આરંભડા વિસ્તારમાં પત્નીની હત્યા કરી, યુવાને આપઘાત કર્યો

  • September 17, 2024 10:24 AM 

બે સંતાનો નોંધારા બન્યા: ભારે ચકચાર


ઓખામંડળના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં યુવાન દ્વારા પોતાની પત્નીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધાના બનાવે ભારે ચર્ચા જગાવી છે. દંપતીના મૃત્યુના કારણે તેઓના બે સંતાનો નોંધારા બની ગયા છે.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા- સુરજકરાડી વિસ્તારમાં રહેતા ભાવનાબેન વલૈયાભા માણેક નામના આશરે 30 એક વર્ષના હિન્દુ વાઘેર મહિલાને તેના પતિ વલૈયાભા માણેક સાથે ગઈકાલે સોમવારે રાત્રિના સમયે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાયેલા વલૈયાભાએ ગઈકાલે રાત્રિના સમયે પોતાના પત્ની ભાવનાબેનને છરી જેવા તીક્ષણ હથિયાર વડે આડેધડ ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી. આ પછી તેણે પણ સ્થળે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બંને મૃતદેહ એક જ ઘરના એક જ રૂમમાંથી મળી આવ્યા હતા.


વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક દંપતિને એક પુત્ર તથા એક નાની પુત્રી છે. આ બંને માતા પિતાના મૃત્યુ બાદ નોંધારા બની ગયા છે. મૃતક દંપતિ વચ્ચે ગૃહ કલેશ હોવાની શક્યતા વચ્ચે પોલીસ દ્વારા બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. પતિ દ્વારા પત્નીની નિર્મમ હત્યાના આ ખૂની ખેલ વચ્ચે સમગ્ર બનાવનું સાચું કારણ જાણવા માટે ડીવાયએસપીના વડપણ હેઠળ સ્થાનિક પી.આઈ. તથા તેમની ટીમ દ્વારા જુદી જુદી બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application