ઈશ્વર તરફ જતો કોઈ રસ્તો જ નથી

  • November 07, 2023 12:40 PM 

માંણસ ઈશ્વરમાં શું શોધે છે એ પ્રશ્નની ચર્ચા કરતો આર્ટિકલ ગયા સપ્તાહે લખ્યો તેના પ્રતિભાવમાં બે-ત્રણ સજજ વાચકોએ પ્રતિપ્રશ્ન કર્યો કે જો તમે કહેતા હો કે ધર્મનો રસ્તો ઈશ્વર તરફ જતો નથી તો પછી ઈશ્વર તરફ જવાનો કોઈ રસ્તો ખરો? આ પ્રશ્નનો જવાબ છે ના. સ્પષ્ટ ના. કોઈ રસ્તો ઈશ્વર તરફ જતો જ નથી અને ધર્મનો રસ્તો તો જતો જ નથી. આ જવાબ તમને પ્રથમ નજરે નાસ્તિકવાદી લાગશે પણ જવાબ સાચો છે.


  ઈશ્વર તરફ જવાનો કોઈ રસ્તો હોય તો તે રસ્તાનું માપ હોવાનું, મર્યાદા હોવાની. રસ્તો આટલો લાંબો છે, ટૂંકો છે, મુશ્કેલ છે, સહેલો છે. આવા કોઈપણ માપમાં એ રસ્તો બંધાશે અને માપ હશે તો તેને પાર કરવા માટેની મહેનત અને શક્તિની ગણતરી માંડી શકાશે. આટલી શક્તિથી આટલી મહેનત કરો એટલે રસ્તો કાપી લઈ શકાય. બાળપણમાં ગણિતના પ્રશ્નો આવતાને? એક ખેતર વાવતા બે માણસોને ૨૦ કલાક લાગે તોછ માણસોને કેટલો સમય લાગે? અથવા સો કિલોમીટરનો રસ્તો કાપવામાં પાંચ હોર્સપાવરની ગાડીને બે કલાક લાગે તો વીસ હોર્સ પાવરની ગાડીને કેટલા કલાક લાગે? બરાબર આવું જ. બે મણ પુણ્ય કરો, પાંચ યાત્રા કરો, ત્રેસઠ ઉપવાસ કરો, ત્રેવીસ લાખનું દાન દો, સવા કિલો કરૂણા રાખો, સો ગ્રામ સમતા રાખો, રોજ દસ મિનિટ લેખે સાડી સતર વર્ષ ધ્યાન કરો, ધર્મગ્રંથના એક હજાર આઠસો પાના તેત્રીસ વખત વાંચો, મંદિરના પગથિયે સાતસો સત્યોતેર વખત માથું અડકાડો, એક હજાર દંડવત કરો, પૂજારીઓને અમુક રુપિયા આપો, પાંચ યજ્ઞ અને પચ્ચીસ હવન કરો એટલે ઈશ્વર સુધી પહોંચી જવાય. જો માર્ગનું માપ હોય તો આવી ગણતરી માંડી શકાય અને આવી કોઈ ગણતરીથી જો મળી જતો હોય તો એ ઈશ્વર શાનો? આ તો સીધો જ કર્મવાદ થયો. ગણિત થયું. આટલું કારમાં કરો એટલે આટલું મળે, આટલું કરો એટલે ઈશ્વર મળે. કર્મવાદને જો સંપૂર્ણપણે લાગુ કરવામાં આવે તો તે ઈશ્વરનો છેદ ઉડાડી નાખે. કર્મવાદ ઈશ્વરનો એકઝેકટ વિરોધી છે. સંપ્રદાયોના રસ્તા ગણતરીના છે. એ વિધિઓ અને નિયમોમાં ચાલનાર સંસ્થાઓ છે. માણસને સારો માણસ બનાવવા અને સારો ટકાવી રાખવા માટે સંપ્રદાયો જરૂરી છે, ઉપયોગી છે પણ શુધ્ધ પરબ્રહ્મ સુધી તો એ નથી જ પહોંચાડી શકે તેમ.


