પોરબંદરના યુવકનું મોઝામ્બિકમાં બંદૂકના નાળચે અપહરણ, 30 લાખની ખંડણી માંગી, પાછળ દોડી અંધાધૂંધ ફાયરિંગ કર્યું

  • March 07, 2025 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મૂળ પોરબંદરના તથા છેલ્લા  ૧૬ વર્ષથી મોઝામ્બિક ખાતે જનરલ સ્ટોર ધરાવતા યુવાનનું તા. ૩-૩ના રાત્રે ત્યાંના લુટા‚ઓ અંધાધુંધ ફાયરીંગ કરીને અપહરણ કરીને લઇ ગયા બાદ હજુ સુધી પત્તો નહીં મળતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને હર્ષ સંઘવીથી માંડીને પોરબંદરના સ્થાનિક નેતાઓને પણ જાણ કરવા છતાં હજુ સુધી ભાળ મળી નથી તેથી  પરિવારના સભ્યો વધુ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. 


બનાવની વિગત એવી છે કે મૂળ પોરબંદરના તથા છેલ્લા સોળ વર્ષથી મોઝામ્બિકના માપુટો ખાતે રહેતા અને ‘ગેનાગેના’ (પધારો...પધારો) નામનો જનરલ સ્ટોર ચલાવીને વેપાર કરતા ૩૬ વર્ષના વિનય સોહનભાઇ સોનેજીનું ત્યાંની લોકલ ગેન્ગના લૂટારૂઓ અપહરણ કરીને લઇ ગયા છે. જેમાં વિગત એવી છે કે વિનયે તા. ૩-૩ના રાત્રે ૮:૧૦ કલાકે પોતાની શોપ વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરીને વિનય પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરતો હતો ત્યારે અચાનક જ લૂંટારૂઓ એક કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને કારમાંથી બે શખ્શો હથિયાર સાથે ઉતર્યા હતા અને વિનયભાઇની પાછળ દોડીને અંધાધૂંધ ફાયરીંગ કરવા લાગ્યા હતા. ગણતરીની સેક્ધડોમાં જ તેમનું અપહરણ કરીને તેઓ કારમાં ઉઠાવી  ગયા હતા. 


ત્યારબાદ રાત્રિના સમયે ત્યાં સ્થાનિકકક્ષાએ તેમના સાથીદારોને લૂંટા‚ઓએ ફોન કરીને ત્યાંના ૩૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી આથી એ જે કહે તે રકમ આપવાની તૈયારી બતાવવામાં આવી હતી પરંતુ માત્ર એકજ શરત રાખવામાં આવી હતી કે વિનય સાથે ફોનમાં વાત કરાવી દે તેવી માંગ કરી હતી. અડધો કલાક પછી વાત કરાવશુ તેમ ફોનમાં કહ્યુ હતુ. પરંતુ ત્યારબાદ ત્રણ દિવસ વીતી ગયા છતાં લુંટા‚ઓનો ફોન આવ્યો નથી.


વિનય સોનેજીના પરિવારજનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ ડો. મનસુખ માંડવીયાથી માંડીને ધારાસભ્ય  અર્જુન મોઢવાડીયા, પોરબંદરના કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લાપોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતનાઓને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ ‘ઉપર મોકલી દીધુ છે.’ માત્ર તેવો જ જવાબ મળ્યો હતો. વિનયના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે ત્યાંની એમ્બેસી દ્વારા ખૂબજ સારો સહકાર પ્રાપ્ત થયો છે અને પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઇ જ માહિતી વિનયની મળી નથી તેથી પરિવારના સભ્યો વધુ ચિંતામાં ગરકાવ થયા છે અને આ મુદ્દે વહેલી તકે કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે. 


હથિયાર સાથેનો સિકયુરીટી ગાર્ડ એમ જ ઉભો રહ્યો
વિનય સોનેજીના જનરલ સ્ટોર ‘ગેનાગેના’ માં હથિયારધારી સિકયુરીટી ગાર્ડ પણ રાખવામાં આવેલો હતો જ્યારે લૂટારૂઓએ અંધાધૂંધ ગોળીઓનો વરસાદ વરસાવ્યો ત્યારે તેઓ એ સિકયુરીટી ગાર્ડને પણ તેમની ભાષામાં ધમકી આપતા હતા કે ‘તે આડો આવવાની કોશિશ કરી તો પતાવી દઇશું’ આથી એ સિકયુરીટી ગાર્ડ પણ કંઇ બોલ્યો ન હતો અને ચૂપચાપ તમાસો જોતો હતો.


અગાઉ રીઝવાન આડતીયાનું પણ થયુ હતુ અપહરણ
મૂળ પોરબંદરના અને ઘણા વર્ષોથી મોઝામ્બિક સહિત વિશ્ર્વના અનેક દેશોમાં પોતાનું સામ્રાજ્ય બિઝનેશના માધ્યમથી જમાવનારા રીઝવાન આડતીયાનું પણ ત્યાં અગાઉ અપહરણ થયુ હતુ અને કેટલાક દિવસો સુધી બંધક બનાવ્યા બાદ ત્યાંની પોલીસે તેમને મુકત કરાવ્યા હતા.ત્યારબાદ ફરી હવે પોરબંદરના જ વધુ એક યુવાનનું ત્યાં બંદૂકના નાળચે અપહરણ કરવામાં આવ્યુ છે તેથી પરિવારજનો પણ ખૂબજ ચિંતાતુર બની ગયા છે. 


પોરબંદરના અનેક યુવાનો રોજીરોટી માટે ગયા છે મોઝામ્બિક 
પોરબંદરમાં કોઇ મોટા ઉદ્યોગો નહીં હોવાથી અને બેરોજગારીનું પ્રમાણ વધુ હોવાથી રોજગારીની શોધમાં અનેક લોકો વિદેશ જાય છે. મોઝામ્બિકમાં પણ પોરબંદરના અસંખ્ય યુવકો જુદા જુદા સ્ટોરમાં કામ કરી રહ્યા છે. ત્યારે આ બનાવે ભારે ચકચાર જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application