કોગ્રેસે મૃતકોના આત્માની શાંતિ માટે હવન કર્યો, પીડિત પરિવારજનો આહુતિ આપતા રડી પડ્યા, કહ્યું- TRP અગ્નિકાંડના જવાબદારોને ફાંસી આપવામાં આવે

  • May 25, 2025 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની આજે એક વર્ષ થયું. આ અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે દ્વારા હવન યોજવામાં  આવ્યો હતો. પીડિત પરિવારજનો પણ હવનમાં આવ્યા હતા. હવનમાં આહુતિ દેવા સમયે પરિવારજનો થયા ભાવુક થયા હતા. એક પિતાએ દીકરાની યાદમાં હાથ ઉપર ટેટુ બનાવ્યું છે. જોકે, તપાસ કમિટી અને સરકારથી પીડીત પરિવારજનો નારાજ છે.


પરિવારજનોએ જણાવ્યું હતું કે, બાહેનધરી મુજબની કામગીરી કરવામાં આવી જ નથી. ફાસ્ટ ટ્રેક તેમજ ડે ટુ ડે કાર્યવાહી કોર્ટમાં કરવાની માંગણી હજુ સંતોષાણી નથી. દુર્ઘટનામાં સંડોવાયેલા મોટા અધિકારીઓને અટકાયત કરવાને બદલે સરકાર પ્રમોશન આપી રહી છે. આ દુર્ઘટનામાં જવાબદાર તમામને ફાંસીની સજા આપવી જોઈએ.


જવાબદારોને ફાંસી આપવામાં આવે

અગ્નિકાંડમાં 20 વર્ષનો યુવાન પુત્ર ગુમાવનાર અનિરુદ્ધસિંહે જણાવ્યું હતું કે, સમગ્ર દુર્ઘટનાને 12 મહિના થયા છતાં ન્યાય મળ્યો નથી. એટલું જ નહીં 4 લોકોના જામીન પણ મંજુર થઈ ચૂક્યા છે. જે ખૂબ જ શરમજનક બાબત છે. અમારી માંગ છે કે, જવાબદારોને ફાંસી આપવામાં આવે, જેથી બીજીવખત કોઈ આવું કરી શકે નહીં. સ્થાનિક ધારાસભ્યો અને સાંસદની પણ આ દુર્ઘટનામાં જવાબદારી છે. બધાને ખબર જ હતી, પરંતુ હપ્તા પહોંચતા હોવાથી મીઠી નજર રાખતા હતા અને પોતાના ખિસ્સા ભરતા હતા. આ તમામની સામે પગલાં લેવાવા જોઈએ અને દોષિતોને ફાંસીની સજા થવી જોઈએ તેવી મારી માંગ છે.


તંત્રની ઢીલાશને કારણે કેસ સુપ્રીમમાં પહોંચ્યો નથી

ટીઆરપી અગ્નિકાંડમાં નાનો ભાઈ ગુમાવનારા તુષાર ગોરેચા જણાવ્યું કે, અમારી માંગ તો ઘણી હતી, પરંતુ એકપણ માંગ સ્વીકારવામાં આવી જ નથી. સૌપ્રથમ માંગ હતી કે આ કેસ ડે ટુ ડે હિયરિંગમાં આવે અને આરોપીઓને જામીન મળે નહીં. પરંતુ હાલ અમૂક લોકોને જામીન પણ મળી ગયા છે. અને ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવતું નથી. હાલ 4 લોકોને જામીન મળ્યા છે તેની સામે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પણ તંત્રની ઢીલાશને કારણે કેસ સુપ્રીમમાં પહોંચ્યો નથી. છતાં અમે લડાઈ લડતા રહીશું.


સાંજે જિલ્લા પંચાયત ચોક ખાતે કેન્ડલ માર્ચ 

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, આજે ટીઆરપી અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થયું છે. છતાં લોકોને હજુ ન્યાય મળ્યો નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા જે સ્થળે આ દુર્ઘટના બની હતી તે સ્થળે હવનનું આયોજન કરાયું છે. જેમાં મૃતકોના પરિવારજનો હાજર રહ્યા છે અને આજે સાંજે જિલ્લા પંચાયત ચોક ખાતે કેન્ડલ માર્ચ પણ રાખવામાં આવી છે. 27 લોકોનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે તેના પરિવારને ન્યાય અપાવવા માટે આ કાર્યક્રમ યોજાયા છે. મનપાના અધિકારીઓની સાથે ભાજપના પદાધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application