BREAKING NEWS

તમે અંદર જઇને અમારું મંદિર અભડાવી દીધુ કહી પરિવારને જ્ઞાતિ અંગે અપમાનિત કરાયો

  • July 02, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રતનપરમાં પરીવારને મંદિરમાં જતાં અટકાવી જ્ઞાતિ પ્રત્યે અપાનિત કરવામાં આવ્યો હતો. જે અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં મંદિરના સંચાલક રાજુ રામાવત અને તેના પરીવારના સભ્યો સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રા વિગતો મુજબ, રાજકોટ નજીક રતનપર ગામના પાટીયા પાસે જલારામ સોસાયટીમાં રહેતાં રાજેશભાઈ હમીરભાઈ જાદવ (ઉ.વ.૫૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજુ રામાવત, મયુર રાજુ રામાવત, હેતલ ચંદ્રેશ ભલસોડ, ચંદ્રેશ ભલસોડ ( રહે તમામ રતનપર ગામના પાટીયા પાસે જલારામ સોસાયટી) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. રતનપર ગામના પાટીયા પાસે જલારામ સોસા શેરી ન.ં ૧ ખાતે છેલ્લા અઢી વર્ષથી પરીવાર સાથે રહે છે.
જલારામ સોસાયટીમાં હનુમાનજીનુ મંદિર આવેલ છે. જેનુ સંચાલન સોસાયટીમાં બાજુમાં રહેતા રાજુભાઈ રામાવત કરે છે. આ મંદિરમાં ફરીયાદી તથા તેમના પરિવારને આ રાજુભાઇ મંદિરમાં જવાની ના પાડતા હોય જેથી તેઓ કે તેમના પરિવારના એકેય સભ્ય આ હનુમાનજીના મંદિરમાં કયારેય જતા ન હતા.પરંતુ ગઇ તા.૨૨ ના સવારના ગામના સરપચં લાલભા દરબાર સોસાયટીમાં આવ્યા તો તેઓને રજુઆત કરી હતી કે, આ અમારી સોસાયટીમાં હનુમાનજીનુ મંદિર સાર્વજનીક હોવા છતા આ રાજુ રામાવત અમને મંદિરમાં જવા દેતા નથી. જેથી લાલભા સરપંચએ કહેલ કે, મંદિરમાં બધાને જવાનો અધિકાર છે, તેમા જતા કોઈ કોઈને રોકી શકે નહીં જેથી તમે મંદિરમાં જજો અને જો મંદિરમાં ન જવા દે તો મારી પાસે આવજો કહીં સરપચં જતા રહ્યા હતાં. તે જ દિવસે સાંજના આશરે નવેક વાગ્યે ફરીયાદીના ૫ત્ની સપનાબેન સરપંચના કહેવા મુજબ હનુમાનજીના મંદિરે આવેલ ચબુતરા પાસે સોસાયટીની બહેનો સાથે બેસવા ગયેલ હતા.
બાદ ગઇ તા.૨૩ ના સવારના સાતેક વાગ્યે ફરીયાદી ઘરે સુતા હતા તેવામાં દેકારાનો અવાજ આવતા ઘરની બાહર આવેલ તો આ રાજુ રામાવત, તેમનો દિકરો મયુર રામાવત, હેતલબ ભલસોડ તથા તેમના પતિ ચંદ્રેશ ભલસોડ પ્રૌઢની પત્ની સપનાબેન સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. જેથી તમામને ઝઘડો ન કરવા સમજાવવા જતા આ તમામે ફરીયાદી દંપતી તથા તેમના દિકરા જયને ગાળો બોલી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી કહેવા લાગેલ કે તમને મંદિરમાં જવાનો અધિકાર નથી, તમે મંદિરમાં જઇને અમા મંદિર અભડાવી દીધુ છે.
ઉપરાંત રાજુએ પાસે આવી કોલર પકડી કહેલ કે, હવે તારી બાયડીને સમજાવી દે જે કે મંદિરના પગથીયા ના ચડે કે મંદિરની આજુબાજુ ડોકાય નહીં નહીંતર તારા આખા ઘરના ટાંટીયા ભાગી નાખી જાનથી મારી નાખીશ ધમકી આપી હતી. જે અંગેની ફરિયાદ પરથી પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application