કડક હાથે કામ લેવાની તંત્રએ કરી જાહેરાત

  • April 01, 2025 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેર અને જિલ્લામાં વરસોથી જમીન માફિયાઓ અનેક જગ્યાએ જમીન પર દબાણ કરીને બેસી ગયા છે. અમુક જગ્યાએ તો ગેરકાયદેસર બાંધકામો ખડકાઇ ગયા છે અને વખતોવખત ચેતવણી આપવા છતાં દબાણો દૂર થયા નથી તેથી પોરબંદરના વહીવટીતંત્રએ પહેલી એપ્રિલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે દબાણ દૂર કરવા માટે ઉચ્ચકક્ષાએથી મળેલા આદેશ પ્રમાણે છૂટો દોર આપી દેવાયો છે અને ભલભલા ચમરબંધીઓને છોડવામાં આવશે નહીં. તેથી હજુ પણ સ્વેચ્છાએ દબાણ દુર કરી દેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
પોરબંદરના જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેકટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહત્વની ચર્ચાઓ થઇ હતી જેમાં પ્રેસના માધ્યમથી કલેકટરને ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે પોરબંદર શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર જમીન દબાવનારાઓ સામે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહીના આદેશ છૂટયા છે તે અનુસંધાને પોરબંદર જિલ્લામાં પણ આવા દબાણકારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે કયાંય પણ કોઇપણ પ્રકારનું સરકારી કે ગૌચરની જમીન ઉપર  દબાણ થયુ હોય તો સ્વેચ્છાએ દુર કરી લેવુ જો જાતે દૂર કરવામાં નહી આવે તો વહીવટીતંત્રને ડીમોલીશન કરવાની ફરજ પડશે અને વધુ કડક કાર્યવાહી થશે તેમ પણ ચેતવણી આપી છે. 
જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યુહતુ કે સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે દબાણકારોને સૌપ્રથમ નોટીસો આપવામાં આવી છે અને તેઓ જે જગ્યા પર વસવાટ કરે છે અથવા કબ્જો જમાવ્યો છે તેની કાયદેસરતાના પૂરાવા રજૂ કરવા માટે તક આપવામાં આવી છે. જો પૂરાવા રજુ નહી થાય તો તે જગ્યા ત્વરિત ખાલી કરીને જતા રહેવાનું રહેશે. અન્યથા તંત્ર ડીમોલીશન કરી નાખશે એટલુુંજ નહી પરંતુ ચોમાસામાં પોરબંદર શહેરમાં વરસાદીપાણીનો ભરાવો થાય નહી તે માટે કયાંય પણ પાણીના વહેણ પર દબાણ કરવામાં આવ્યા હશે તો તેને પણ દૂર કરી નાખવામાં આવશે. પાણી રોકનારા તત્વો સામે કડક હાથે કામ લેવા આદેશ અપાયા છે. 
વધુમાં માહિતી આપતા જણાવાયુ હતુ કે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ આ મુદે દબાણ હટાઓ ઝુંબેશ શ‚ થઇ ચૂકી છે અને ઇમ્પેકટ ફી નિયમ મુજબ નહી ભરવામાં આવે તો દબાણ દૂર કરવા માટે કામગીરી થશે અને જ‚ર જણાય તો અન્ય જિલ્લામાંથી મશીનરી અને માણસોને બોલાવીને ડીમોલીશન કરવામાં આવશે. 
ગ્રામ્ય પંથકમાં થયેલા દબાણ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યુ હતુ કે જો ગામડામાં  વાડીઓના રસ્તાઓ દબાવીને સાંકડા કરનારા ખેડૂતો સ્વેચ્છાએ તેમનું દબાણ દુર નહી કરે તો  તંત્રએ છુટો આદેશ આપીને જે.સી.બી. દ્વારા દીવાલો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પોરબંદર જિલ્લાભરમાં તેના માટેની કામગીરીનું સામૂહિક મહાઅભિયાન દબાણ હટાવવા માટે કરવામાં આવનાર છે ત્યારે લોકો પણ સ્વેચ્છાએ જ દબાણ દૂર કરી દે તે ઇચ્છનીય છે તેમ જણાવાયુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application