ગોંડલના વોરાકોટડામાં કાકા-ભાઈ છરી સાથે તૂટી પડ્યા અને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

  • May 28, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે જમીન પ્રશ્ને ભાઈઓ વચ્ચે થયેલી તકરાર લોહિયાળ સાબિત થઈ હતી. કાકા-ભાઈએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આ આધેડનું મોત થયું હતું. જ્યારે તેના પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હત્યાની ઘટનાને લઇ ગોંડલ તાલુકા પોલીસે મૃતકના પુત્રનું નિવેદન લઇ તપાસ હાથ ધરી છે. વોરાકોટડા ગામની સીમમાં ભાઈઓને વારસાઈ જમીન આવેલી હોય જેમાં હલણ સહિતની બાબતને લઈ છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. દરમિયાન ગઈકાલ રાત્રિના કાકા-ભાઇ સહિતનાઓએ આધેડ અને તેના પુત્ર પર છરી વડે હુમલો કરી દેતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.​​​​​​​

પિતા-પુત્ર બંને ગંભીર રીતે ઘવાયા હતા

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે રહેતા રાજેશ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરીયા (ઉ.વ 45) અને તેના પુત્ર અનિલ સાકરિયા (ઉં.વ 23) પર રાત્રીના દોઢેક વાગ્યે આસપાસ વાડીએ હતા ત્યારે તેમના રમેશભાઇના કાકા ચીનુ જીણાભાઇ સાકરીયા તેનો પુત્ર અજય સહિતનાઓએ ઝઘડો કરી છરી વડે હુમલો કરી દેતા પિતા-પુત્ર બંને ગંભીર રીતે ઘવાયા હતા. જેથી બંનેને પ્રથમ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રમેશભાઇ ઉર્ફે રાજેશભાઇનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ઇજાગ્રત અનિલ સાકરિયાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.


પુત્ર અનિલ હાલ રાજકોટમાં સારવાર હેઠળ 

હત્યાના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રમેશ ઉર્ફે રાજેશભાઈ અને તેના પુત્ર અનિલ પર છરી વડે હુમલો કરનાર ચિનુ સાકરીયા રાજેશભાઈના કાકા છે જ્યારે અજય તેનો ભાઇ છે. વારસાઈ જમીન બાબતે ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકૂટો ચાલતી હતી. ખેતરમાં હલણ પ્રશ્ન તેમજ ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવાર વચ્ચે ઝઘડાઓ થતા હતા. દરમિયાન ગઈકાલ રાત્રીના પિતા-પુત્ર સહિતનાએ આવી ઝઘડો કરી બાદમાં છરી વડે હુમલો કરી દીધો હતો. જેમાં સામાપક્ષે રાજેશ ઉર્ફે રમેશભાઈ અને તેનો પુત્ર અનિલ બંને ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં રાજેશભાઈનું મોત થયું છે જ્યારે તેનો પુત્ર અનિલ હાલ રાજકોટમાં સારવાર હેઠળ છે.


હત્યાના બનાવને લઈ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ એ.ડી. પરમાર તથા આ અંગે તપાસ હાથ ધરી મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application