જામનગરમાં રીક્ષાચાલક યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

  • March 05, 2024 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ આરોપી ઝડપાયા : એકની તલાશ : મૃતકની પત્ની સાથેના મુખ્ય આરોપીના અનૈતીક સબંધ કારણભુત

જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તાર વિનાયકપાર્કમાં રહેતા યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હતું આ બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે, ૩ આરોપીઓની ધરપકડ કરી છે અને એકને શોધી કાઢવા ચક્રો ગતીમાન કર્યા છે. મૃતકની પત્ની સાથે આડા સબંધ ધરાવતા શખ્સે મારવા માટે માણસો મોકલ્યા હોવાનું તપાસમાં ખુલ્યુ છે.
જામનગરના રામેશ્ર્વનગર વિનાયકપાર્કમાં રહેતા પ્રતાપભાઇ મકવાણા નામના યુવાન લોહી લુહાણ હાલતમાં મળી આવતા જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવેલ જયાં મૃત્યુ થયાનું જાહેર થતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આ અંગે મૃતકના ભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં ૩૦૨ મુજબ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે સીટી-બી પીઆઇ એચ.પી. ઝાલા અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી હતી, રાઇટર મુકેશસિંહ, રાઇટર સલીમભાઇ અને ડી-સ્ટાફ દ્વારા તપાસ લંબાવીને ઘટના સ્થળ અને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. દરમ્યાનમાં હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.
નવાગામ ઘેડમાં ડેન્ટલ હોસ્પીટલ સામે રહેતા જમીન, મકાનની લે-વેચ કરતા મહમદ સુલેમાન સફીયા દ્વારા હત્યા કરવાનું કાવતરુ ઘડાયુ હોવાનું સામે આવ્યુ હતું, મૃતકની પત્ની સાથે તેને અનૈતીક સબંધ ધરાવતો હોય જેમાં મૃતક રીક્ષાચાલક યુવાન આડખીલીરુપ હોય આથી કાસળ કાઢી નાખવા નકકી કર્યુ હતું. મહમદ સુલેમાને માણસો મોકલ્યા હતા, અને આ શખ્સોએ યુવાનની હત્યા કરી હતી.
પોલીસે આ બનાવમાં મહમદ સુલેમાન જીવા સફીયા, ગોકુલનગરના મોઇન ઉમર સફીયા, મુળ લાખાપર ગામ હાલ પોરબંદર રવિપાર્ક ખાતે રહેતા રામસંગ ઉર્ફે રામદેવસિંહ ઉર્ફે રામલો ભીખુભા સોઢા આ ત્રણેયની અટકાયત કરી હુમલામાં વપરાયેલા હથિયાર કબ્જે લેવા તજવીજ હાથ ધરી છે, જયારે એક આરોપી અમિત સીતાપરા ફરાર થઇ ગયો હોય તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application