કાલે ભીમ અગીયારસ: સાસરેથી દિકરીને તેડી રસ-પુરી જમાડવાનો ગ્રામ્ય વિસ્તારમાં રિવાજ

  • June 05, 2025 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોહિલવાડમાં આવતીકાલે તા.૬ને શુક્રવારે જેઠ સુદ અગિયારસના રોજ ભીમ અગિયારસ,નિર્જળા એકાદશીનું પર્વ મનાવવામાં આવશે. અનેક ભાવિકો પાણી વગર એકાદશીનું વ્રત કરી નકોરડો ઉપવાસ કરશે.ભીમ અગિયારસ નિમિત્તે કેરીનું દાન કરવાનું અને આરોગવાનું મહાત્મ્ય રહેલુ છે.જો કે બે અગિયારસ હોવાથી અનેક ભાવિકો કાલે શુક્રવારે તો કેટલાક ભાવિકો શનિવારે ભીમ અગિયારસની ઉજવણી કરશે.
મહાભારતના સમયમાં ભીમે પાણી વગર જેઠ સુદ અગિયારસનું વ્રત કર્યું હોવાથી આ પર્વને ભીમ અગિયારસ અથવા તો નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.આથી આવતીકાલે શુક્રવારે  જેઠ સુદ અગિયારસના દિવસે અનેક ભાવિકો જળ ગ્રહણ કર્યા વગર નિર્જળા એકાદશીનો નકોરડો ઉપવાસ કરી વ્રત કરશે. ભીમ અગિયારસ નિમિત્તે લોકો કેરી ખાઈને પર્વ મનાવે છે. પરણેલી બહેન અને દીકરીના ઘેર કેરી મોકલવાનો રિવાજ છે.કેટલાક લોકો પરિણીત બહેન અને દીકરીને ઘરે જમવા માટે તેડાવે છે.જે રિવાજ આજે પણ મોટાભાગે લોકો પાળે છે. તદુપરાંત મંદિરોમાં,ગરીબોને,સાધુ સંતોને કેરીનું દાન કરશે.
આ વર્ષે કેરી મોંઘી હોવા છતાં લોકો ભીમ અગિયારસના દિવસે કેરી ખાઈને મનાવશે.ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું માહાત્મ્ય રહેલું છે.હાલ બજારમાં  કેરી રૂ.૧૦૦થી ૧૨૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
ભીમ અગિયારસના શુકનવંતા દિવસે ખેડૂતો સમયસર વરસાદ થયો હોય તો વાવણીનો પ્રારંભ કરતા હોય છે. ત્રણેક દસકા અગાઉ મોટાભાગે વરસાદ સમયસર થતો અને ઋતુચક્ર નિયમિત હતું ત્યારે ભીમ અગિયારસના શુકનવંતા વાવણા કરવામાં આવતા હતા. ખેડૂતો બળદ કે ટ્રેક્ટર અને  તેમના ઓજારોને ચાંદલા કરીને ભીમ અગિયારસના શુકન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application