નવી વેરાવળ- સાબરમતી વંદે ભારત ટ્રેનનું વેરાવળ ખાતે વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન

  • May 26, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વિશેક માસથી ચાલી રહેલી સૌરાષ્ટ્રની પ્રથમ 'વંદે ભારત' ટ્રેન હાલ ઓખા- અમદાવાદ વચ્ચે સફળતાપૂર્વક દોડી રહી છે, ત્યારે રેલ તંત્ર દ્વારા સૌરાષ્ટ્રને વધુ એક વંદે ભારત ટ્રેન ફાળવવામાં આવી છે. જેમાં તા. 27 મે 2025થી રેગ્યુલર શરૂ થનારી સાબરમતી- વેરાવળ- સાબરમતી બીજી 'વંદે ભારત' એક્સપ્રેસ ટ્રેનનું આજે સોમવારે તા. ૨૬ મેના રોજ સવારે ૧૧-૩૦ વાગે વડાપ્રધાન મોદીના હસ્તે દાહોદ રેલવે સ્ટેશનથી વિડિયો કોન્ફરન્સિંગથી લીલી ઝંડી બતાવીને વેરાવળ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ને ભાજપ અગ્રણીઓની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વિસાવદર ચૂંટણીની આચારસંહિતાને કારણે જૂનાગઢ ખાતે સ્વાગત કાર્યક્રમ રદ થયો હતો, રાજકોટ સહિતના રેલ્વે સ્ટેશનો ખાતે ભાજપ અગ્રણીઓ, ચેમ્બર ઓફ કોમર્સ સહિતના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રની આ બીજી વંદે ભારત ટ્રેન આવતીકાલ મંગળવાર તા. ૨૭ મે ૨૦૨૫થી ગુરુવાર સિવાયના દિવસોએ સાબરમતી- વેરાવળ- સાબરમતી વચ્ચે નિયમિત દોડતી થતાં ગુજરાત સૌરાષ્ટ્રના યાત્રાળુઓને દેશના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ-પ્રભાસ તીર્થની યાત્રા સુવિધામાં વધારો થયો છે.

દાહોદ ખાતે ઇલેક્ટ્રીક લોકોમોટીવ એન્જિન ઉત્પાદન મથક સહિતના વિકાસ કાર્યોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણની સાથે આજે 26 મે, 2025ના રોજ આ ટ્રેન નં. 09502 સાબરમતી- વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું વિડિયો કોન્ફરન્સિંગથી લીલી ઝંડી ફરકાવતા વેરાવળથી 11.30 વાગ્યે ઉદ્ઘાટન થવા સાથે રવાના થયેલી આ ટ્રેનનું માર્ગમાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો ઉપર ભવ્ય સ્વાગત થયું હતું. આ ઉદ્ઘાટન ટ્રેન સાંજે 18.25 વાગ્યે સાબરમતી પહોંચશે.

અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે વેપાર-ધંધા માટે પણ હજારો લોકો અવરજવર કરે છે. આ તમામ માટે આનંદના સમાચાર છે. આવતીકાલથી રેગ્યુલર ટ્રેન નં. 26901 સાબરમતી વેરાવળ વંદેભારત એક્સપ્રેસ દર ગુરૂવાર સિવાય સાબરમતી સ્ટેશન (ધરમનગર બાજુ)થી સવારે 5:25 વાગે ઉપડશે અને બપોરે 13 :25 વાગે વેરાવળ પહોંચશે, તેમજ આજ દિવસે દર ગુરૂવાર સિવાય વેરાવળ સ્ટેશનથી બપોરે 14:40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21.35 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. આ ટ્રેન નં. 26901 અને 26902 નું બુકિંગ ગઈકાલથી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થઇ ગયું છે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ રીકલાઇંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application