પિંડારામાં યોજાયેલ શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં આહીરાણીનો ભવ્ય મહારાસ: સાંસદે પણ લીધો ભાગ
પિંડારામાં યોજાયેલ શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં આહીરાણીનો ભવ્ય મહારાસ: સાંસદે પણ લીધો ભાગ
April 08, 2026 04:51 PM
પિંડારામાં યોજાયેલ શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં આહીરાણીનો ભવ્ય મહારાસ: સાંસદે પણ લીધો ભાગ
મહર્ષિ દુર્વાસાની પવિત્ર તપોભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પિંડારા ખાતે તાજેતરમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાયો હતો. શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ અને શ્રી મહાવિષ્ણુયાગ જેવા દિવ્ય આયોજનોના સાન્નિધ્યમાં યોજાયેલા આહીરાણી મહારાસએ ઉપસ્થિત સૌ કોઈને દ્વાપરયુગની યાદ અપાવી દીધી હતી.
ભગવાન શ્રીકૃષ્ણની ઉજ્જવળ પરંપરાને જીવંત રાખતા આ મહારાસમાં સેંકડો આહીરાણીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રાસની રમઝટ બોલાવી હતી, જે દ્રશ્ય જોઈને વૃંદાવનના પરમ પ્રકૃતિ અને પરમાત્માના રાસસંયોગની અલૌકિક અનુભૂતિ થતી હતી. આ ગૌરવવંતા પ્રસંગે દેવભૂમિ દ્વારકા-જામનગરના સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માત્ર હાજરી જ નહોતી આપી, પરંતુ આહીર મહારાસમાં જોડાઈને સ્વયં રાસ પણ લીધો હતો.
કૃષ્ણવંશી પરંપરા મુજબ યોજાયેલા આ કાર્યક્રમે પિંડારા તીર્થના આંગણે ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું. આયોજન દરમિયાન શિવ મહાપુરાણની કથા અને યજ્ઞના પવિત્ર મંત્રોચ્ચાર સાથે મહારાસની ઝાંખીએ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો. આ પ્રસંગે આહીર સમાજની સાંસ્કૃતિક વિરાસત અને રાસેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન થયા હતા.