જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે બે દિવસ માટે પક્ષી ગણતરી અભિયાન..
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે બે દિવસ માટે પક્ષી ગણતરી અભિયાન..
February 07, 2026 11:36 AM
ભારત દેશમાં રામસર સાઇટ તરીકે જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણને મહત્વનું સ્થાન મળેલું છે, ત્યારે જામનગરનું પ્રકૃતિ પ્રેમીઓ અને બર્ડ વોચર માટેનું મહત્વનું એવું સ્થાન ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે તારીખ 6 અને 7 ફેબ્રુઆરી બે દિવસ માટે પક્ષી ગણતરીનો કાર્યક્રમ જામનગર મરીન નેશનલ પાર્ક અને ખીજડીયા પક્ષી અભ્યારણ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
પક્ષી ગણતરી અંતર્ગત વન વિભાગના સીસીએફ મનીશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ ડીસીએફ પ્રસાદરવિ રાધાક્રિષ્નનની દેખરેખ હેઠળ તેમજ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણના RFO દક્ષાબેન વઘાસિયા અને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણમાં 12 ઝોન બનાવી અને દરેક ઝોન વાઈસ એક ટીમની રચના કરી જેમાં ફોરેસ્ટ અધિકારીઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ અને ગુજરાતભરમાંથી આવેલા બર્ડ વોચરોની ટીમો બનાવી કુલ 100 જેટલા સભ્યો અને પ્રકૃતિ પ્રેમીઓ હાલ પક્ષી ગણતરી અભિયાન હાથ ધરી રહ્યા છે.
મહત્વનું છે કે ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે દેશ વિદેશના પક્ષીઓ આવતા હોય ત્યારે આ વર્ષની પક્ષી ગણતરી દરમિયાન અનેક નવા પક્ષીઓની પ્રજાતિઓ પણ સામે આવી શકે છે.
જેની જાણકારી આજે સાંજ બાદ ખીજડીયા પક્ષી અભ્યારણ અને મરીનેશનલ પાર્કમાં અધિકારીઓ દ્વારા જાહેર પણ કરવામાં આવી શકે છે અને હાલ ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે પક્ષીઓની કેટલી પ્રજાતિઓ ઉપસ્થિત છે અને બર્ડ-વોચરો કેટલા પક્ષીઓને જોવા માટેનો આનંદ માણી શકશે તેનો પણ આંકડો સામે આવશે.
આ સેન્ચ્યુરીમાં ગત વર્ષે આ સેન્ચ્યુરીમાં ૨ લાખ ૮૯ હજાર જેટલી પક્ષી સંખ્યા અને અને વિવિધ ૨૯૦થી વધુ ભારતીય અને વિદેશી પક્ષી પ્રજાતિઓએ અહીં શિયાળો ગાળ્યો હતો. તેમ નોંધાયું હતું.
અહીં પક્ષીઓના પ્રાકૃતિક આવાસને કોઈ ખલેલન પહોંચે તે બાબતની જાળવણી વન વિભાગ માટે કેન્દ્ર સ્થાને છે.
જોકે જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે પક્ષી ગણતરી અભિયાન અંતર્ગત તારીખ 6 અને 7 ફેબ્રુઆરીના રોજ મુલાકાતીઓ માટે ખીજડીયા પક્ષી અભ્યારણ બંધ રાખવામાં આવ્યું હતું.
પરંતુ આ પક્ષી ગણતરી અભિયાન આજે સાંજે પૂર્ણ થયા બાદ તારીખ 8 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ મુલાકાતીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ખીજડીયા પક્ષી અભયારણની મુલાકાત પણ લઈ શકશે.