  ઈશ્વર શું છે, એને કેમ પામવો તે પ્રશ્ન માણસની અંદર પહેલેથી જ મુકેલા છે, ડિફોલ્ટ છે. જગતમાં જન્મનાર દરેક માણસને આ પ્રશ્ન થાય જ છે. પણ માણસની સમસ્યા એ છે કે ઈશ્વરને જાણવા, સમજવા, પામવા માટે કોઈ અલગ નિશ્ચિત વ્યવસ્થા નથી. માણસને એન્જિનિયર, ડોકટર, વકીલ, ઉદ્યોગકાર બનવું હોય તો તેનું શિક્ષણ છે પણ, ઈશ્વરને મેળવવા માટેનું શિક્ષણ આપવાની કોઈ વ્યવસ્થા નથી. તમે ઉતાવળે કહેશો કે ધર્મો છે ને. પણ જરા ખમો. સંપ્રદાયો, જેને આપણે ધર્મો કહીએ છીએ તે આવી વ્યવસ્થાનો આભાસ ઉભો કરનાર માત્ર છે, વ્યવસ્થા નથી. સંપ્રદાયો માણસને આસ્થાળુ બનાવે, ધાર્મિક નહીં. તે માણસને વિધિ-વિધાન શીખવે, ઈશ્વર નહીં. જે કોઈ માણસને પ્રશ્નચ થાય કે ઈશ્વર શું છે, તેને કેમ પામવો, તેને કેમ જાણવો, તેને કેમ સમજવો કે એટલે તે માણસ તેમાં મદદ કરી શકે એવી વ્યવસ્થા શોધવા માટે પ્રયત્ન કરે. અને તરત જ તેની નજર સામે સંપ્રદાયો આવે. વ્યવસ્થા તો એવી જડબેસલાક છે કે માણસનો ચજન્મ જ કોઈ એક સંપ્રદાયના અનુયાયી તરીકે થાય એટલે બંધાયેલો જ જન્મે. એને ઈશ્વર અંગેનો પ્રશ્ન થાય તો કયાં જવું તેની વ્યવસ્થા હોય જ, પોતાના સંપ્રદાયમાં જઈને પુછે અને આ બધા વાડાઓમાં તો દરેક પ્રશ્નના તૈયાર જવાબો અને વિધિઓ હોય જ છે. એ તો વિવેકાનંદ જેવો કોઈ વિરલો જ પાકે જે ઈશ્વર કોણ છે એનો જવાબ ન મળે ત્યાં સુધી એકથી બીજા ગુરુ પાસે ભટકતો રહે. સામાન્ય માનવી પાસે તો પોતાનો સંપ્રદાય જ જવાબ આપવા માટે હોય એટલે તેની શોધ ત્યાં પુરી થઈ જાય. એને સમજાવી દેવામાં આવે કે એટલું કર, તને ઈશ્વર મળી જશે. આખી જીંદગી એ માણસ ભ્રમમાં જીવે કે આટલું કરવાથી ઈશ્વર મળી જશે. એનો વિશ્વાસ સાચો હોય પણ રસ્તો ખોટો હોય. વ્યવસ્થા તો એવી ગોઠવી છે, તેમણે, કે માણસને પ્રશ્ન જ ન થાય કે ઈશ્વર શું છે, પ્રશ્ન થાય તે પહેલા જ તેમણે વારંવાર જવાબ આપી દીધા હોય છે. માણસ સમજણો થાય તે પહેલાથી જ જવાબ અપાઈ ગયા હોય તેને. ઈશ્વર વિષેની એક સજ્જડ માન્યતા માણસ સમજણો થાય ત્યાં સુધીમાં તેના મનમાં બની ગઈ જ હોય.
