રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે થયેલ આવાસ યોજનાના ડ્રોની ફાઇનલ યાદી કાલે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરાશે, જાણો કઈ લિંક પર મુકાશે

  • June 04, 2025 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કટારીયા ચોકડી બ્રિજના ખાતમુહૂર્ત માટે રાજકોટ પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૬ માર્ચના રોજ વિવિધ આવાસ યોજનાઓના ક્વાર્ટરની ફાળવણીનો ડ્રો યોજવામાં આવ્યો હતો. દરમિયાન અમુક લાભાર્થીઓને કાગળની પૂર્તતા કરવાની બાકી હોય તેમના માટે સમય આપવામાં આવ્યો હતો જે સમય અવધી ગઈકાલે પૂર્ણ થયેલ છે 
અને હવે આવતીકાલે તા.૫ જૂનના રોજ આવાસ યોજનાના ડ્રોની ફાઇનલ યાદી વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

ડ્રો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો

વિશેષમાં આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, તા.૨૬-૩-૨૦૨૫ના રોજ રાજકોટ મહાપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા ઇડબ્લ્યુએસ-૨ કેટેગરીનાં ૧૩૩ અને એમઆઇજી કેટેગરીનાં ૫૦ ખાલી પડેલ આવાસોનો કમ્પ્યુટરાઇઝ્ડ જાહેર ડ્રો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો. 


અત્યાર સુધી ફોર્મ ચેકીંગ બાદ આવાસનો ડ્રો કરવામાં આવતો હતો

અત્યાર સુધી ફોર્મ ચેકીંગ બાદ આવાસનો ડ્રો કરવામાં આવતો હતો. જયારે આ વખતે પ્રથમ વખત બધા જ અરજદારોનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ફોર્મ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. આથી ડ્રોમાં આવાસ લાગેલ હોય એવા અરજદારોની ઓનલાઇન ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે અરજી રિજેકટ ના થઇ જાય એ માટે માનવતાના ધોરણે અરજદારોની અરજી રિજેક્ટ કરતા પહેલાં એમને અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવાની એક તક આપવામાં આવી હતી.


અરજદારની પાત્રતા બાબતે મનપાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે

અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવા માંગતા હોય એવા અરજદારોએ રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સોગંદનામું અને જરૂરી આધાર-પુરાવા સાથે આવાસ યોજના વહીવટી વિભાગમાં તા.૯-૫-૨૦૨૫ થી ૩-૬-૨૦૨૫ સુધી અરજી કરી હતી. જેની ચકાસણી કરી પાત્ર અરજદારોની યાદી તા.૫-૬-૨૦૨૫નાં રોજ બપોરે એક કલાકે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અરજદારની પાત્રતા બાબતે રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.


ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અરજદારોથી થયેલી નાની ભૂલો જેમ કે, પોતાના બેંક ખાતાનો રદ કરેલ ચેક કે પાસબુકના પ્રથમ પાનાની ઇમેજ ના જોડવી, લાઇટ બિલ કે વેરા બિલ ના જોડવું કે જુનું જોડવું, સ્વ-પ્રમાણિત ડિક્લેરેશન ના ભરવું કે અધુરું ભરવું, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ ના જોડવું જેવી ભૂલોની પૂર્તતા કરનાર અરજદારોની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.


આ માટે અલગથી કોઇ નોટીસ કે સમય આપવામાં આવશે નહિ

પાત્રતા ધરાવતા અરજદારોએ દિનાંક ૩૧-૭-૨૦૨૫ સુધીમાં સિવિક સેન્ટર, સેન્ટ્ર્લ ઝોન ઓફિસ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પ્રથમ હપ્તો ભરપાઈ કરી અલોટમેન્ટ-લેટર લઇ લેવા. દિનાંક ૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં અલોટમેન્ટ-લેટર નહિ લેનાર અરજદારોને આવાસની જરૂર નથી એમ સમજી એમના આવાસ જે-તે કેટેગરીના વેઇટીંગ યાદીના અરજદારોને ફાળવી દેવામાં આવશે. આ માટે અલગથી કોઇ નોટીસ કે સમય આપવામાં આવશે નહિ, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી.


