સલાયામાં ઝડપાયો નકલી ઘીનો જથ્થો
એસઓજીએ ૭૬ વર્ષના વૃઘ્ધાને નકલી ઘીના જથ્થા સાથે પકડયા: કેમીકલ કબ્જે
ખંભાળિયામાં રહેતા એક મહિલાને એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભેળસેળયુક્ત આશરે ૯ કિલોગ્રામ જેટલા ઘી ના જથ્થા સાથે સલાયા ખાતેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે એસ.ઓ.જી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોસ્ટેબલ હરદીપસિંહ જાડેજા તેમજ મહાવીરસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે ખંભાળિયામાં પાવર હાઉસની પાછળના ભાગે એક બાલ મંદિરની બાજુમાં રહેતા ૭૬ વર્ષના મહિલાને સલાયામાં આવેલી પાંજરાપોળના ગેઈટ પાસેથી દેશી ઘી ના નામે અશુધ્ધ ઘીનું વેચાણ કરતા ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસ તપાસમાં ઘી ની બનાવટમાં અન્ય કેમિકલ તેમજ અન્ય સામગ્રીનો ઉપયોગ કરી માનવ જીવન માટે જોખમી એવું ઘી મળી આવતા પોલીસે રૂ. ૨,૭૦૦ ની કિંમતનો આશરે ૯ કિલોગ્રામ જેટલો ઘી નો જથ્થો કબજે કરી, આ અંગે જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરને માહિતગાર કરી, ઘી ના સેમ્પલો મેળવવામાં આવ્યા હતા.