પરીક્ષાઓ અનુલક્ષીને ધાર્મિક મેળાવડા, કથાઓ, ઉજવણીઓ બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ

  • February 12, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરીક્ષાઓ અનુલક્ષીને ધાર્મિક મેળાવડા, કથાઓ, ઉજવણીઓ બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ..

ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિના ગતકડાઓથી લોકપ્રશ્નો ઉકેલવાના નથી.

ધાર્મિક કાર્યક્રમો ખાનગી હોલ, ઘોંઘાટ વગર અને વસવાટથી દૂર આયોજનો આવકાર્ય.


દેશભરમાં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મહિનો વિદ્યાર્થી જગતની કારકિર્દીનો નિર્ણાયાત્મક, જીંદગીનો મહત્વનો સમયગાળો હોય છે. બોર્ડ, યુનિવર્સિટી, અન્ય શાખાઓમાં પરીક્ષાઓની પ્રાયોગિક, પ્રીલીમીનરી, વાર્ષિક લેખિત, વાંચનનો શ્રેષ્ઠ સમયગાળાને અનુલક્ષીને આ સમય દરમ્યાન વિદ્યાર્થી જગતને નુકશાનકારક ધાર્મિક તેમજ રાજકીય પક્ષોના તાયફાઓ, મેળાવડા, મોટી કથાઓ, ઉજવણીઓ બંધ રાખવા જોઈએ, ઘોંઘાટ વગરના ખાનગી હોલ, વાડી કે ગામથી દૂર ખુલ્લી જગ્યામાં યોજવી જોઈએ અથવા ત્રણ માસ માટે બંધ રાખવા જોઈએ તેમ ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ રાજયવ્યાપી અપીલ કરી છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક કે પ્રસંગોના મોટા મેળાવડાના ગતકડા ઉભા કરવાથી લોકોના એકપણ પ્રશ્ન ઉકેલાઈ જવાના નથી. બે, પાંચ વ્યકિતના પોતાના લાભ માટે તથા ધાર્મિક નેતા પોતાની મહત્તા વધારવા માટેના અને રાજકીય દ્રષ્ટિકોણના લાભના હેતુથી કરાયેલા આયોજનોનો જાગૃતો, બૌદ્ધિકો, વાલીજગતે સદૈવ વિરોધ કરવો જોઈએ. લોકોમાં જેમ જેમ શિક્ષણ વધુ આવતું ગયું તેમ સ્વાર્થી પણા સાથે સહનશકિતનો ઉતરોતર વધારો થયો છે તે ચિંતાનો વિષય છે. અભણ કરતાં શિક્ષિતો પોતાના અંગત લાભ માટે વિશાળ સમુદાયને ગુમરાહ કરે છે તે દુઃખદ છે. મે, જુન, જુલાઈમાં કે વર્ષ દરમ્યાન કોઈપણ વિષય કે પ્રસંગની ઉજવણી થઈ શકે છે. જાથા અનુભવે લોકો સમક્ષ પોતાના વિચારો મુકે છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે છેલ્લા એકત્રીસ વર્ષના સર્વે કરતાં મોટાભાગના આયોજનો ત્રણ-ચાર માસના ગાળામાં યોજાય છે. તેમાં ધાર્મિક નેતાના