રાજસ્થાનથી આવેલા ૩૯ કિલો ગાંજાની ભાગબટાઈ થાય એ પહેલાં જ ત્રિપુટીને એસઓજીએ દબોચી

  • June 28, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કોઠારિયા રોડ પર રણુજા મંદિર નજીક સોમનાથ સોસાયટી–૧માં એસઓજીએ દરોડો પાડી ત્રણ શખસોને ૩૯,૪૫૦ કિલોગ્રામ ગાંજાના જથ્થાના પાંચ બાચકા સાથે દબોચી લીધા હતા. રાજસ્થાનથી જથ્થો આપવા એક શખસ આવ્યો હતો. રાજકોટના બન્ને શખસો જથ્થાની ભાગબટાઈ કરે એ પૂર્વે જ ત્રણેયને ઝડપી લઈ આજી ડેમ પોલીસને એનડીપીએસના ગુના હેઠળ સોપવામાં આવ્યા હતા.
સોમનાથ સોસાયટીમાં રહેતા વજેનાથ ભગવાનનાથ ગોસ્વામી ઉ.વ.૨૪ના ઘરમાં ગાંજો ઉતર્યાની અને કટિંગ (ભાગ બટાઈ) થવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી. જે આધારે પીઆઈ જે.એમ.કૈલાની સૂચનાથી પીએસઆઈ એમ.જે.આહિર, ડી.બી.ખેર, ફિરોઝ રાઠોડ તથા ટીમે દરોડો પાડયો હતો. પોલીસે ઘરમાં જઈ તલાસી લેતાં અંદર ગાંજાનો છૂટા પાડેલા પાંચ બાચકા મળી આવ્યા હતા. ગાંજો મગાવનારા રાજકોટના બે શખસો વજેનાથ તેમજ નાનામવા રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતો આશુ શ્રીનારાયણ કુશવાહ ઉ.વ.૩૫ તેમજ રાજસ્થાનથી ગાંજાનો જથ્થો સપ્લાય કરવા આવેલો બાબુલાલ ભારમલજી બિશ્નોઈ ઉ.વ.૪૪ રહે.ઢાકે કી ઢાણી જૈસલ ગામ સાંચોર જાલોર રાજસ્થાન રંગે હાથ પકડાયા હતા.
આરોપીઓ પૈકી બાબુલાલ અમદાવાદથી બસ મારફતે રાજકોટ ગાંજાનો જથ્થો લઈને પહોંચ્યો હતો. આશુ કુશવાહ નામનો શખસ અગાઉ આમ્ર્સ એકટ તેમજ પ્રોહિબિશનના ગુનામાં સપડાઈ ચૂકયો છે. રાજકોટના બન્ને શખસો કેટલાક સમયથી જથ્થો મગાવતા હતા. બાબુલાલ અગાઉ પણ જથ્થો સપ્લાય કરવા આવ્યો હતો અન્ય કોઈને પણ ગાંજો આપતા હતા કે કેમ સહિતની આશંકા સાથે પોલીસે ત્રિપુટીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે


કોઈને ખ્યાલ ન પડે એટલે ગાંજાને વેકયુમ પેક કરીને લવાયો હતો
ગાંજો વજનમાં હલકો અને છૂટો વધુ હોય છે જેથી મોટી માત્રા દેખાય અને આવી રીતે કોથળાઓ કે આવી રીતે ભરીને રખાય છે. રાજસ્થાનથી આ ઢબે ગાંજો લાવે તો પકડાઈ જવાની દહેશત રહે માટે વેકયુમ કરીને એકદમ દબાવી દઈ એરટાઈટ પેક કરીને થેલામાં આ પેકેટ ભરીને ગાંજો રાજકોટ લવાયો હતો. જે રીતે વેકયુમ કરીને ગાંજો લવાયો એ પ્રમાણે સપ્લાય બાબુલાલ ગાંજાના ધંધાનો જાણકાર અને અગાઉ પર આવી રીતે ગાંજા સપ્લાઈ કરી ચૂકયો હોવાની શકયતા છે. વેકયુમ પેકમાંથી ગાંજાની ડાળખી, પાંદડા સહિતના છૂટા પાડીને અહીં કોથળામાં ભરાયા હતા


મોટો ભાઈ હજી ગાંજાના કેસમાં જેલમાં છે ત્યાં નાનો પણ સપડાયો
સોમનાથ સોસાયટીમાં જય મુરલીધર આદેશ નામના ભાડાના મકાનમાં રહેતો અને ઘરમાં ૩૯ કિલો જેવા ગાંજાના જથ્થાનો સંગ્રહ કરતા વજેનાથ ગોસ્વામી અને તેની સાથે અન્ય બે આજે એસઓજીના હાથે સપડાયા છે. વજેનાથનો મોટો ભાઈ અગાઉ એકાદ વર્ષ પૂર્વે ગાંજાના કેસમાં પોલીસના હાથે પકડાયો હતો અને હજી જેલમાં હોવાનું જાણવા મળે છે. મોટો જે ગુનામાં જેલમાં છે આમ છતાં નાનો ન સુધર્યેા અને મોટાનો જ ધંધો અપનાવતા હવે એ પણ જેલમાં પુરાશે. પકડાયેલા બન્ને રાજકોટમાં નાના નાના ધંધાર્થી કે બંધાણીઓને છૂટક વેચાણ કરતા હતાની પોલીસને માહિતી મળી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application