બાળકોનો શૈક્ષણિક, સામાજિક અને આંતરિક વિકાસ અનિવાર્ય

  • May 28, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાળકોનો શૈક્ષણિક, સામાજિક અને આંતરિક વિકાસ થાય તે હેતુથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
બાળકોમાં શૈક્ષણિક ઉત્સાહ, સામાજિક જાગૃતિ અને આંતરિક ઘડતરનો વિકાસ થાય તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના અનેક વિસ્તારમાં જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફુલે સમર કેમ્પ-૨૦૨૫ નું આયોજન કરાયું હતુ.૧૫ દિવસ ચાલેલા આ કેમ્પમાં ધો.૧ થી ૮ ના અંદાજે ૩૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.છાયાના લીરબાઈ પાર્ક ખાતે આવેલ માતા રામબાઈ પાર્ક ખાતે સમર કેમ્પનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
આપણે જાણીએ છીએ કે,ઉનાળાની રજાઓમાં મોટાભાગના બાળકો અનિયંત્રિત અને પોતાનો સમય અનર્થક પ્રવૃત્તિઓમાં વિતાવતા જોવા મળે છે.જેમ કે મોબાઈલમાં સમય બગાડવો, રખડપટ્ટી કરવી કે વળી ટી.વી. સામે બેઠા રહેવું. આવા સમયમાં બાળકોમાં અભ્યાસથી વિમુખ થવાની સંભાવના વધે છે. શાળાઓ ફરી શરૂ થાય ત્યારે તેમને ફરીથી અભ્યાસમાં મન લગાવવું એ વાલીઓ અને શિક્ષકો માટે મુશ્કેલીભર્યું બને છે.આવા સંજોગોમાં, એક રચનાત્મક અને દ્રષ્ટિપુર્વક ભરેલું ઉપક્રમ જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફુલે સમર કેમ્પ-૨૦૨૫  બાળકને પોતાના સમયનો સકારાત્મક ઉપયોગ કરાવે છે.જે શિક્ષણને રમત-ગમત અને મનોરંજન સાથે સાંકળીને બાળકોમાં નવી ઉર્જા જગાવે છે.
આ કેમ્પ દરમ્યાન બાળકો માટે રોજિંદા વિવિધ શૈક્ષણિક, સામાજિક અને આંતરિક વિકાસની પ્રવૃત્તિઓ યોજાઈ હતી.જેમાં શિસ્ત અને સ્વાનુશાસન ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કેટલીક મહત્વની પ્રવૃત્તિઓ જેવી કે,યોગ અને વ્યાયામ તાલીમ, જેમાં  દૈનિક શારીરિક તંદુરસ્તી સાથે બાળકના એકાગ્રતાનો વિકાસ,વિપસના અને ધ્યાન, જેમાં આંતરિક શાંતિ અને સંયમના પ્રારંભિક પગથિયાં,મુળ નિવાસી મહાનાયકોના વિચારો પર ચર્ચા, જેમાં વિશ્વના કલ્યાણક, શાંતિ માર્ગના પ્રહરી તથાગત ગૌતમ બુદ્ધ, બોધિસત્વ બાબાસાહેબ, બિરસા મુંડા, સાવિત્રીબાઈ ફુલે, જ્યોતિબા ફુલે, પેરિયાર રામાસામી, સંત કબીર સાહેબ, સંત રોહિદાસ સાહેબ, ઝલકારીબાઈ કોળી, સમ્રાટ અશોક, માતા રામાબાઈ વગેરે મહાનાયકો જીવન પ્રસંગોથી બાળકોને પ્રેરણા,અભ્યાસ આધારિત પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ,વૈજ્ઞાનિક અભિગમ જાગે તે માટે સતત બાળકોને વૈજ્ઞાનિક પ્રવૃતિઓ, રમતની