હરિહર ચોકના વોંકળાનો સ્લેબ બેસી ગયો; મોટી દુર્ઘટનાનું ઝળુંબતું જોખમ

  • June 28, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.7માં સદર બજારના છેડે આવેલા વર્ષો જુના વોંકળાનો સ્લેબ ગત સાંજથી બેસવા લાગ્યો હોવાની જાગૃત નાગરિકોએ જાણ કરતા મહાપાલિકાનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો સ્થળ નિરીક્ષણ કયર્િ બાદ મોડી રાત સુધી રિપેરિંગ અને બેરીકેડિંગ સહિતની કામગીરી કરી હતી. અલબત્ત હજુ દુર્ઘટના સર્જાવાનું જોખમ તો ઝળુંબતું જ રહ્યું છે.

મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે વોંકળાનો સ્લેબ બેસી જવા પાછળ કોઇ ચોક્કસ કારણ જણાયું નથી પરંતુ 50 વર્ષથી વધુ જૂનો સ્લેબ હોય તેમજ વોંકળાની દિવાલોમાં ઠેર ઠેર ઉંદરના દર હોય બાંધકામને ઘસારો લાગતા જર્જરિત થઇ નબળું પડ્યું હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.મ્યુનિ.કાફલાએ મોડીરાત સુધી બેરીકેડિંગ, રિપેરિંગ, મેટલિંગ કર્યું પરંતુ આજે સવારથી અહીંથી વાહન વ્યવહાર યથાવત રાખતા ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાવાનું જોખમ તો ઝળુંબતુ જ રહ્યું છે. અહીંથી મોટા વાહનોને પ્રવેશબંધી ફરમાવી, મોટા વાહનો પસાર ન થઇ શકે તે માટે લોખંડના એંગલ મુકવા જરૂરી છે. તદઉપરાંત વોંકળા ફરતે મુકાયેલા પતરાની સાથે જોખમની ચેતવણી આપતા મોટા સાઇન બોર્ડ મુકવા જરૂરી છે.

વોંકળા ઉપરના ત્રણ હોર્ડિંગ રાત્રે હટાવ્યા:એસ્ટેટ ઓફિસર
રાજકોટ મહાપાલિકાના એસ્ટેટ ઓફિસરએ જણાવ્યું હતું કે હરિહર ચોકના વોંકળાનો સ્લેબ બેસી ગયાનું માલુમ પડતા વોંકળા ઉપર આવેલી ત્રણ હોર્ડિંગ સાઇટ્સ રાતોરાત દૂર કરવામાં આવી હતી જેમાં 20 બાય 10ની સાઇઝના ત્રણ હોર્ડિંગ હતા જેમાં એક બોર્ડ ગ્લોબલ એડ એજન્સીનું, બીજું બોર્ડ મંત્રા એડ્સનું અને ત્રીજું બોર્ડ જોષી પબ્લિસિટીનું હતું.


50 વર્ષ જૂનો સ્લેબ જર્જરિત થયાનું અનુમાન
સેન્ટ્રલ ઝોનના મ્યુનિ.સિટી ઇજનેરએ જણાવ્યું હતું કે અમે બે દિવસ પૂર્વે હરિહર ચોકના વોંકળાની સાઇટ વિઝીટ કરી હતી, દરમિયાન ગત સાંજે સ્લેબ બેસી ગયો હોવાની નાગરિકોએ જાણ કરતા તત્કાલ ટીમ સ્થળ ઉપર ગઇ હતી અને વોંકળા ફરતે બેરીકેડિંગ કરાયું હતું તેમજ મેટલિંગ પણ કરાયું હતું. અહીં રૂ.1.30 કરોડના ખર્ચે નવેસરથી સ્લેબ ભરી પાકો વોંકળો બનાવવા એસ્ટીમેટ તૈયાર છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ થશે.ચોમાસામાં કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સતર્ક છે.


વોંકળો કેટલો જૂનો તેનો ખ્યાલ નથી: ઇજનેર
દર ચોમાસે વોંકળા સફાઈની કામગીરી કરાવતા મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા ચીફ પયર્વિરણ ઇજનેરએ જણાવ્યું હતું કે હરિહર ચોકનો વોંકળા કેટલો જૂનો છે તેનો કોઇ સ્પષ્ટ ખ્યાલ નથી પરંતુ અંદાજે 50 વર્ષ કે તેથી વધુ જૂનો હોવાનું અનુમાન છે. બેલા અને પથ્થરનું બાંધકામ છે આથી કદાચ આઝાદી પૂર્વેનો પણ હોય શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application