તું છપ્પરપગી છો, કદરૂપી છો, તારા કામમાં ભલીવાર નથી

  • March 01, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરીયાએ શારીરિક-માનસિક ત્રાસ આપી કાઢી મૂકતા પરિણીતાએ આ અંગે જેતપુર સિટી પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેતપુરમાં રહેતી પરિણીતા અલ્નાઝબેન(ઉ.વ ૨૧) દ્વારા જેતપુર સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરમાં ગુજરાતીની વાડી જીયો ટાવર સામે રહેતા પતિ નૌશાદ મોહીનભાઇ મહીડા, સાસુ જુબેદાબેન,જેઠ રહીશ, સસરા મોહીનભાઈ વલીભાઈ મહીડાના નામ આપ્યા છે.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેના લગ્ન ગઇ તા.૦૫/૦૭/૨૦૨૧નાં નૌશાદ મહીડા સાથે થયા હતાં. લગ્નજીવનના શરૂઆતના પાંચ મહીના સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ જુગારની લતે ચડી જતા મોડી રાત સુધી ઘરે આવતો નહીં. નાની મોટી બાબતોમાં ઝગડો કરતા હતો. પતિ કહેતા કે, તું છપ્પરપગી છો, કદરૂપી છો, તારા કામમાં ભલીવાર નથી, તારી માએ કાંઇ તને કાંઇ શીખવ્યુ નથી.મારી મા કહે છે કે, તારા કચરા પોતામાં કાંઇ ભલીવાર નથી. તને રસોઈ કે કપડા ધોતા આવડતું નથી. તું અમોને ભટકાઇ ગઇ છો અને લગ્ન સમયે તારા બાપે ફકત પાંચ તોલા સોનું આપેલુ છે. અને આમ, તુ ગરીબ બાપની દીકરી છો. તારી રસોઈમાં કાંઈ ઢંગધડો હોતો નથી. તું અમોને ભટકાઈ છો. તેમ કહીને આ બોલાચાલી ઝગડો કરતા હતાં. પતિ મારકુટ પણ કરતો હતો.


પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, મારા સાસુ જુબેદાબેન તથા જેઠ રહીશભાઈ તથા મારા સસરા મોહીનભાઇ બધા મારી સાથે બોલાચાલી ઝગડો કરતા હોય અને આ લોકો મને કહેતા હોય કે, સીલાઇકામનું તારૂ આ નાટક છોડી દે, અમારે તારા પૈસાની જરૂરીયાત નથી. અમો ગર્ભશ્રીમંત છીએ. અમારે ઘરના બે મકાન છે, અમારા ઘરના તમામ સભ્યો પાસે મોંઘા મોબાઇલ છે. તેમજ બુલેટ, ફોરવ્હીલ, એકટીવા, હોન્ડા જેવી લકઝરીયસ ગાડીઓ છે. મારા સાસુ સસરાએ મને કહેલ કે, મારો પુત્ર જુગારમાં એક રાતમાંજ એકથી બે લાખ જેવું જીતીને આવે છે તો તુ શુ કામે આવુ સીલાઇકામ અને થીગડા મારે છે. તો અમોએ મારા સાસુ સસરાને કહેલકે, લગ્ન કરીને આવી ત્યારથી આજદિન સુધી તમોએ કે તમારા પુત્રએ મને કયારેય એકપણ રૂપીયો આપેલ નથી. મારે મારી અંગત ચીજવસ્તુ ખરીદવા નાણા જોઇએ તો પણ તમો મારૂ અપમા ન કરો છો. આવુ કહેતા મારો પતિ ઉશ્કેરાઇ ગયેલો અને મને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવા લાગેલો અને મને ઘરની બહાર પહેરેલ કપડે કાઢી મુકેલી અને ત્યારબાદ બીજા દિવસે હુ કપડા લેવા ગયેલ હતી. અને મારા પહેરવાના કપડા ત્યાંથી લઇ લાવી હતી.


પરિણીતાએ આ અંગે પ્રથમ જેતપુર સિટી પોલીસ મથકમાં અરજી કરી હતી.પરંતુ ત્યારબાદ પણ સાસરીયાએ સમાધાન કરવાની કે તેડી જવાની કોઇ દરકાર ન લેતા અંતે પરિણીતાએ પતિ સહિતના સાસરીયા સામે આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application