કોલેજોના આચાર્યોને ડીન બનાવાતા રાજ્યની 10 યુનિવર્સિટીમાં ભડકો થયો

  • October 05, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અને કોમન યુનિવર્સિટી સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ જે તે ફેકલ્ટીના ડીન તરીકે યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા ભવનના સિનિયર પ્રોફેસરો અથવા તો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના સિનિયર પ્રોફેસરોને મુકવાની જોગવાઈની અમલવારી શરૂ થતા જ વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગયા સપ્તાહે અલગ અલગ 14 માંથી 13 ફેકલ્ટીના સંભવિત ડીનના નામની જાહેરાત કરીને વાંધાઓ મંગાવ્યા હતા. ગઈકાલે તેની મુદત પૂરી થયા પછી આઠ વાંધાઓ આવ્યા હોવાનું યુનિવર્સિટીના સુત્રો જણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરતાં વધુ વિરોધ ગુજરાતની અન્ય નવ સરકારી યુનિવર્સિટીમાં નવી સિસ્ટમનો જોવા મળી રહ્યો છે. ફેકલ્ટીના ડીન તરીકે યુનિવર્સિટી કેમ્પસ પરના ભવનના સિનિયર પ્રોફેસરો જ હોવા જોઈએ. અત્યાર સુધી ચાલી આવતી આ વ્યવસ્થામાં ફેરફાર ન થવો જોઈએ તેવી પ્રબળ લાગણી અને માગણી વ્યક્ત કરવામાં આવે છે. બીજી બાજુ ગુજરાત રાજ્ય પ્રિન્સિપાલ એસોસિએશન પણ સક્રિય બની ગયું છે. રાજ્ય કક્ષાના આ સંગઠનના પ્રમુખ જે.એ.સરવૈયા, જનરલ સેક્રેટરી સંજયભાઈ શાહ અને ઉપપ્રમુખ એસ.એન.ઐયરે રાજ્યની તમામ કોલેજના પ્રિન્સિપાલોને ઈમેલ મેસેજ મોકલીને આ નવી વ્યવસ્થાના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનરને ઈમેલથી રજૂઆત કરવા માટે તેમના સભ્યોને જણાવી દીધું છે. રજૂઆતનું ચોક્કસ ફોર્મેટ પણ તમામ કોલેજના પ્રિન્સિપાલોને મોકલી દેવાતા ગઈકાલથી જ સામે મોરચો મંડાઈ ગયો છે.
ગુજરાત રાજ્ય પ્રિન્સિપાલ એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ જ્યારે સરકારે કાયદામાં જ આવી જોગવાઈ કરી છે ત્યારે હવે જ્યારે અમલવારી થાય છે ત્યારે વિરોધ શા માટે ?આચાર્ય 90% થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે જોડાયેલા હોવાથી સરકારે સમજી વિચારીને આ નવી જોગવાઈ કરી છે. પરંતુ કેટલાક મહત્વકાંક્ષી લોકો ડીન તરીકે પણ કોલેજના આચાર્યો નહીં પરંતુ માત્ર ભવનના પ્રોફેસરો જ હોવા જોઈએ તેવી માનસિકતાથી પીડાઈ રહ્યા છે. રાજ્ય સરકારે સ્ટેચ્યુટ અને એકટમાં જે નવી વ્યવસ્થા ઊભી કરી છે તેમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ આ માટે અમે સરકારને પૂર્ણ સમર્થન આપવા તૈયાર છીએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે પણ આ બધું જરૂરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ 10 યુનિવર્સિટીમાં ગયા સપ્તાહે જુદી જુદી ફેકલ્ટીના સંભવિત ડીનના નામની જાહેરાત કયર્િ પછી કાયમી લિસ્ટ જાહેર કરવાનું હતું. પરંતુ હવે આ પ્રક્રિયા વિરોધના કારણે અટકી ગઈ છે. સરકાર પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવશે અને ત્યાર પછી ડીનના નામોની સત્તાવાર જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીઓમાં કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application