મવડીના ગોકુલધામમાં ૭ કલાક સુધી પાણી વિતરણ ચાલુ રહ્યું

  • March 21, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨ના ગોકુલધામ પાસે ડાલીબાઈ છાત્રાલયની પાછળ આવેલા આવાસ યોજના સહિતના વિસ્તારોમાં બપોરના ત્રણ કલાકે પાણીનું વિતરણ નિયમિત રીતે થાય છે. તે પાણી ૨૦ મિનિટ પછી બંધ થવું જોઈએ પરંતુ બંધ ન થતાં રાત્રે ૧૦ વાગ્યા સુધી મતલબ કે સતત સાત કલાક સુધી પાણીની રેલમછેલ થઈ હતી.

જાગૃત નાગરિકોએ પાણીનો વેડફાટ બંધ કરાવવા મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ફરિયાદ કરી હતી તેમ છતાં પાણી બંધ ન થતાં આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તેમજ વેસ્ટ ઝોનના સિટી એન્જીનિયર કુંતેશ મહેતા અને વોર્ડ નં.૧૨ના ડેપ્યુટી ઇજનેરને પાણીનો વેડફાટ તાત્કાલિક બંધ કરાવવા રજૂઆતો કરી હતી જેના પગલે પછીથી રાત્રે દશેક વાગ્યા આજુબાજુ પાણી બંધ કરવામાં આવ્યું હતું.

દરમિયાન ઉપરોક્ત ઘટનામાં આવું કેમ બન્યું તે સંદર્ભે વેસ્ટ ઝોનના સીટી એન્જિનિયર કુંતેશ મહેતાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પાણીની પાઇપલાઇન ઉપર વિતરણ માટે મુકાયેલો વાલ્વ વર્ષો જુનો હોય અને તે વાલ્વના આંટા મુકાઇ ગયા હોય વારંવાર પ્રયત્ન કરવા છતાં તે બંધ થતો ન હતો. વાલ્વ ખરાબ થવાના કારણે આવું બન્યું હતું. તદઉપરાંત મુખ્ય માર્ગ ઉપર મુકાયેલો આ વાલ્વ બદલવા માટે પાણી વિતરણ બંધ કરવું પડે તેમ હતું અને જો વિતરણ બંધ કરાય તો આગળના વોર્ડ નં.૧૩માં પાણી વિતરણ ઠપ્પ થઇ જાય તેમ હતું. આમ બેદરકારીને કારણે નહીં પરંતુ ટેક્નિકલ ફોલ્ટના કારણે આવું બન્યું હતું. અંતે રિપેરિંગ કરી વાલ્વ બદલવામાં આવ્યો હતો તેમ તેમણે ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application