જામનગરની બાળ નૃત્યાંગના આરુષી દવેએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ગૌરવપૂર્ણ સન્માન મેળવ્યું
ઉંમર નાની હોય તો શું? સપનાઓ મોટા હોય તો સિદ્ધિઓ પોતે જ માર્ગ શોધી લે છે.
માત્ર ૩૦ સેકેન્ડમાં ભરતનાટ્યમના નવરસની અભિવ્યક્તિ થકી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા બાદ આરુષીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંશાપત્ર એનાયત કરવામાં આવ્યા.
જામનગરની પ્રતિભાશાળી બાળ નૃત્યાંગના આરુષી જયભાઈ દવેએ પોતાની અદભૂત ઇચ્છાશક્તિ, કઠોર મહેનત અને કળા પ્રત્યેના સમર્પણના બળે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ રેકોર્ડ નોંધાવ્યા બાદ હવે તેણીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંશાપત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આરુષીએ અગાઉ માત્ર 30 સેકન્ડમાં ભરતનાટ્યમના નવરસ (શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત)નું અભિવ્યક્તિપૂર્ણ પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ અનોખી સિદ્ધિ બદલ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી રહી છે.
ખાસ વાત એ છે કે તેણીએ નાની ઉંમરે ગંભીર ગિલિયન-બારે સિન્ડ્રોમ (GBS) જેવી બીમારી સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓને હરાવીને બાળકીએ ફરીથી નૃત્યક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો અને આજે અનેક બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
હાલમાં આરુષી જામનગરની પી. એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, વાલસુરા ખાતે અભ્યાસ કરે છે. સાથે જ શકુંતલ સ્કૂલ ઓફ ડાન્સમાં ગુરુ શ્રીમતી હિરબેન પરેશભાઈ બુચના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમની તાલીમ મેળવી રહી છે. તેમની સતત મહેનત, શિસ્ત અને કળા પ્રત્યેની નિષ્ઠાનું આ સન્માન એક ઉત્તમ પરિણામ છે.
આ સિદ્ધિ બદલ તેણીએ પરિવારજનો, ગુરુજનો, શાળા પરિવાર તેમજ જામનગરને ગૌરવ અપાવ્યું છે. “ઉંમર નાની હોય તો શું? સપનાઓ મોટા હોય તો સિદ્ધિઓ પોતે જ માર્ગ શોધી લે છે.” તેણીની સફળતા આ વાતને ફરી એકવાર સાબિત કરે છે.