ઉંચડી ગામે બે મંદિરમાં તસ્કરોનો હાથફેરો

  • March 16, 2024 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લામાં ધર્મિક સ્થાનોને નિશાન બનાવતા તસ્કરોની ટોળકી સક્રિય બની હોય તેમ એક પછી એક મંદિરમાં ચોરીના બનાવ સામે આવી રહ્યા છે. પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ નિશાચરો પોતાની કળા અજમાવી જુદી-જુદી જગ્યાઓ પરથી લાખોની મત્તા ઉઠાવી ગયા હતા. તળાજા તાલુકાના ઊંચડી ગામે તસ્કરોએ મંદિરને નિશાન બનાવી લાખોની મત્તા ઉઠાવી ગયા હતા. એક સાથે બે મંદિરમાં તાળા તોડીને આશરે અઢી લાખ રૂપિયાથી વધુના રોકડ રકમ તેમજ સોના-ચાંદીનાની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા.

આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં હવે જાણે તસ્કરોને મંદિર આસાન શિકાર લાગતા હોય તેમ એક પછી એક મંદિરમાં ચોરીની ઘટના સામે આવી રહી છે. શહેરના અકવાડામાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું તો સાથે જ તળાજા થી પાલીતાણા જતા હાઇવે ઉપર ખોડીયાર માતાજીના મંદિરમાં તેમજ તળાજા ડુંગર પર્વત ઉપર બિરાજતા ખોડીયાર માતાજીના મંદિરમાં પણ અગાઉ તસ્કરોએ ખેપ મારી હતી. અને રોકડ રકમ તેમજ ઘરેણા ઉઠાવી ગયા હતા. તેવી જ રીતે આજે ગતરાત્રી દરમિયાન તળાજા તાલુકાના ઉંચડી ગામે હનુમાનજી મંદિરના તાળા તોડ્યા હતા. તેવી જ રીતે અહીં આવેલ શિવ મંદિર તેમજ રામજી મંદિરમાં પણ તસ્કરો પોતાની કળા અજમાવી ગયા હતા. ઉંચડી ગામના એક વ્યક્તિના જણાવ્યા અનુસાર આ બંને મંદિરમાં થી રોકડ રકમ તેમજ ભગવાનના આભૂષણો મળી અને અઢી લાખથી વધુના રોકડ રકમ તેમજ આભૂષણો તસ્કરો ઉઠાવી ગયા હતા. તેમ lજ અહીં લાગેલ સીસીટીવી કેમેરા તોડી નાખી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. એક સાથે બે મંદિરમાં ચોરીની ઘટના અંગે પોલીસને જાણ કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application