સાથે સાથે વિજ્ઞાન અને શારીરિક સુંદઢતા શીખવવામાં આવી તે સાથે ભાષા અભ્યાસ, વાર્તાઓ, નાટકો દ્વારા અનેકો રજુઆત,વ્યક્તિત્વ વિકાસ વર્ગો, જેમાં આત્મવિશ્વાસ, વકતૃત્વ, જુથમાં કામ કરવાની રીત વગેરે શીખવાયું,સાંસ્કૃતિક તાલીમ, જેમાં ગીત-સંગીત, નૃત્ય અને અભિનય દ્વારા પ્રતિભા ઉજાગર કરવાની તક,સામાજિક જાગૃતિ અભિયાન, જેમાં બાળકો દ્વારા સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને સામાજિક સૈનિક તરીકે સંકલ્પ,આ કેમ્પની વિશિષ્ટતાઓમાંથી સૌથી ખાસ વાત હતી  બાળકોને પોતાનું પરિચય,દેશના સૈનિક તરીકે અપાવવાનો વિચાર, સમાજમાં પરિવર્તન લાવવો હોય તો સામાન્ય બનીને, નમ્ર બનીને, ભાઈચારો અને એકતા લાવવી જોઈએ તેવો આ કેમ્પનો મેસેજ હતો. બાળકોને કહેવામાં આવ્યુ કે,સાહેબ બનીને નહી, સામાન્ય બનીને પરિવર્તન લાવી શકશે. અને એ એક સૈનિક જ કરી શકે છે,જે રીતે દેશના સૈનિકો સરહદે રક્ષણ આપે છે, તેમ સમાજના આંતરિક દુશ્મનો સામે લડવું એ સામાજિક સૈનિકોનું કાર્ય છે. તેઓ ૨૨ પ્રકારની બરબાદીથી સમાજને બચાવવા કાર્યરત રહે છે જેમ કે અસમાનતા, વ્યસન, લૈંગિક ભેદભાવ, અશિક્ષણ વગેરે.
છાંયા લીરબાઈ પાર્ક ખાતે આવેલ માતા રમાબાઈ પાર્કમાં શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો.જેમાં બાળકો દ્વારા નૃત્ય, ગીતો, વકૃત્વ, શોર્ટ ડ્રામા, જેવા વિવિધ આયટમ્સ રજુ કરી હતી, જેમાં બાળકોએ આત્મવિશ્વાસ સાથે મંચ પર પોતાની પ્રતિભા વ્યક્ત કરી, એ જોઈને માતા-પિતાઓ ભાવવિભોર થઈ ગયા. ઘણા વાલીઓએ તો મંચ પર જ પોતાનો ઉદગાર વ્યક્ત કર્યો હતો.એક વાલીનો સંદેશ હતો "અમોને એવું લાગતું હતું કે મારું બાળક શાંત છે અને ધીમું શીખે છે.પણ આજે એને મંચ પર બોલતો જોઈને લાગે છે કે એમાં ઘણું છુપાયું છે, જેને આ કેમ્પે બહાર લાવ્યું છે."
આ કેમ્પની સફળતા પાછળ મુળ નિવાસી સમાજના દરેક વર્ગના લોકોનો સહકાર રહેલો છે.મજુરી કરતા વ્યક્તિઓથી લઈને અધિકારીઓ સુધીના લોકો, સૌ-કોઈએ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાનો સમય, હુનર વિગેરે યોગદાન આપ્યું. કોઈએ સમય આપ્યો, કોઈએ ભોજનમાં મદદ કરી, તો કોઈએ બાળકો માટે શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવ્યા. આ એક જીવન્ત ઉદાહરણ હતું સામુહિક જાગૃતિનું. આ વર્ષે પોરબંદર શહેરના ત્રણ વિસ્તારો  છાયા, કડિયાપ્લોટ અને નરસંગટેકરી આવરી લેવામાં આવ્યા હતા.કેમ્પના સંચાલકો હવે આગામી સમયથી પોરબંદરના દરેક શહેરી વિસ્તારોમાં આ કેમ્પની પહોંચ વધારવાનો સંકલ્પ ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application