીટ કરવામાં આવેલ હતો તેવું જણાવી કલેઈમ રદ કરવામાં આવેલ. જે બાદ ફરિયાદી દ્વારા ગ્રાહક સુરક્ષા કમીશન જામનગર ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ જે ફરિયાદ ચાલતા ફરિયાદીના વકીલ દ્વારા ધારદાર પુરાવા રજુ કરી દલીલ કરવામાં આવેલ અને જે કારણસર કલેઈમ રદ કરવામાં આવેલ તેવો પંખો ક્યાય હતો નહી તેવું એફ. એસ. એલ. રીપોર્ટ, સર્વેયર રીપોર્ટમાં પણ ક્યાય નથી તેવું જણાવી ફરિયાદ મજુર કરવા દલીલ કરવામાં આવેલ. જે બાદ કમીશનના અધ્યક્ષ પી. સી. રાવલ તથા મેમ્બર જયશ્રીબેન મકવાણા દ્વારા ફરિયાદ મુજબ રૂ. ૪૫,૦૦,૦૦૦ ફરિયાદ દાખલ થયા તારીખથી વાર્ષિક ૬ % વ્યાજ સાથે મંજુર કરવામાં આવેલ તથા ખર્ચના રૂ. પ,૦૦૦ ચુકવી આપવા ઠરાવવામાં આવેલ. સામાવાળા ઉપરોક્ત રકમ બે માસમાં ન ચુકવે તો વ્યાજ ૬% ના બદલે ૯ % ચૂકવવાનો પણ હુકમ કરેલ. ફરીયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.