BREAKING NEWS

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો... અકસ્માતના કેસોમાં વળતરની રકમ નક્કી કરવા હવે આ પુરાવો માન્ય રહેશે

  • May 06, 2026 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઈકોર્ટે મોટર વાહન અકસ્માતના કેસોમાં વળતરની રકમ નક્કી કરવા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં અવસાન થાય તો તેના મૃત્યુ બાદ પરિવાર દ્વારા ફાઈલ કરવામાં આવેલું ઈન્કમટેક્સ રિટર્ન (આટીઆર) પણ વળતરની ગણતરી માટે કાયદેસરનો અને વિશ્વસનીય પુરાવો ગણાશે. આ ચુકાદાથી એવા અનેક પરિવારોને મોટી રાહત મળશે જેઓ ટેકનિકલ કારણોસર યોગ્ય વળતરથી વંચિત રહી જતા હતા.​​​​​​​


શું હતો સમગ્ર મામલો?

આ કેસની વિગત મુજબ, વર્ષ 2017માં વસંતકુમાર નામના એક યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવક કરિયાણાનો વ્યવસાય કરીને દર મહિને અંદાજે 30 હજાર રૂપિયાથી વધુની કમાણી કરતો હતો અને પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો. તેના નિધન બાદ શોકમગ્ન પરિવારજનોએ વળતર મેળવવા માટે ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે એવો તર્ક આપ્યો હતો કે મૃત્યુ પછી ફાઈલ કરાયેલું આઈટીઆર વિશ્વસનીય ન ગણી શકાય અને આ ટેકનિકલ કારણ આગળ ધરીને ખૂબ જ ઓછું વળતર મંજૂર કર્યું હતું. ટ્રિબ્યુનલના આ અન્યાયી નિર્ણય સામે પરિવારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.


હાઈકોર્ટનું મહત્વનું અવલોકન

આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટના જસ્ટિસે જણાવ્યું કે, મૃત્યુ પછી ફાઈલ કરાયેલું રિટર્ન પણ વ્યક્તિની આવકને પ્રતિબિંબિત કરતો એક વૈધાનિક દસ્તાવેજ છે. ન્યાયાલયે ભારપૂર્વક કહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં માત્ર નાની ટેકનિકલ બાબતોને આધારે સાચા પુરાવાઓને નકારી શકાય નહીં, કારણ કે આવું કરવાથી ન્યાયનો મૂળ હેતુ જ જોખમાય છે. મૃતકની આવકનું સાચું મૂલ્યાંકન અત્યંત જરૂરી છે કારણ કે તેના પર આખા પરિવારના ભવિષ્ય અને વળતરનો આધાર રહેલો હોય છે.​​​​​​​

વળતરની રકમમાં મોટો વધારો

હાઈકોર્ટે ટ્રિબ્યુનલના અગાઉના નિર્ણયમાં હસ્તક્ષેપ કરીને આશ્રિતોને મળવાપાત્ર વળતરની રકમમાં માતબર વધારો કર્યો છે. કોર્ટે વળતરની રકમ 34.53 લાખ રૂપિયાથી વધારીને કુલ 40,45,940 રૂપિયા કરવાનો હુકમ કર્યો છે. આ સાથે જ વીમા કંપનીને કડક આદેશ આપ્યો છે કે વધારાની આ રકમ આગામી 6 સપ્તાહની અંદર વ્યાજ સહિત જમા કરાવવામાં આવે.

અદાલતનો આ માનવીય અભિગમ ધરાવતો ચુકાદો ભવિષ્યમાં અકસ્માત વળતરના કેસો માટે એક નવી દિશા ખોલશે અને પીડિત પરિવારોને કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application