સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરે અનેકવિધ કાર્યક્રમો યોજાશે

  • August 23, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં  આવેલા પ્રાચીન સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરે અનેકવિધ કાર્યક્રમો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.
છેલ્લા તેત્રીસ વર્ષથી શિક્ષણ, સેવા આધ્યાત્મિક અને સમાજ ઉત્કર્ષમાં શહેરમાં અનોખુ સ્થાન ધરાવતા પોરબંદરના શ્રી સિધ્ધેશ્ર્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પોરબંદરના શ્રી સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પોરબંદરની પાયોનિયર કલબ અને સાગરપુત્ર સમન્વય અને લાયન્સ કલબના પ્રમુખ પ્રવીણભાઇ ખોરાવા ‘બાપુ’ દ્વારા તા. ૨૬-૮-૨૪ ને ચોથા સોમવારે દેવાધિદેવ મહાકાલેશ્ર્વરના દિવ્ય દર્શન અને પ્રથમ વખત શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત મટકી ફોડનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. યશોદા મૈયાના લાડકવાયા અને મથુરાનગરીના બ્રિજમોહન ભગવાન શ્રીષ્કૃષ્ણનો મટકી ફોડ શ્રીકૃષ્ણ, શિવજી, શ્રીરામ, શ્રી હનુમાનજી, શ્રી નદી દેવ સહિત વેશભૂષા સાથે કાર્યક્રમ ભક્તિભાવ સાથે ઉજવવાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવેલ છે. 
સિધ્ધેશ્ર્વર મિત્રમંડળના યુવાનો પિરામીડ રચી આ મટકીફોડ ઉત્સવમાં સામેલ થશે તે સમયે  ઢોલ શરણાઇના સૂર સાથે વિવિધ પ્રકારના ફટાકડાની આતશબાજીથી આકાશમાં વિવિધ રંગોનો ચંદરવો રચાશે. 
ચોથા સોમવારના રોજ મહાદેવના ૧૨ જ્યોતિર્લિંગ પૈકી ત્રીજા સ્થાને આવતા દેવાધિદેવ શ્રી મહાકાલેશ્ર્વર જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન વિશેષ આયોજન કરવામાં આવેલ છે તેમજ ધ્વજારોહણ અને ફરાળી મહાપ્રસાદનું  આયોજન કરવામાં આવ્યુ છે. શ્રાવણ માસના પ્રારંભથી શિવમંદિર ખાતે શિવભકતો પંચામૃત, બીલીપત્ર, દૂધ, તલ તથા ગંગાજળ દ્વારા શિવલિંગને અભિષેક કરી પૂજા અર્ચના કરી રહ્યા છે. સંધ્યા આરતીમાં શિવાલય ‘હર હર મહાદેવ’ના જયઘોષ ગુંજી રહ્યા છે. ભકતો દ્વારા પૂજા, દીપમાલા, આરતી અને હોમાત્મકના નિત્ય  કાર્યો કરવામાં આવે છે. પોરબંદરના જી.ઇ.બી. સામે આવેલ હાઉસીંગ સોસાયટી બિરલા રોડ સ્થિત શ્રી સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ચોથા સોમવારે સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરેથી શ્રી મહાકાલેશ્ર્વર મંદિરના દિવ્ય દર્શન તથા શ્રીકૃષ્ણ જન્મોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. પોરબંદરની પાયોનિયર કલબ અને સાગરપુત્ર સમન્વય અને લાયન્સ કલબના પ્રમુખ અને દાતા પ્રવીણભાઇ ખોરાવા ‘બાપુ’ દ્વારા તા. ૨૬-૮-૨૪ ચોથા સોમવારે સવારે ૬:૩૦ મંગળા આરતી, સવારે ૯:૩૦ ધ્વજારોહણ, સાંજે ૭:૩૦ સંધ્યા આરતી, રાત્રે૧૦ થી ૧૧:૩૦ શ્રીકૃષ્ણ રાસલીલા રાત્રે ૧૧:૪૦ કલાકે મહાઆરતી શ્રી સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરના વિશાળ કમ્પાઉન્ડ ખાતે રાત્રિના ૧૨ વાગ્યે ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત મટકી ફોડ કાર્યક્રમ પ્રથમ વખત વિશેષ આયોજન અને સાંજના ૮ વાગ્યાથી રાત્રે ૧૨:૩૦ વાગ્યા સુધી ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ટ્રસ્ટના  પ્રમુખ જગદીશભાઇ પટેલ તથા દાતા પ્રવીણભાઇ ખોરાવા દ્વારા દિવ્ય દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી ભાઇ-બહેનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગત ત્રીજા સોમવારે સિધ્ધેશ્ર્વર મહાદેવના ચાંદીના સાફા સાથે વિશેષ દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવેલ જેમાં આજુબાજુ સોસાયટી સહિત આ દર્શનનો લાભ શહેરના ભાવિકજનોએ લીધો હતો. અંદાજે એક હજાર ભાવિકજનોએ ફરાળી મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતાની લાગણી અનુભવી હતી. 
આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા શ્રી સિધ્ધેશ્ર્વર યુવક મંડળના પ્રમુખ દેવાભાઇ આહીરના માર્ગદર્શન હેઠળ પૂજારી ધર્મેશભાઇ જોશી, ભીખુભાઇ જોશી, ભરતભાઇ ભટ્ટ, નરસિંહભાઇ કનારા, નાગાભાઇ મોઢવાડીયા, કિરણબેન ગોસ્વામી, મહિલા સત્સંગ મંડળના પ્રમુખ વેજીબેન કેશવાલા, પુરીબેન ગોરાણીયા, રતનબેન યુવક મંડળના સેવાભાવી યુવાનો સહિત શિવભકતો સારી જહેમત ઉઠાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application