રાજકોટ જિલ્લામાં ટુરીઝમ ડેવલપમેન્ટ એટલે ધાર્મિક સ્થાનોનો વિકાસ !

  • March 04, 2024 10:54 AM 

રાજકોટ જિલ્લામાં પ્રવાસન અને પર્યટનને ડેવલપ કરી શકાય તેવા અનેક સ્થાન છે. પરંતુ રાજકોટ જિલ્લામાં પ્રવાસન અને પર્યટન ડેવલપમેન્ટ એટલે ધાર્મિક સ્થાનોનો વિકાસ તેવી સીમિત વ્યાખ્યામાં સ્થાનિક તંત્ર બંધાઈ ગયું હોય તેવું લાગે છે. ઓસમ ડુંગર અને ઘેલા સોમનાથ મંદિર વિકાસના કામો થાય તે સમજી શકાય તેવું છે. પરંતુ પ્રવાસ અને પર્યટન માટે અન્ય સ્થાનો ઉપેક્ષિતની અથવા તો પૂરતા વિકાસની વ્યાખ્યામાં ન આવે અને તેનું ડેવલપમેન્ટ ન થાય તે બાબત પર્યટન પ્રેમીઓ ને ખુચી રહી છે.
રાજકોટ જિલ્લામાં ખંભાલીડાની બૌદ્ધ ગુફા, ઈશ્વરીયા પાર્ક, કસ્તુરબા ગાંધી અને મણીબેન પટેલને ત્યાં નજરકેદ રાખ્યા હતા તે સ્થાન. શહેરના અનેક સ્થાન એવા છે કે તેનો વિકાસ થઈ શકે તેમ છે. પરંતુ મોટાભાગે સ્થાનિક વિસ્તારમાં ખૂબ જાણીતા હોય પરંતુ બહારના લોકો માટે પૂરતા જાણીતા ન હોય અથવા તો અજાણ્યા હોય તેવા ધાર્મિક સ્થળોના વિકાસ માટે પ્રોજેક્ટ હાથ લેવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચ સાથે વિકાસ થાય છે તે સારી વાત છે. પરંતુ મહત્વના સ્થળોનો પણ તેમાં ઉમેરો થવો જોઈએ તેવી લાગણી પ્રબળ બની છે.

પ્રવાસનની બેઠકમાં મોટાભાગના પ્રોજેક્ટોની ચર્ચામાં તો ’ચકી ચોખા ખાંડે છે, મોર પગલા પાડે છે’ જેવી વાતો અને ઠાગાઠૈયા કરું છું જેવી વાતો વધુ થતી હોય તેવી ફરિયાદ પણ ખુદ અમુક અધિકારીઓ કરી રહ્યા છે. આવા અધિકારીઓ પોતાની વાતના સમર્થનમાં જણાવે છે કે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ના વિકાસ માટે ૧.૮૬ કરોડનો ખર્ચ મંજૂર થયો છે. તાંત્રિક મંજૂરી અને ઈલેક્ટ્રીક મંજૂરી મળી ગઈ છે. જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડર ખોલવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે. ૧૧ સપ્ટેમ્બરના રોજ ટેન્ડર પ્રક્રિયા પૂરી કરાયા પછી છેલ્લે છ ફેબ્રુઆરીએ એટલે કે એટલે કે પાંચ મહિના પછી કલેક્ટર કચેરીની બેઠકમાં એવી વાત કરવામાં આવી છે કે વર્ક ઓર્ડર ડિપોઝિટ જમા કરાવ્યા પછી આપવામાં આવશે. પાંચ મહિના સુધી ડિપોઝિટ જમા ન થાય અને તંત્ર હાથ જોડીને બેસી રહે તે કેવું? ઘેલા સોમનાથ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત મુખ્યમંત્રીએ લાંબા સમય પહેલા કરી છે. પરંતુ આ ગ્રાન્ટ ની રકમ હજુ સુધી રાજકોટ જિલ્લા કલેકટર તંત્રના હવાલે મુકવામાં આવી નથી. આ સંદર્ભે હવે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને દરખાસ્ત મોકલવામાં આવશે. મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી આ સમગ્ર બાબત ટેકનિકલ ફોલ્ટમાં ગૂંચવાઈ ગઈ છે.

કોટડા સાંગાણી તાલુકામાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વિકાસ માટે ૧૯૦ લાખની ગ્રાન્ટ આવી છે. તેમાંથી ૭૦% રકમ રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હવાલે મૂકી દેવામાં આવી છે. આ માટે જેને કામ સોંપવામાં આવ્યું હતું તે એજન્સીની કામની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને હવે બિલ્ડીંગ મટીરીયલના ભાવમાં વધારો થયો હોવાથી આ એજન્સીએ પોતાને કામમાંથી છૂટા કરવા માટે સહમતી માંગી હતી. જે મંજૂર થઈ છે અને હવે નવેસરથી રીટેનડરની પ્રક્રિયા કરવામાં આવશે. આ જગ્યાએ ઘાટ બનાવવાનો પ્રોજેક્ટ છે પરંતુ તેમાં મુશ્કેલી ઉભી થવાની સંભાવના કાર્યપાલક ઇજનેર અને પ્રાંત અધિકારીએ દર્શાવતા ઈરીગેશન ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય લઈને કામ કરવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત પ્રાંત અધિકારી વિઝીટ કરીને અહીં રિવરફ્રન્ટ બનાવી શકાય કે નહીં તે બાબતે તપાસ કરી રિપોર્ટ આગામી મિટિંગમાં રજૂ કરશે.

ગોંડલ તાલુકાની સેમળી નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે ૨૦૧૫માં સરકારના ઠરાવ મુજબ બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અન્ય પ્રોજેક્ટની માફક આ પ્રોજેક્ટમાં પણ ૭૦% રકમ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ મૂકી દેવામાં આવી છે. ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ ના ટેકનિકલ મંજૂરી અને ઈલેક્ટ્રિકલ મંજૂરી મળી ગઈ છે. પરંતુ છેલ્લી ઘડીએ એવું થયું છે કે માત્ર એક એજન્સીએ જ આ કામમાં રસ દાખવીને ટેન્ડર ભર્યું છે અને તેથી સમગ્ર પ્રકરણ સરકારમાં મોકલી માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.
ગોંડલમાં આવેલ શ્રીરામ મંદિર અંદાજિત રૂપિયા ૬૩.૪૬,૫૦૦ના ખર્ચે ડેવલપ કરવાનું નક્કી થયું છે. આમાં ૨૦ ટકા રકમ ટ્રસ્ટ જમા કરાવશે. જિલ્લા પ્રવાસન સમિતિ તરફથી આ બાબત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને મોકલી આપવાનું નક્કી કરાયું છે. ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા મુરલી મનોહર મંદિરના ડેવલપમેન્ટ માટે સરકારે નિર્ણય લીધો છે. પરંતુ આ મામલે સ્થાનિકોનો ભારે વિરોધ છે. મંદિરના અંદરના ભાગનો વિકાસ પુરાતત્વ વિભાગ દ્વારા અને બહારના ભાગનો વિકાસ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત છે. મંદિરની જાળવણી અને સલામતી માટે જીણોર્દ્ધાર, યજ્ઞશાળા વ્યવસ્થા, રંગ રોગાન, પેવર બ્લોક, પાર્કિંગ સેડ, શૌચાલય દિવ્યાંગો માટે રેમ્પ, વૃક્ષારોપણ વગેરે કામો કરવામાં આવનાર છે. પરંતુ સ્થાનિકોનો વિરોધ પણ છે. આ મંદિરનું કોઈ ટ્રસ્ટ નોંધાયું નથી પરંતુ તે માટે સરકારમાં હવે દરખાસ્ત કરવામાં આવી છે.

જસદણ તાલુકાના કનેસરા ગામે આવેલ કન્નાથ મહાદેવ મંદિરના વિકાસ માટેની દરખાસ્ત આ વખતની બેઠકમાં આવી પડતા તે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને મોકલી આપવાનું નક્કી કરાયું હતું. આ મંદિર સુધી પહોંચવાના રસ્તાની દરખાસ્ત સરકારમાં મોકલવા જિલ્લા પંચાયતને જણાવ્યું છે. આ મંદિરનું પણ કોઈ રજીસ્ટર્ડ ટ્રસ્ટ નથી. પરંતુ ત્યાં વિકાસ હાથ ધરવામાં આવશે. આવું જ બીજું એક ધર્મસ્થાન જસદણ તાલુકાના આટકોટ ગામે લોયણ માતાજીનું મંદિર છે.તેના વિકાસની દરખાસ્ત પણ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મોકલી આપવામાં આવનારી છે અને રસ્તા માટે સરકારમાં દરખાસ્ત અલગથી કરાશે.
​​​​​​​
વિછીયા તાલુકાના જનડા ગામે જનડા પીર યાત્રાધામ વિકાસ માટેની દરખાસ્ત આવી હતી અને તેમાં એવું જણાવ્યું છે કે આ જગ્યામાં દર ગુરુવારે ૨૫૦ થી ૩૦૦ જેટલા યાત્રાળુઓ માનતા માટે આવે છે. આ યાત્રાધામ ટ્રસ્ટમાં નોંધાયેલ નથી પરંતુ વકફ બોર્ડ હેઠળ નોંધણી થઈ છે. પ્રાંત અધિકારી જસદણ દ્વારા કરવામાં આવેલી આ દરખાસ્ત સરકારની ૧૧ એપ્રિલ ૨૦૨૩ના ઠરાવની જોગવાઈની પૂર્તતા ન કરતી હોવાથી આ કામ ડ્રોપ કરવાનો નિર્ણય કરાયો છે.
પાટણવાવ ખાતે આવેલા ઓસમ ડુંગરના ડેવલપમેન્ટની મોટાભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે અને હવે તેના સંચાલન માટે પાટણવાવના મેળા જેવી આવકમાંથી ખર્ચ કાઢવા નક્કી કરાયું હતું. સ્થાનિક તંત્ર પાસેથી લેખિત સંમતિ મેળવવા ધોરાજીના પ્રાંત અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને ઇરીગેશન તથા પંચાયતને સાથે રાખી કામ કરવા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application