રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુનેગારો સામે કડક હાથે કામ લેવાની નીતિ હેઠળ આજે ભાયાવદરમાં વહીવટી તંત્ર અને પોલીસનું 'બુલડોઝર' ફરી વળ્યું હતું. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાના ગેરકાયદે આલીશાન મકાનને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.
૧૩ ગુનાઓનો ઇતિહાસ અને ફરાર આરોપી
ભાયાવદર પંથકમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર અલીમામદ તૈયબ શેઠા સામે અત્યાર સુધીમાં શરીર સંબંધી અને અન્ય કુલ ૧૩ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ ચોપડે ચડી ગયેલો આ કુખ્યાત શખ્સ હાલ પોલીસ પકડથી દૂર એટલે કે ફરાર છે. કાયદાનો ડર પેદા કરવા અને ગુનાખોરીના જોરે ઉભી કરેલી મિલકતો પર ત્રાટકવા માટે પોલીસે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ વડાની આગેવાનીમાં કાર્યવાહી
રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરની સીધી દેખરેખ હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ભાયાવદરમાં જ્યારે બુલડોઝર ગુંજ્યું ત્યારે આસપાસના લોકોમાં ગુનેગાર પ્રત્યેનો ફફડાટ જોવા મળ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીનું આલીશાન રહેણાંક મકાન તોડી પાડીને સંદેશ આપવામાં આવ્યો છે કે, કાયદો હાથમાં લેનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
ગુનેગારોમાં ફફડાટ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ આક્રમક કાર્યવાહીથી સ્થાનિક ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 'દાદાના બુલડોઝર' તરીકે ઓળખાતી આ પદ્ધતિ હવે ગુજરાતના વિવિધ ભાગોમાં ભૂમાફિયાઓ અને કુખ્યાત ગુનેગારોને પાઠ ભણાવવા માટે અસરકારક હથિયાર બની રહી છે. પોલીસ વડાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, જો ગુનેગારો શરણાગતિ નહીં સ્વીકારે તો તેમની ગેરકાયદે મિલકતો પર આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે.