ભડકાઉ ભાષણ મામલે મૌલાના અઝહરીની ધરપકડ, હજારો સમર્થકો વચ્ચે ગુજરાત પોલીસ મુંબઈથી લાવી જૂનાગઢ

  • February 05, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજારો સમર્થકોની ભીડ વચ્ચે ગુજરાત પોલીસ મૌલાનાને મુંબઈથી જૂનાગઢ લઇ આવી ; બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર 


ગુજરાત પોલીસે ગતરોજ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી હતી. મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૫૩ (સી), ૫૦૫ (2), ૧૮૮ અને ૧૧૪ હેઠળ કેસ નોંધ્યો છે. સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૌલાનાના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમની તાત્કાલિક મુક્તિની માંગણી કરી હતી, જેના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. 


આ બાદ મૌલાના સલમાન અઝહરીએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેમના સમર્થકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી. મૌલાનાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલી ભીડને માઈક દ્વારા સંબોધિત કરી અને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેણે કહ્યું, 'ન તો હું ગુનેગાર છું, ન તો મને અહીં ગુનો કરવા લાવવામાં આવ્યો છે. તેઓ જરૂરી તપાસ કરી રહ્યા છે અને હું પણ તેમને સમર્થન આપી રહ્યો છું. જો મારું નસીબ હોય તો હું ધરપકડ માટે તૈયાર છું.” 


ગતરોજ મોડી રાત્રે ગુજરાત પોલીસ મૌલાના અઝહરીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી મુંબઈથી જૂનાગઢ લઇ આવી હતી. મૌલાના સલમાન અઝહરી સામેના કેસના સંદર્ભમાં, ગુજરાત પોલીસે ભારતીય દંડ સંહિતા કલમ ૧૫૩બી (ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને ૫૦૫ (૨) (જનમતને ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધ્યો છે. બે સ્થાનિક આયોજકોની ઓળખ મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરાની પણ ધરપકડ કરવામાં આવી છે. મુફ્તી અઝહરીએ ગત બુધવારે જૂનાગઢના સેક્શન બી વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન વાંધાજનક ભાષણ આપ્યું હતું.


​​​​​​​શનિવારે તેમના ભાષણનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસે જૂનાગઢમાં કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને મૌલાનાને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આયોજકોએ કાર્યક્રમ માટે પરવાનગી માંગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવાનું હશે. પરંતુ તેમણે પોતાના સંબોધનમાં ભડકાઉ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મૌલાના અઝહરીના વકીલે કહ્યું કે ઈસ્લામિક ઉપદેશક તપાસમાં સહકાર આપવા તૈયાર છે, પરંતુ આ સંબંધમાં પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application