નદીના પ્રવાહમાં ઔદ્યોગિક એકમ દ્વારા એસીડનું છોડાતા હજારો માછલાના મોત: કંપની સામે પગલા

  • November 09, 2023 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવમ કોર્પોરેશન નામની ઔદ્યોગિક કંપની સામે ગુજરાત પ્રદેશ નિયંત્રણ બોર્ડે દંડ ફટકારી પગલા લીધાનું બહાર આવ્યું: એકમની કામગીરી સામે સવાલ ઉઠ્યા

જામનગરમાં નદીના ગેરકાયદેસર રીતે શિવમ કોર્પોરેશન નામના ઔદ્યોગિક એકમ દ્વારા એસીડવાળું પ્રવાહી છોડતા અસંખ્ય માછલાઓના મૃત્યુ થયા બાદ ગુજરાત પ્રદેશ નિયંત્રણ બોર્ડ દ્વારા આ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે. એસીડના કારણે મોત થતા આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છૂટ્યા બાદ ભારે ચકચાર જાગી છે.
પાણીમાં જ્યારે અસીડ કે અન્ય પ્રવાહી છોડવામાં આવે છે તે ત્યારે ઓકસીજનનું પ્રમાણ ઘટે છે, જામનગર નજીક દરેડ અને ચેલા વચ્ચે આ ઔદ્યોગિક એકમ દ્વારા એસીડવાળું પાણી છોડાતા અસંખ્ય માછલાઓ મોતને ભેટ્યા છે, દરેડના ગોદડીયાવાસથી નદીના બંધીયાર પાણીમાં મૃત માછલા મળી આવતા ગુજરાત નિયંત્રણ પ્રદૂષણ બોર્ડના અધિકારી કલ્પનાબેન પરમાર અને તેમની ટીમના સભ્યો તેમજ પર્યાવરણ ઇજનેર કૃણાલ તન્નાની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી.
સઘન તપાસના અંતે ડેમના નજીકના વિસ્તારમાં નદીના માછલાઓ જીવી જતા શિવમ કોર્પોરેશન નામના બ્રાસ યુનિટનો ભરડીયો છે, તેના દ્વારા જોખમી ઝેરી તત્વો ધરાવતો ઘટ્ટ અને પ્રવાહી કદળો નદીમાં નાખવામાં આવે છે, આ કદળો ઉર્ફે સ્લગ એસીડનું પ્રમાણ ઉંચે આવતા પછીના વિસ્તારમાં નદીમાં હજારો માછલાઓ દેખાઇ આવતા હતા.
ટીમના વડા કલ્પના પરમારે જાહેર કર્યું છે કે આ યુનિટના નજીકથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે, આ યુનિટ મંજુરી વિના ધમધમી રહ્યું હોવાનું બહાર આવતા તે અંગે રીપોર્ટમાં નોંધ કરાઇ છે, પાણીના નમૂનાનું પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે, રીપોર્ટ આવ્યા બાદ કસુરવાર સામે કડક પગલા લેવાશે.
દરેડ વિસ્તારમાં બ્રાસના ઔદ્યોગિક એકમો દ્વારા વર્ષોથી કેટલાક લોકો પ્રદૂષણ પાણી નદીમાં વહાવે છે, ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આ અંગે તપાસ કરીને આવા ઉદ્યોગો સામે કડક પગલા લેવા જોઇએ તેવું લોકોમાં જાણવા મળ્યું છે, ચેલા નજીક આ ઔદ્યોગિક એકમમાં વધેલા કચરાને સાફ કરીને ફરીથી પીતળ મેળવવા એસીડનો ઉપયોગ કરવામાં આવે છે, આ એસીડવાળા પ્રવાહીનો પ્લાન્ટમાં નિકાલ કરવાને બદલે નદીમાં વહાવી દેવાનું કૃત્ય કરવામાં આવતું હોવાનું પણ જીપીસીબીની તપાસમાં બહાર આવ્યું છે. આમ મરી ગયેલા માછલા અંગે હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે જે ઔદ્યોગિક એકમો દ્વારા આ પ્રકારે નદીના વેહણમાં એસીડ કે ઝેરી કચરો ફેકવામાં આવે છે તેની સામે કડક પગલા લેવાઇ તો નદી પ્રદૂષિત થતી બચે, આગામી દિવસોમાં રીવરફ્રન્ટનો પ્રોજેકટ આવી રહ્યો છે ત્યારે નદી પ્રદુષિત કરતા આવા ઔદ્યોગિક એકમો સામે કડક પગલા લેવા જોઇએ, તેવું લોકોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application