જામનગર જિલ્લાના જોડિયા ગામમાં પાંચ દિવસે પાણી વિતરણ

  • April 25, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ વર્ષથી ગામમાં સ્ટ્રીટલાઈટ બંધ: ચારેકોર ભુર્ગભ ગટર છલકાય છે: એક જમાનામાં જોડિયા બંદરની જાહોજલાલી હતી, આજે સુવિધા નામે મીંડું...


જામનગર જિલ્લાના જોડિયા ગામમાં ભર ઉનાળે પાંચ દિવસે પાણી વિતરણ થાય છે, છેલ્લા ઘણા સમયથી વહીવટદાર વહીવટ ચલાવે છે, છેલ્લા પાંચ વર્ષથી જોડિયા શહેરમાં સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ બંધ છે જેની અનેકવાર રજુઆત ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી, દિવસે-દિવસે જોડિયા પ્રત્યે એસ.ટી. નો અન્યાય જોવા મળી રહયો છે.



ઘણાં વર્ષોથી ચાલતી અને સવારે ૬:૦૦ વાગ્યે ઉપડતી જોડિયા-અમદાવાદની બસ જે થોડા સમય પહેલા બંધ કરવામાં આવેલ હતી, આ બસમાં વેપારીઓ, વિધાર્થીઓને ખુબ જ ઉપયોગી બસ હતી અને આ બસ રાત્રે ૮:૩૦ વાગ્યે રાજકોટથી જોડિયા આવવા માટે મળતી હતી, આ બસ બંધ થતા મુસાફરો હેરાન પરેશાન થઈ રહયા છે જેની અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા બસ શરૂ કરવામાં આવતી નથી.



જોડિયાને ભાંગવામાં એસ.ટી. તંત્રનો સિંહ ફાળો છે, જોડિયાના બસ સ્ટેન્ડમાં કંટ્રોલ પોઇન્ટ પણ નથી, વિધાર્થીને પાસ કઢાવવા છેક ધ્રોલ જવું પડે છે, જોડિયાના ચોરા-શેરી તૅમજ અન્ય વિસ્તારોમાં ભુર્ગભ ગટર છલકાય છે, એક જમાનામાં જોડિયા બંદરની જાહોજલાલી હતી જે આજે સુવિધા નામે મીંડું છે, કોઈ રોજગારી લોકોને મળતી ન હોવાથી દીન-પ્રતિદિન માછીમારો પણ બહારગામ જતા રહે છે.



જોડિયામાં બહારગામથી કાપડ લેવા માણસોં આવતા હતા, જે બસની સુવિધા બંધ થતા એ પણ બંધ થયું છે, અને જોડિયાના વેપારીઓ ધ્રોલ, મોરબી, રાજકોટ તેમજ બહારગામ જતા રહ્યા છે, દર મહિને બે-ત્રણ કુટુંબ ધંધા-વેપાર અર્થે બહારગામ જાય છે, દીન પ્રતિદિન જોડોયા ભાંગતું જાય છે, જોડિયા બંદર પુન: ચાલુ થાય તે માટે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે, પરંતુ સરકાર દ્વારા આજ સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.



જોડિયા બંદર એ બારેમાસી બંદર છે, અહીંયા ડાયરેક્ટ શીપ લાગે છે, બંદરને થોડું ડ્રેઝીગ કરવાની જરૂર છે, જોડિયાનું બંદર પુન: શરૂ થાય તો અનેક લોકોને રોજી-રોટી મળી રહે અને જોડીયાનો વિકાસ થાય... આ અંગે ધારાસભ્ય, સંસદસભ્ય, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ અનેક વખત લેખિત-મૌખિક રજુઆત કરેલ છે, જોડિયાના બસ સ્ટેન્ડમાં કંટ્રોલ પોઇન્ટ તાકિદે ચાલુ કરવા પણ અનેકવાર રજુઆત કરવામાં આવેલ છે, ઠેર-ઠેર ગદંગીના ગંજ જોવા મળે છે, અને કચરો આમને તેમ જોવા મળી રહ્યો છે, આ તે જોડિયાનો વિકાસ કે વિનાશ ...? એવું ગ્રામજનો કહી રહ્યા છે. જોડિયાના અણઉકેલ પ્રશ્નો ઉકેલવા સમગ્ર જોડિયાના પ્રજાજનોની માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application