ભારત પર આજથી ટ્રમ્પનો 26 ટકા ટેરિફ લાગુ, ભારતીય પ્રોડક્ટની માગ ઘટવાની સંભાવના, જાણો તેની પાછળનું કારણ

  • April 09, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 180 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો છે. આ દરેક દેશ પર આજથી લાગુ થયો છે. ટ્રમ્પે ભારત પર પણ 26 ટકા ટેરિફ લાદ્યો છે. આથી ભારતથી અમેરિકા જતી દરેક ભારતીય વસ્તુઓ પર 26 ટકા ડ્યુટી વસૂલવામાં આવશે. આથી ભારતના ઉદ્યોગો પર આની અસર પડશે. અમેરિકામાં ભારતીય માલ પર ટેરિફ લાદવાથી તે માલના ભાવ ચોક્કસપણે વધશે. જેના કારણે ત્યાં ઓછા ટેરિફ લાદેલા છે એવા દેશોની સરખામણીમાં ભારતીય પ્રોડક્ટની માગ ઓછી થઈ શકે છે. ભારત ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, હીરા અને ઝવેરાત, ઓટોમોબાઇલ્સ અને કાપડ જેવી વસ્તુઓની નિકાસ કરે છે. 


ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની દવાઓ પર સૌથી વધુ અસર પડશે. સસ્તી દવાઓ ભારતથી અમેરિકા જાય છે. અમેરિકા ભારતમાંથી 12 અબજ ડોલરથી વધુ કિંમતની દવાઓ અને ફાર્મા ઉત્પાદનોની આયાત કરે છે. 2023-24માં ભારતનો અમેરિકા સાથેનો દવાનો વેપાર 35.32 અબજ ડોલર સરપ્લસ હતો, જે ટેરિફ દ્વારા ઘટાડી શકાય છે એવું ટ્રમ્પ માને છે.


વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની નિકાસ 73.7 બિલિયન ડોલર છે જ્યારે અમેરિકાથી આયાત 39.1 બિલિયન ડોલર છે. જો કે, યુએસ સરકારના આંકડા આનાથી અલગ છે. અમેરિકાના ડેટા દર્શાવે છે કે, ભારતની નિકાસ 91.2 બિલિયન ડોલર અને આયાત 34.3 બિલિયન ડોલરની છે. અમેરિકા સાથે વ્યાપાર કરવો એ ભારત માટે નફાકારક સોદો રહ્યો છે કારણ કે તેની આયાત ઓછી છે અને નિકાસ વધુ છે. ટેરિફને કારણે નિકાસ ઘટી શકે છે.


વિશ્વ વેપાર સંગઠનના ડેટા અનુસાર, ભારતમાં સરેરાશ ટેરિફ સૌથી વધુ છે એટલે કે  સરેરાશ ટેરિફ 17 ટકા છે, જ્યારે અમેરિકામાં તે માત્ર 3.3 ટકા છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અહેવાલ મુજબ, ભારતમાં અમેરિકાથી આવતી ખાદ્યચીજો, માંસ અને પ્રોસેસ્ડ ફૂડ પર 37.66 ટકા ટેરિફ વસૂલવામાં આવે છે, જ્યારે ભારત અમેરિકામાં સમાન માલ પર 5.29 ટકા ટેરિફ ચૂકવતું હતું.


અત્યારસુધી, ભારત ઓટોમોબાઈલ પર 24.14 ટકા ટેરિફ લાદી રહ્યું છે જ્યારે અમેરિકા 1.05 ટકા ટેરિફ લાદી રહ્યું છે. ભારત દારૂ પર 124.58 ટકા ટેરિફ વસૂલ કરે છે જ્યારે અમેરિકા 2.49 ટકા ટેરિફ વસૂલ કરે છે. અમેરિકામાં સિગારેટ અને તમાકુ પર 201.15 ટકા અને ભારતમાં 33 ટકા ટેરિફ છે.


ટ્રમ્પ માને છે કે ટેરિફની મદદથી અમેરિકાની વેપાર ખાધ ઘટાડી શકાય છે. વેપાર ખાધ એ એવી સ્થિતિ છે જ્યારે કોઈ દેશ બીજા દેશ પાસેથી વધુ આયાત કરે છે પરંતુ નિકાસ ઓછી કરે છે. ભારત અને અમેરિકા વચ્ચે લગભગ 45 બિલિયન ડોલરની વેપાર ખાધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application