જન્મદિન, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, ઉત્સવો, સપ્તાહો, કથાઓ, ૨૫, ૫૦ કે ૭૫ વર્ષનું ગતકડું ઉભું કરી ધામધૂમથી ત્રણ થી દસ દિવસના આયોજનો કરવામાં આવે છે. મોટા આયોજનો પાછળ ૧૫ થી ૩૦ દિવસથી વધુ તૈયારી તડામાર ચાલતી હોય છે. જે સ્થળ, જગ્યાની પસંદગી કરવામાં આવી હોય તેની આસપાસ તૈયારીનો માહોલ, જાહેરાત, મીટીંગો, ભૂંગળા માથા ઉપર મૂકવામાં આવે છે. કથાઓ કે ઉજવણીના સ્થળ આસપાસના રહીશો ભારોભાર મુશ્કેલીમાં અને સમસ્યાના ત્રાસનો સામનો કરતાં હોય છે. વિદ્યાર્થી જગતની કારકિર્દી ઉપર જોખમ ઉભું થાય છે. ધાર્મિક મેળાવડા, ઉજવણી હોય લોકો મૌન, સહન કરવાનું પસંદ કરે છે. કાયદા વિરૂદ્ધ સમય મર્યાદા પછી ભૂંગળા વાગતા હોય તો પણ જાહેરમાં બોલી શકાતું નથી. મોટી કથાઓ, ઉજવણીના દિવસોએ આયોજકો મોટી સંખ્યામાં લોકો આવી શકે તે માટે મફત જમવાની વ્યવસ્થા કરતાં હોય છે. જેથી ગરીબ પ્રજાના પરિવારો આઠ-દસ દિવસનું દુઃખ ભાંગવા સામુહિક ભાગ લેતા હોય છે. ધાર્મિક આયોજક મોટી માનવ-મહેરામણ ઉમટી પડી છે મંડપ ઓછા પડયા તેવી ગુલબાંગો મારે છે. હકિકતે કથા, ઉજવણીમાં ભાગ લેવા કરતાં મફત ભોજન વ્યવસ્થાને આભારી હોય છે. ધાર્મિક નેતા આજકાલ પોતની જ્ઞાનવાણીનો લાભ લેવા આવતાં શ્રદ્ધાળુઓ માટે મફત ભોજન વ્યવસ્થાની માંગણી કરતાં હોય છે જે આયોજકો સ્વીકાર કરતાં જણાયા છે. જયાં આયોજનો થાય તેની આસપાસના રહીશો સ્વચ્છતા અભાવે બિમારીના ખાટલે પડે છે. આયોજકોનું ધ્યાન ભોજન, ફંડફાળા, પ્રચાર, આગતાસ્વાગતામાં હોય છે. ઉજવણી કે કથા સ્થળે આવતો મોટો સમુહ જાહેરમાં મૂતરડી, સંડાસ, ખાણીપીણી, વ્યસનોના કારણે પ્રદુષણ, રોગચાળાને આમંત્રણ આપવાના કારણે રહીશોમાં ઘરેઘરે મંદગીનો ખાટલા નજરે પડે છે. સારી રીતે શ્વાસોશ્વાસ લઈ શકાતો નથી. જેથી રાજયમાં પ્રદુષણયુક્ત, પરીક્ષાના અડચણરૂપ કિસ્સામાં સ્થાનિક રહીશો જો આગળ આવશે તો જાથા કાનૂની મદદ પૂરી પાડશે. પરીક્ષા દરમ્યાનના કિસ્સામાં જાથા આયોજકો તથા ધાર્મિક નેતાને આવેદનપત્ર પાઠવી ખાનગી હોલમાં યોજવા, ફેરફાર કે બંધ રાખવા સંબંધી લોકચળવળ ઉભી કરશે તેવી જાહેરાત કરવામાં આવે છે. પરીક્ષા દરમ્યાન ખાનગી હોલ, ગામથી દૂર, વાડીમાં કથાઓ, ઉજવણીઓ થાય તે આવકારદાયક છે. જાથાનું સકારાત્મક વલણ છે.