એમની અરજી રદ કરવામાં આવી છે

જે અરજદારની પોતાની/કુટુંબની માલિકીનું આવાસ છે અથવા અરજદાર અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ લઇ ચુકેલ છે, એમની અરજી રદ કરવામાં આવી છે અને એમણે ભરેલ તમામ રકમ જપ્ત કરવામાં આવી છે. દરેક કેટેગરી (SC/ST/OBC/Ex-Serv.) નું આરક્ષણ નિયત થયેલું હોવાથી જો એક કેટેગરીના અરજદારોએ અન્ય કેટેગરીમાં ફોર્મ ભર્યું હશે કે ફોર્મ ભરતી વખતે એમની પાસે સક્ષમ સત્તાએ આપેલ જાતિનું પ્રમાણપત્ર નહિ હોય તો એમની અરજી રદ કરવામાં આવશે. કેટેગરી (SC/ST/OBC/Ex-Serv.) બદલવાની અરજી કે ઓનલાઇન ફોર્મ ભર્યાની પછીની તારીખમાં આપેલ જાતિનું પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં નહિ આવે.


તો આવકનું પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં નહિ આવે

EWS-2 (1.5 BHK) માં આવક-મર્યાદા ૦૩ લાખ સુધીની છે તથા MIG (3 BHK) માં આવક-મર્યાદા ૦૬ લાખથી ૭.૫ લાખ સુધીની છે. આથી ફોર્મ ભરતી વખતે અરજદારો આ આવક-મર્યાદામાં હોવા જરૂરી છે અને ઓનલાઇન ફોર્મમાં સક્ષમ સત્તાએ આપેલ આવકનું પ્રમાણપત્ર (આવકનો દાખલો અથવા ઇન્કમ-ટેક્સ રિટર્ન) આપવું ફરજીયાત છે. અરજદાર દ્વારા ઓનલાઇન ફોર્મ ભર્યાની પછીની તારીખમાં આપેલ આવકનું પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં નહિ આવે.


આ અરજદારોની અરજી ગ્રાહ્ય રાખવામાં નહિ આવે

દિવ્યાંગ અરજદારો દ્વારા રજુ કરવામાં આવેલ સક્ષમ સત્તાએ આપેલ પ્રમાણપત્રમાં જો બેન્ચમાર્ક disability ૪૦ ટકા કરતા ઓછી હશે તો એમની અરજી ગ્રાહ્ય રાખવામાં નહિ આવે. જો કે માનવતાના ધોરણે આવા અરજદારોની ડિપોઝિટ પરત કરવામાં આવશે. જેમની અરજી રિજેક્ટ થઇ છે, પરંતુ રિફંડ માટે જેઓ પાત્ર છે તેવા અરજદારોએ દિનાંક ૦૫/૦૬/૨૦૨૫ ના રોજ બપોરે ૦૧ કલાકે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવનાર અરજીપત્રની A4 સાઇઝના કાગળમાં પ્રિન્ટ-આઉટ લઇ અરજીપત્ર ભરી આવાસ યોજના વહીવટી શાખામાં જમા કરાવી જવા.


આવા અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં

ડ્રોમાં વેઇટીંગ યાદીમાં આવેલ જે અરજદારો પોતાની ડિપોઝિટ પરત લેવા માંગતા હોય એમણે પોતાની પાત્રતા રદ કરવાની બાંહેધરી આપી www.rmc.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અગાઉ અરજી કરેલ હોય એવા અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં.


વહીવટી વિભાગનો રૂબરૂમાં સંપર્ક કરવો

ડિપોઝિટ પરત લેવા માટેની અરજી કરતી વખતે બેંક ખાતાની વિગતમાં મૂળ અરજદારની વિગત જ ભરવી. મૂળ અરજદાર સિવાયની અન્ય કોઇપણ વ્યક્તિના બેંક ખાતામાં ડિપોઝિટની રકમ પરત કરવામાં નહિ આવે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો કોઇ અરજદારથી આવી ભૂલ થઇ ગયી હોય તો એમણે આવાસ યોજના વહીવટી વિભાગનો રૂબરૂમાં સંપર્ક કરવો.


તો અરજી રદ કરવામાં આવશે

ડિપોઝિટ પરત લેવા માટેની અરજી કર્યાના ત્રણ મહિનામાં જો આપના બેંક ખાતામાં ડિપોઝિટની રકમ પરત ના આવે તો આવાસ યોજના વહીવટી વિભાગનો રૂબરૂમાં સંપર્ક કરવો. જો કોઇપણ સમયે/તબક્કે એવું માલુમ પડશે કે અરજદાર દ્વારા આપવામાં આવેલ માહિતી ખોટી છે અથવા અરજદારની પોતાની/કુટુંબની માલિકીનું આવાસ છે અથવા અરજદાર અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ લઇ ચુકેલ છે તો એમની અરજી રદ કરવામાં આવશે અને એમણે ભરેલ તમામ રકમ જપ્ત કરવામાં આવશે તથા એમની વિરૂદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application