અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીની ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના ડૂબી જતા મોત, પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો

  • May 16, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના દાણીલીમડામાં આવેલા ખોડિયારનગર વિસ્તારમાં જીન્સ બનાવતી કંપનીની ટાંકીમાં ત્રણ યુવકો ઉતર્યા હતા. આ ત્રણેય યુવક અંદર જ ડૂબી જતા તમામના મોત થયા છે. જોકે મૃતકોના પરિવારે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય યુવકના મૃતદેહો રાતભર ટાંકીમાં જ રહ્યા હતા. 


યુવકોની ઉંમર 25-30 વયની વચ્ચે હોવાનું સામે આવ્યું

ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનો દોડી આવ્યા હતા અને કંપની સામે આક્ષેપો કર્યા હતા. મૃતક ત્રણેય યુવકોની ઉંમર 25-30 વયની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


ત્રણ યુવકોના ટાંકીમાં ડૂબવાથી મોત નિપજ્યા

મળતી માહિતી પ્રમાણે, દાણીલીમડામાં ખોડિયારનગર પાસે જીન્સ બનાવતી કંપનીમાં ત્રણ યુવકોના ટાંકીમાં ડૂબવાથી મોત નિપજ્યા છે. આ યુવકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં રહ્યા હોવાના કારણે તેમના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોના મૃતદેહોને મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે. 


કંપનીએ કામદારોને જોખમી રીતે ટાંકીમાં જ છોડી દીધા હતા

ત્રણેય મૃતક યુવકો નાઇટ શિફ્ટ દરમિયાન કામ કરી રહ્યા હતાં, સફાઇ માટે તેઓ વોશિંગ ટાંકીમાં પડ્યા હતાં, પરંતુ બહાર આવવામાં નિષ્ફળ ગયા હતા અને રાતભર ટાંકીમાં જ રહ્યા હતાં. દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો એલ.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંપની પર ફેક્ટરી મેનેજમેન્ટ તરફથી બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોનો દાવો છે કે, કંપનીએ કામદારોને જોખમી રીતે ટાંકીમાં જ છોડી દેવાયા હતા. 


પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો

હોસ્પિટલમાં સ્થિતિ વકરે નહીં તે માટે પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી. પરિવારજનોએ હોસ્પિટલમાં જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે હોબાળો કર્યો હતો. જોકે, આ વિશે  ત્યાં હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાના ક્રમ અને સુરક્ષા પ્રોટોકોલમાં સંભવિત ખામી શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ એક દુઃખદ ઘટના છે. અમે શ્રમિકો ટાંકીની અંદર કેવી રીતે પહોંચ્યા અને ત્યાં શું કરતા હતા? ત્યાં સુરક્ષાની શું સુવિધા હતી તે વિશે તપાસ કરી રહ્યા છીએ. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  જોકે, મૃતકોના મોતની સાચી હકિકત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. હાલ પોલીસે આ અંગે ત્યાં હાજર અન્ય શ્રમિકો સાથે પૂછપરછ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application