જાથાના ચેરમેન પંડયા જણાવે છે કે ઉનાળો શરૂ થાય અને ધાર્મિક નેતાઓ યુરોપના ખંડમાં ધર્મપ્રચારના નામે મોટી કમાણી અને ધાર્મિક પ્રચારના નામે વિદેશ ઉપડી જાય છે. તેથી દેશમાં મે મહિના પહેલા મોટા આયોજનો લોકોના માથા ઉપર મુકી બે જગ્યાએ કમાણી કરે છે. અમુક ધાર્મિક નેતાને ડોલર, પાઉન્ડમાં રસ હોય છે. ફંડ-ફાળા માટે વિદેશ ઉતમ છે. ભારતના લોકોને ધાર્મિક નેતાઓની વાણી, જ્ઞાન સમજવામાં હજુ ૫૦૦ વર્ષની પ્રતિક્ષા કરવી પડશે. લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્કને સ્થાન આપશો તો તુરંત વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમજી જશો તેવું જાથા માને છે. ધાર્મિક નેતાઓ તથા ઉજવણીઓ દેશની એકપણ સમસ્યા ઉકેલી શકયા નથી તે કડવી વાસ્તવિકતા છે.

વિશેષમાં એડવોકેટ જયંત પંડયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું કે ભારતના બંધારણ મુજબ રાજયની પ્રથમ જવાબદારી શિક્ષણની છે. ધર્મ, ધાર્મિક ઉજવણીઓ કે તેની બાબતો કે તેનો પ્રચાર રાજયના દાયરામાં આવતો નથી. ધર્મ, સ્વાતંત્ર્યનો ખ્યાલ બંધારણમાં તેમજ અનુચ્છેદ ૨૫ માં વિસ્તૃત છે. દરેક વ્યકિતને અંગત પોતાની નીતિ નકકી કરવાની છૂટ છે. ધર્મ, ધાર્મિકતા વ્યકિત સ્વાતંત્ર્યતાનો વિષય છે. સરકારની ધાર્મિક રૂચિ બંધારણનું અપમાન છે. સરકારનું કાર્યક્ષેત્ર નથી છતાં ધાર્મિક બાબતોમાં મતબેંકને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે. ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિકના ગાવણા કરવાથી રાજયની એકપણ સમસ્યાઓ હલ થવાની નથી. ઉપરાંત રોજગારી, મોંઘવારી, બેકારી, ગરીબીને પ્રશ્ન દિન-પ્રતિદિન વધતા જાય છે. દેશની રોજગારી યક્ષ સમસ્યા છે. પ્રજાના કરવેરાના પૈસામાંથી રાજકીય પક્ષો તેમજ ઉત્સવો પાછળનો ખર્ચ, સમય, શકિત, સંપત્તિનો ધુમાડો ગેરબંધારણીય અને અપ્રસ્તુત છે. શિક્ષણની બાબતમાં આપણું રાજય અગ્રેસર નથી તેમાંથી ધડો લેવાની જરૂર છે. સરકાર પરિપત્ર કરી પરીક્ષા સમયે ખાનગી હોલ, દૂરના મેદાનમાં યોજાય તે સંબંધી ઠોસ કદમ ઉઠાવવાની જરૂર છે. સરકારે ધાર્મિક નેતાની ખુશામતગીરીમાંથી બહાર આવવું પડશે. પ્રજાનું હિત જોવાની રાજયની ફરજ છે. એક કે બે દિવસીય પાંચ-સાત કલાક માટેના ધાર્મિક ઉત્સવ કે ધાર્મિક મેળાવડાના આયોજનનો કદી વિરોધ હોઈ શકે નહીં. વર્તમાન સમયમાં ક્રિકેટ જગત ઉપરાંત આંતરાષ્ટ્રીય રમત-ગમત સ્પર્ધા બાબતે પણ જાથા પાસે પ્રશ્નો આવે છે લોકોએ વિવેકબુદ્ધિથી નિર્ણય કરવાથી પોતાનું હિત જાળવી શકાય છે તેવું જાથા માને છે. ધર્માંધતામાં વ્યક્તિ વિચારશૂન્ય બની જાય છે તેથી લોકહિતમાં વિચારવું જોઈએ.

અંતમાં પંડયા જણાવે છે કે જાથા સમાજનું અંગ છે. ધર્મ, ઉત્સવ, કથા કે ઉજવણીનો વિરોધ નથી પરંતુ પરીક્ષાઓને ધ્યાને રાખી ધાર્મિક આયોજકો અને રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને ઓછી મુશ્કેલી પડે તે બાબતે વિચાર કરે તેવી નમ્ર અપીલ કરવામાં આવે છે. કાનૂની સંબંધી કે લોકચળવળ માટે ઓછામાં ઓછા પાંચ નાગરિકોએ રૂબરૂ સંપર્ક કરી લેખીત-મૌખિક માહિતી આપવાથી જાથા વિદ્યાર્થીના હિતમાં જનઆંદોલન ચલાવશે તેવી જાહેરાત કરવામાં આવે છે.
​​​​​​​

જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ વિજ્ઞાન જાથા, "જય વિજ્ઞાન", ૧, જીવનનગર, કનૈયા ચોક પાસે, રૈયા રોડ, રાજકોટ-૭ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application