જામ્યુકો દ્વારા ૭૭ કરોડના ખર્ચે થશે રસ્તાના વિવિધ કામો

  • March 13, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાયલોટ બંગલાથી પંચવટી માન સરોવર ઍપાર્ટમેન્ટ સુધીનો રસ્તો ૧પ.રર કરોડના ખર્ચે ગૌરવપથ રુપી બનશે: જિલ્લા આયોજન મંડળ હસ્તક સાંસદ અને ધારાસભ્યના અનુદાનમાંથી ૩ કરોડ અને આર એન્ડ બી હસ્તક ૪.રપ કરોડના કામો થશે

જામનગર મહાનગર પાલિકા દ્વારા ફરી એક વખત ગૌરવ પથના નામે સારો રહેલો પાયલોટ બંગલાથી માન સરોવર સુધીનો રસ્તો ૧પ.રર કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આમ, નગરવાસીઓને વધુ એક ગૌરવ પથ મળશે જ્યારે શહેરમાં કોર્પોરેશન દ્વારા ૭૭ કરોડના ખર્ચે વિવિધ રસ્તા, સીસી રોડ અને પૅવર બ્લોક નાખવામાં આવશે.
આંતર માળખાકીય સુવિધા અને ભૌતિક સુવિધા આપવા કોર્પોરેશન તૈયાર છે, ભૂતકાળમાં બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે એક ટિપ્પણીમાં કહ્યું હતું કે, રસ્તાઓ તો હેમા માલિનીના ગાલ જેવા બનાવવા જોઈએ... એ વિધાન દેશભરમાં ટિકાને પાત્ર બન્યું હતું ત્યારે જામ્યુકો દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી ગ્રાન્ટમાંથી  ૪૩.૮૩ કરોડના ખર્ચે ૪૪ કામ કરવામાં આવશે તે ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોક ભાગીદારીની સ્કીમ હેઠળ વૉર્ડ નં.૧થી ૧૬માં સીસી અને પેવર બ્લોક ૩ર કરોડના ખર્ચે નખાશે.
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન નિલેશ કગથરાએ અગાઉ પણ જાહેર કર્યું હતું કે, શહેરના રસ્તાઓ ધીમે ધીમે અલગ અલગ વિસ્તારમાં બનશે, વોર્ડ નં.પમાં એક નવો ગૌરવ પથ બનાવવામાં આવશે. પાયલોટ બંગલાથી પંચવટી માન સરોવર ઍપાર્ટમેન્ટ સુધીનો રસ્તો કમ્પ્લીટ સ્ટ્રિટ તરીકે ૧પ.રર કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવશે જેમાં બે કિમીની લંબાઈમાં મુખ્ય માર્ગની બન્ને બાજુ સ્ટોમ વૉટર ફેસેલિટી, કેબલ ડક ફેસેલિટી, ડોબલ્ટ સ્ટોન, પેવર બ્લોક ફલોરિંગ પ્લાન્ટેશન, સર્વિસ રોડ, લાઈટીંગ, ગજેબો અને ફૂટપાથ ફર્નિચર વગેરેની સુવિધા કરવામાં આવશે.
આ ઉપરાંત ધારાસભ્યની ૧૦૦ ટકા ગ્રાન્ટમાંથી ૪ કરોડના ખર્ચે સીસી બ્લોક અને પેવર રોડ, જિલ્લા આયોજન મંડળ હસ્તક ધારાસભ્યની ૧૦-ર૦ અને ૧૦૦ ટકા ગ્રાન્ટમાંથી ૩ કરોડના ખર્ચે સીસી રોડ, આરસીસી બેંચ પણ કરાશે. જ્યારે ૧.રપ કરોડના ખર્ચે આર એન્ડ બી હસ્તક રસ્તાના કામો થશે.
કમિશનર મોદીના માર્ગદર્શન હેઠળ સિટી ઈજનેર ભાવેશ જાની, ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર હિતેશ પાઠક, નાયબ ઈજનેર રાજીવ જાની, ઉર્મિલ દેસાઈ, અનિલ ભટ્ટ સહિતના અધિકારીઓ અલગ અલગ રસ્તાઓ માટેનું સુપરવિઝન કરશે.
૧પમા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ ૪.પ૦ કરોડના ખર્ચે ડીપી રસ્તા ખૂલ્લા કરવામાં આવશે તેમજ ૬પ કિમી રસ્તા ખૂલ્લા કરવા માટે ૧૦ કરોડના અનુદાનનું આયોજન કરાયું છે. પૅકેજ-૧માં ગુલાબનગર ઑવરબ્રીજથી ધુંવાવ ૬ કિમીની લંબાઈમાં આસ્ફાલ્ટ સિકસ લેન, વાઈડનીંગ અને રેલવે બ્રીજથી ધુંવાવ બ્રીજથી લઈ ખીજડિયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ રિ-કાર્પેટીંગ (ર)સમર્પણ સર્કલથી ખંભાળિયા બાયપાસ બે કિમી લંબાઈ ૬ લેન વાઈડનીંગ અને દિગ્જામથી સમર્પણ સર્કલ, ખંભાળિયા બાયપાસ ૩ કિમી આસ્ફાલ્ટ રિ-કાર્પેટીંગ તેમજ ભાનુ પંપથી લાલપુર બાયપાસ ર.પ કિમી આસ્ફાલ્ટ રિ-કાર્પેટીંગનું આયોજન કરાશે.
વધુમાં કોર્પો. દ્વારા પૅકેજ-રમાં ૧૪.૯પ કરોડના ખર્ચે જ્ઞાન શક્તિ સર્કલથી સાંઢિયા પુલ સુધી ૧.૮ કિમીમાં આસ્ફાલ્ટ રિ-કાર્પેટીંગ, કાલાવડ નાકા બ્રીજથી મહાપ્રભુજીની બેઠક સુધી આસ્ફાલ્ટ, વાઈડનીંગ, રિ-કાર્પેટીંગ, મહાપ્રભુજીની બેઠક પાસેના ઈએસઆરથી હાપા મેઈન રોડ સુધી ૧.૮ કિમીમાં આસ્ફાલ્ટ રોડ ઉપરાંત વોર્ડ નં.૧થી ૧૬માં મુખ્ય-આંતરિક રસ્તા માટે ૩ કરોડ ફાળવવામાં આવ્યા છે.
***
મુખ્યમંત્રીએ ગૌરવ પથનું ઉદ્ઘાટન કર્યું છે અને એક મહિનામાં જ કામ શરુ થઈ જશે: ચેરમેન કગથરા
જામનગર મહા પાલિકા દ્વારા પાયલોટ બંગલાથી પંચવટી સુધીનો જે ગૌરવ પથ રસ્તો બનવાનો છે તેમાં તમામ સુવિધા હશે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે અને આવતાં મહિને આ રસ્તો બનાવવાનું કામ શરુ થઈ જશે તેમ સ્ટે. કમિટિ ચેરમેન નિલેશ કગથરાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આ રસ્તો ૧પ.રર કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવશે જેમાં બે કિમીની લંબાઈમાં મુખ્ય માર્ગની બન્ને બાજુ સ્ટોમ વૉટર ફેસેલિટી, કેબલ ડક ફેસેલિટી, ડોબલ્ટ સ્ટોન, પેવર બ્લોક ફલોરિંગ પ્લાન્ટેશન, સર્વિસ રોડ, લાઈટીંગ, ગજેબો અને ફૂટપાથ ફર્નિચર વગેરેની સુવિધા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application