જામનગર: દિ.પ્લોટ-૫૮માં નજીવી બાબતે યુવતિ પર હુમલો
કડીયાકામની સિમેન્ટ, કાંકરી ઘર તરફ પડતા બબાલ : પાડોશી પરિવારના ૩ સામે રાવ
જામનગરના ૫૮-દિ.પ્લોટમાં મકાનમાં કડીયાકામ ચાલતુ હોય જેથી સિમેન્ટ કાંકરી ઘર તરફ પડવાના મામલે પાડોશીઓ વચ્ચે માથાકુટ થઇ હતી જેમાં યુવતિને ઢીકાપાટુ, છરી અને પથ્થર વડે ઇજા કર્યાની તેમજ તેણીના પતિને માર માર્યાની પાડોશમાં રહેતા પરિવારના ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના દિ.પ્લોટ-૫૮ હિંગળાજ ચોકમાં રહેતા નિકીતાબેન રોહીતભાઇ નંદા (ઉ.વ.૨૨) નામના યુવતિના ઘરે કડીયાકામ ચાલુ હોય જેના સિમેન્ટ, કાંકરી આરોપીઓના ઘર તરફ પડતુ હોય જેથી જસોદાબેનએ કડીયાઓને અપશબ્દો કહીને ઝઘડો કરતા હોય આથી ફરીયાદી ત્યા જતા આરોપીએ તેની સાથે પણ ઝઘડો કરવા લાગ્યા હતા, દરમ્યાનમાં અન્ય આરોપીઓ ત્યાં આવી ફરીયાદીના વાળ પકડી પછાડી ઢીકાપાટુનો માર મારી છરી તથા પથ્થર વડે ઇજા પહોચાડતા આઠથી દસ ટાંકા સારવારમાં આવ્યા હતા.
ફરીયાદીના પતિ છોડાવવા વચ્ચે પડતા તેને એક આરોપીએ પથ્થરનો ઘા વાંસામાં માર્યો હતો અને છરીનો છુટો ઘા કરી પગમાં છરકા જેવી ઇજા પહોચાડી હતી તેમજ અન્ય આરોપીએ ફરીયાદી તથા તેના પતિને અપશબ્દો કહી એકબીજાને મદદગારી કરી હતી.
નિકીતાબેન નંદા દ્વારા આ બનાવ અંગે સીટી-સી ડીવીઝનમાં દિ.પ્લોટ ૫૮ હિંગળાજ ચોક વિસ્તારમાં રહેતા જગદીશ રમણીક નંદા, જસોદાબેન જગદીશ નંદા અને સચિન જગદીશ નંદાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.