​​​​​​​
  શું આપે છે સંપ્રદાયો? માત્ર આશા. અને આશા પણ અનંત લાંબી. આ જન્મ જ નહીં, જન્મ જન્માંતરના ફેરા સુધીની આશા આપી દેવામાં આવે. આશાના તાંતણે માણસને તેઓ આખી જીંદગી બાંધી રાખે છે. મૃત્યુની ઘડી સુધી માણસ એ ભ્રમમાં બંધાયેલો રહે છે. એવું પણ નથી કે સંપ્રદાયો ઈશ્વરને જાણવા પ્રયત્નો કરતા નથી. કરે છે. પણ, સમસ્યા એ છે કે ઈશ્વરને જાણવા માટે તેમની પાસે માત્ર કોરી કલ્પનાઓ જ છે. સંપ્રદાયોના સ્થાપક મહાપુરુષોએ જે સમજાવ્યું એમાં કલ્પનાઓનો એટલો ઉમેરો કરી નાખવામાં અઆવ્યો હોય કે સત્વ કે તત્વ બચે જ નહીં. જગતના જેટલા પ્રબુધ્ધ પુરૂષો થઈ ગયા તેમાંના મોટાભાગનાએ પોતાની સાથેની પેઢી અને ભવિષ્યની પેઢીને પોતે જે પામ્યા છે તે સમજાવવા કોશિશ કરી છે પણ તેમાં સફળતાનો રેશિયો ખુબ જ ઓછો, અત્યંત ઓછો છે. બુદ્ધ પછી બોધિસત્વો થયા. પછી પૂર્ણવિરામ. આવું અન્યની બાબતે પણ થયું છે. કારણ બે છે. પ્રથમ, મુળ તત્વને શબ્દથી સમજાવી શકાતું નથી, બીજું માર્ગ બતાવવો પડે, બનાવવો પડે અને માર્ગ અસ્તિત્વમાં આવે એટલે ઈશ્વર ત્યાંથી અલોપ થઈ જાય. ઈશ્વર અમાર્ગી છે. ઈશ્વર સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી. ઈશ્વર સુધી પહોંચવા માટે કોઈ પ્રયાસની જરુર જ નથી. માર્ગની જરુર પડે. પણ જો તે ત્યાં જ હોય તો માર્ગની જરુર ન રહે. વાસ્તવમાં માણસ કયારેય ઈશ્વરને શોધી શકતો જ નથી, ઈશ્વર જેવો બની જાય છે, ઈશ્વરસમ બની જાય છે. ઈશ્વર તમારી અંદર ઉઘડે છે, એ મળતો નથી. ઈશ્વર તમારી અંદર પ્રગટે છે, એને શોધી કાઢી શકાતો નથી. જો ઈશ્વર શોધી શકાય એટલી મર્યાદા ધરાવતો હોય તો તેને ઈશ્વર કહી શકાય નહીં. ઈશ્વર અમર્યાદ છે. એ સઘળે છે અને કયાંય નથી. એ કણેકણમાં છે અને કણેકણથી પર છે. એને કોઈ આકાર ભલે નથી, સર્વ આકારોમાં એ છે. એને કોઈ શરીર નથી પણ સર્વ શરીરોમાં એ છે. એને કોઈ માપ નથી પણ સર્વ માપમાં એ છે. એને પોતાના સુધી પહોચાડતા રસ્તાની જરૂર નથી.
  માણસની સમસ્યા એ છે કે આવા ઈશ્વરને ભજવો કેમ? દરેક માણસને, પછી તે ગમે તે ધર્મ-સંપ્રદાયનો હોય, એકેશ્વરવાદમાં માનતો હોય, નિરાકાર ઈશ્વરમાં માનતો હોય, સાકાર પ્રભુમાં માનતો હોય, નિર્ગુણ ભગવાનમાં માનતો હોય કે સગુણમાં આસ્થા હોય, તમામને ઈશ્વર ભજવો છે એની પ્રાર્થના કરવી છે, સ્તુતિ કરવી છે, ભક્તિ કરવી છે. ઈશ્વર પ્રત્યેનો અહોભાવ એને ભક્તિ માટે પ્રેરે છે અને એ સ્વાભાવિક છે. પણ, એને કારણે એ વિધિ, માર્ગ, પધ્ધતિનો આશરો લે છે અને ઈશ્વર છટકી જાય છે. ઈશ્વરને પામવા માટે રસ્તાની નહીં, એને સમજવાની જરૂર હોય, એનામાં ઓગળવાની જરૂર હોય. સાગરના મોજામાંથી છુટું પડેલું પાણીનું ટીપું જેમ સાગરમાં સમાઈ જાય તેમ. પણ એ સમાવા માટે જે સજ્જતા મેળવવી પડે, કેળવવી પડે. અને એ ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ અભ્યાસેન તુ કૌન્તેય, અભ્યાસથી મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application