તા. 23 માર્ચે ગુજકેટની પરીક્ષા: માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રમાં જ લેવાશે

  • February 25, 2025 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2017 થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી તારીખ 23 ને રવિવારના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત બોર્ડના સંયુક્ત પરીક્ષા નિયામક બી.એસ.પટેલ દ્વારા કરવામાં આવી છે.

બોર્ડ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ સવારે 10 વાગ્યાથી પરીક્ષા નો પ્રારંભ થશે અને બપોરે 4:00 વાગ્યા સુધી તે ચાલુ રહેશે. જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે જ આ પરીક્ષા યોજવામાં આવશે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત વિષયમાં એનસીઇઆરટીના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ આ પરીક્ષા માટે રહેશે.

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના રહેશે. 80 પ્રશ્નોના 80 ગુણ રાખવામાં આવ્યા છે અને આ માટે પરીક્ષાર્થીઓને 120 મિનિટનો સમય આપવામાં આવશે. જીવ વિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે જે માટેની ઓએમઆર આન્સર સીટ પણ અલગ આપવામાં આવશે. આ બંને વિષયના ૪૦- ૪૦ ગુણ અને 60 મિનિટનો સમય રાખવામાં આવ્યો છે. પ્રશ્નપત્રની ભાષા અંગ્રેજી હિન્દી અને ગુજરાતી રહેશે.

બોર્ડની રૂટીન પરીક્ષાઓ તારીખ 27 ને ગુરુવારથી શરૂ થઈ રહી છે અને તે માટેની મોટાભાગની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. જિલ્લા કક્ષાના શહેરોમાં પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ મોકલી દેવામાં આવી છે અને તે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરીને રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આવતીકાલે બપોરે 2- 30 થી 5 વાગ્યા દરમિયાન પરીક્ષાર્થીઓને બેઠક વ્યવસ્થા જોવા દેવામાં આવશે. જોકે આ માટે કોઈ પરીક્ષાર્થી કે તેમના વાલીઓને વર્ગખંડમાં એન્ટ્રી આપવામાં નહીં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application