શહેરી-આધુનિકીકરણના કારણે પર્યાવરણનું બેરોમીટર ગણાતી ચકલીની પ્રજાતિ લુપ્તતાના આરે

  • March 20, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વિશ્વ ચકલી દિવસ છે. બદલાઈ રહેલા વાતાવરણ, ખોરાકનો અભાવ, બહુમાળી ઇમારતોમાં વધારો અને મોબાઈલ તરંગોથી પર્યાવરણનું બેરોમીટર ગણાતી ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે.
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં તેમજ એક હતી ચકી એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો બંનેએ રાંધી ખીચડી આ વાર્તા માત્ર પુસ્તકો પૂરતી જ મર્યાદિત રહી છે. ચકલીને પર્યાવરણનું બેરોમીટર ગણવામાં આવે છે વાતાવરણ સુંદર હોય ત્યાં ચકલીઓ રહેવાનું વધુ પસંદ કરે છે. બાળપણની યાદો તાજી કરાવતું પક્ષી ચકલી હવે કોન્ક્રીટના જંગલોમાં ખોવાઈ ગઈ છે. આજે વિશ્વ ચકલી દિવસ છે પરંતુ એક સમયે ચકલીઓની ચીચીયારી  શહેરોમાં ગુંજતી હતી પરંતુ બદલાતા સમય સાથે ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે જેથી તેનો મીઠો મધુરો અવાજ જવલ્લ ે જ સાંભળવા મળે છે. ચકલી વધુ તાપમાન સહન કરી શકતી નથી. પ્રદુષણને કારણે અને વિકીર્ણોના કારણે શહેરનું તાપમાન વધી રહ્યું છે જેથી ચકલી નામશેષ થવાના આરે પહોંચી છે. પ્રદૂષણમાં વધારો, કેમિકલ યુક્ત દવાનો છંટકાવ, નળિયાવાળા પ્રાચીન ઢબના ઘરને બદલે પાકા મકાનો બહુમાળી ઇમારતોના ચણતરથી ચકલીઓને માળા બાંધવા જગ્યા મળતી ન હોવાથી શહેરમાં ચકલીઓની સંખ્યા બિનપ્રતિદિન ઘટતી જાય છેે. જેથી નાનું એવું અબોલ જીવ પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યું છે. ચકીને ખોરાક તરીકે ઘાસના બીજ અને દાણા વધુ પસંદ હોય છે. પરંતુ શહેરી વિસ્તારમાં પૂરતો ખોરાક પ્રાપ્ય થતો નથી. જેથી ગ્રામીણ વિસ્તારોમાં જ ચકલીનો કલબલાટ સાંભળવા વધુ મળે છે. ડિજિટલ યુગમાં સૌથી મોટું ચકલી લુપ્ત થવાનું કારણ મોબાઈલ રેડીએશન પણ ગણવામાં આવે છે. મોબાઈલ ટાવરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેથી તેમાંથી નીકળતા તરંગો ચકલીઓ માટે હાનિકારક બની રહ્યા છે આ તરંગોથી ચકલીની દિશા શોધવા પ્રભાવિત કરતા હોવાનું પણ માનવામાં આવે છે. જેથી તેના પ્રજનન પણ વિપરીત અસર પડી રહી હોવાથી ચકલી ઝડપથી લુપ્ત થઈ રહી છે. શહેરીકરણ અને આધુનિકરણના કારણે દિવસેને દિવસે ચકલીની પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે. કબુતરને ચણ નાખવાની જગ્યા મળી રહે છે પરંતુ ચકલીઓ માટે કોઈ વિશેષ વ્યવસ્થા હોતી નથી. જેથી ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે. જેથી શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યત્વે રહેણાંક બનાવી રહેતી હોવાથી શહેરી વિસ્તારમાં ચકલી ભાગ્યે જ જોવા મળી રહે છે. ભારતને સોનેકી ચીડિયાની ઉપમા આપી ચકલીની પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિશ્વમાં ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે ચકલી બચાવોની મુખ્ય થીમ સાથે દર વર્ષે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે  શહેરમાં નિસર્ગ નેચર ક્લબ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા ચકલીઓના માળા, ચણ માટે દાણા અને કુંડાનું પણ વિતરણ કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application