કમિશનર ! તો યાજ્ઞિક રોડ જળબંબાકાર થશે

  • May 13, 2025 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર્વેશ્વર ચોક વોંકળાના વિલંબિત કામના વાંકે આગામી ચોમાસામાં જાગનાથમાં જળબંબાકાર સર્જાય તેવી ભીતિ હોય આ મામલે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવી અનેક સવાલો ઉઠાવ્યા છે તેમજ આ વર્ષે ચોમાસુ વહેલું બેસવાની આગાહી હોય સર્વેશ્વર વોંકળાનું કામ પણ વહેલું પૂર્ણ નહીં થાય તો માઠી હાલત થવાની દહેશત વ્યક્ત કરાઇ છે.

વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મ્યુનિ. વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટના રાજમાર્ગોમાંનો એક એવા ડો.યાજ્ઞિક રોડ ઉપર હાલ સર્વેશ્વર ચોક પાસે વોંકળાનું કામ રાજકોટ મહાપાલિકા દ્વારા હાલ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે રાજકોટ મહાપાલિકા અને કોન્ટ્રાક્ટરની આંતરિક ખટપટ અને યોગ્ય સંકલનના અભાવે હાલ વેપારીઓનો ખો નીકળી રહ્યો છે.૧૨ માસમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ હવે આ કામ કોઈ સંજોગોમાં ૧૨ માસમાં પૂર્ણ થાય તેમ જણાતું નથી. ચોમાસુ નજીક આવી જતા ભારે હાલાકી સર્જાશે તેમ જણાય છે. ચોમાસામાં સર્વેશ્વર ચોક વોંકળાના વાંકે જાગનાથ વિસ્તાર જળબંબાકાર થશે તેવી દહેશત છે.

રાજકોટ મહાપાલિકાની ઢીલી નીતિને કારણે વેપારીઓ તેમજ સ્થાનિક રહીશોને મુશ્કેલી ભોગવવાનો વખત આવ્યો છે.આવેદનપત્રમાં વિશેષમાં ઉમેર્યું છે કે યાજ્ઞિક રોડ ઉપરના સર્વેશ્વર ચોકના વોકળા પરના નાલાનું કામ રૂ.૪.૫૦ કરોડમાં કોન્ટ્રાક્ટરને અપાયું હોય ત્યારે આ કામ તા.૧૫ જૂન સુધીમાં પૂર્ણ ન થાય તો જળ હોનારતની ભિતી રહે. આમેય યાજ્ઞિક રોડ પર નજીવા વરસાદે ગોઠણભેર પાણી ભરાય છે ત્યારે હાલ ન્યુ જાગનાથ અને જુના જાગનાથ સહિતના વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇનનું કામ પણ ચાલુ હોય આડેધડ થતા ખોદકામના પગલે ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે તો આ ખાડાઓમાં સિનિયર સીટીઝન અને આમ પ્રજા ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખોદકામ બાદ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયેલ તે ખાડા પર તાત્કાલિક મેટલિંગ કામ કરવું અત્યંત જરૂરી છે જે હાલ થતું ના હોવાને પગલે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા સામે લોકરોષ ભભૂક્યો છે માવઠાને પગલે શેરીઓમાં કાદવ કિચડનું થયું છે ત્યારે જો બારે મેઘ ખાંગા થાય તો સમગ્ર વિસ્તાર અને આ જાગનાથમાં વોકળાની આસપાસની ઇમારતોમાં ફલેટમાં તેમજ યાજ્ઞિક રોડ પરના વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જવાનો ભય રહે છે.

અંતમાં જણાવ્યું છે કે હવામાન ખાતા તરફથી આ વખતે આગાહી મળેલ છે કે ચોમાસુ વહેલાસર આવશે ત્યારે કામ જૂન પહેલા પૂર્ણ થાય એ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાઇટ વિઝીટ કરી વેપારીઓ અને સ્થાનિક રહેવાસીના મંતવ્યો જાણી તાત્કાલિક યોગ્ય કરવા કાર્યવાહી કરવા અનુરોધ છે. અગાઉ પણ આ કામ ઝડપથી કરવા માર્ચ મહિનામાં કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેનો પણ કમિશનર દ્વારા કોઈ પ્રત્યુતર મળેલ નથી. કોઈપણ કારણસર ટેન્ડરમાં રહેલ શરતો મુજબ કામ સમયસર પૂર્ણ ન થાય તો કામ કરનાર એજન્સી સામે દંડનીય કાર્યવાહી થવી જોઈએ કારણ કે કામમાં વિલંબ થવાથી વેપારીઓને આર્થિક નુકસાની વેંઠવી પડી રહી છે. આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અનુરોધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application