કાલે મહાશિવરાત્રી ભોળાનાથની ભક્તિમાં ભાવિકો બનશે લીન

  • March 07, 2024 03:18 PM 

આવતીકાલે તારીખ ૮ને શુક્રવારે મહાશિવરાત્રી પર્વ નિમિતે ભાવિકો ભોળાનાથની ભક્તિમાં લીન બનશે.

ગોહિલવાડના ગામેગામ વહેલી સવારથી જ શિવજીની વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરવામાં આવશે. ભાવનગર શહેરમાં શિવજીની શોભાયાત્રા નીકળશે. ભાવિકો ઉપવાસ રાખશે અને ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોમાં સુંદર સુશોભન કરવામાં આવ્યું છે અને રોશનીનો શણગાર કરાયો છે.


 કાલે તારીખ ૮ને શુક્રવારે મહાશિવરાત્રી પર્વ છે. મહાશિવરાત્રી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. ભાવિકો ભોળાનાથની ભક્તિમાં લીન બનશે.ગોહિલવાડના ગામે ગામ શિવાલયોમાં વિવિધ પ્રકારે ભોળાનાથની ભક્તિ કરવામાં આવશે.

વહેલી સવારથી જ શિવાલયોમાં પૂજા, અર્ચના અને દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જામશે. શિવજીને જળ, દુધ,કાળા તલ,મધ,શેરડીનો રસ વગેરેથી અભિષેક કરવામાં આવશે તેમજ બિલિપત્ર અર્પણ કરવામાં આવશે. 


  ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઊઠશે. શિવાલયમાં તેમજ અને જ્ઞાતિની વાડીઓમાં લઘુરુદ્ર, મહારુદ્ર અને મહાપ્રસાદ ના આયોજનો કરવામાં આવ્યા છે. શહેરના અનેક શિવાલયો જેવા કે ભીડભંજન મહાદેવ, તખ્તેશ્વર મહાદેવ, નારેશ્વર મહાદેવ, થાપનાથ મહાદેવ, કૃષનેશ્વર મહાદેવ,ઓમકારેશ્વર મહાદેવ, ચંદ્રેશવર મહાદેવ,સર્વેશ્વર મહાદેવ તેમજ શિહોરના નવનાથ સહિતના શિવાલયોમાં મહાઆરતી, દીપમાળા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.શિવજીની ચાર પ્રહરની પૂજા કરાશે.


  કાલે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભાવીકો ઉપવાસ કે એકટાણું કરશે. ખાસ કરીને ભાવિકો શક્કરિયા અને દૂધ તેમજ શક્કરિયાનો શીરો રાજગરાની પૂરી, સુકી ભાજી,શ્રીખંડ, મઠો વગેરેનું ફરાળ કરશે. ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે.શિવાલયો નજીક ભાંગના વેચાણની લારીઓ ઉભી રહેશે.


  માળનાથ ગ્રુપ દવારા તા.૮-૦૩ને શુક્રવારનાં રોજ મહાશિવરાત્રીનું પાવન પર્વ હોઈ આ પવિત્ર દિવસે ભંડારીયા સ્થિત, માળનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીનાં દિવસે વહેલી સવારે ૬ કલાકે દિપ-માળા, સવારે ૯-૩૦ કલાકે - ધ્વજારોહણ, બપોરે ૧૨-૩૯ કલાકે -દિપમાળા, સાંજનાં ૭ કલાકે - દિપમાળા, રાત્રીનાં ૧૨ કલાકે - દિપમાળા, તથા જય માળનાથ ગ્રુપ દવારા મહાપ્રસાદ (ફળાહાર) નું વિતરણ સવારે ૧૦ કલાકથી સાંજ સુધી કરાશે.શિવપુજા, શિવપુજા સ્તવન તેમજ આ પ્રસંગે પધારનાર શિવભકતોને શિવદર્શનનો વિશિષ્ટ લાભ મળશે તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન માળનાથ ગ્રુપ દવારા પરંપરા સ્વરૂપે આયોજન કરવામાં આવેલ છે. તો દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

  કાલે શુક્રવારે બપોરે શહેરના જશોનાથ મંદિરથી પ્રતિવર્ષની માફક શિવજીની વિશાળ શોભાયાત્રા નીકળશે.જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાશે.આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી ભીડભંજન મહાદેવ ખાતે મહાઆરતી કરી પૂર્ણ થશે. 


  તદુપરાંત શહેરના ભરતનગર ખાતે આવેલા યોગેશ્વરનગરમાં મહાકાલેશ્વર મહાદેવના મંદિરેથી સાંજે ૫ કલાકે ૧૫મી શોભાયાત્રાનો પ્રારંભ થશે. આ શોભાયાત્રા ભરતનગરના વિવિધ માર્ગો પર ફરી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે વિરામ લેશે.સાંજે ૭.૩૦ કલાકે મહા પ્રસાદ યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application