ગોકુલનગરમાં લુખ્ખાઓની ટોળકીનો આતંક: વેપારીને મારમારી ૧.૧૪ લાખની મત્તાની લૂંટ

  • April 14, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
નવા થોરાળામાં દુકાનેથી ચીજવસ્તુઓ લઇ જઇ પૈસા ન આપતા શખસને સમજાવવા ગયેલા યુવાન પર સાત શખસોએ હુમલો કરી 1.07 લાખનો દોઢ તોલાનો સોનાનો ચેઇન અને મોબાઈલ સહિત 1.14 લાખ મત્તા ચીજ વસ્તુઓ બળજબરીથી પડાવી લઇ ધમકી આપતા યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી થોરાળા પોલીસે છ શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.આરોપીઓ પૈકી એક આરોપી પીઆઇ પર હુમલા પ્રકરણમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.


નવા થોરાળાના ગોકુલપરામાં રહેતા હરેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૪) એ ફરિયાદમાં આરોપી તરીકે કેવલ સોદંરવા, શામજીભાઇ મકાભાઇ મકવાણા,દીલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઇ ચૌહાણ,અજયભાઇ જાદવ,નાગેશ ઉર્ફે છોટુ શામજીભાઇ મકવાણા અને રોહીત ઉર્ફે બાઠી રાઠોડના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે રાયોટ અને બળજબરીથી વસ્તુ પડાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


હરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.૧૧/૦૪ના રાત્રીના તે પોતાના ઘરે હતા ત્યારે તેમના માતાએ કહ્યું કે,નવા થોરાળામાં રહેતો કેવલ દુકાનેથી ચીજ વસ્તુઓ લઇ જઇ અને પૈસા આપતો નથી પૈસા માંગીએ તો દુકાન બંધ કરી દેવાનું કહે છે.ત્યાર બાદ હરેશભાઈ કેવલના ઘરે ગયા ત્યારે કેવલ ત્યાં હાજર હતો નહીં અને શામજીમામાને આ હકીકત જણાવી અને બાદમાં કેવલ અંગે પૂછ્યું હતું અને બાદમાં તેમણે તેમના ઘરે આવવાનું કહેતા ત્યાં હરેશભાઈ અને કાકા નિલેશભાઈ પરમાર પહોંચતા ત્યાં કેવલ સોદંરવા,શામજીભાઇ મકાભાઇ મકવાણા, દીલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઇ ચૌહાણ,અજયભાઇ જાદવ,નાગેશ ઉર્ફે છોટુ શામજીભાઇ મકવાણા અને રોહીત ઉર્ફે બાઠી રાઠોડ હતા.બાદમાં શામજીભાઈને હકીકત જણાવતા તમામ આરોપીઓ એક સંપ થઈ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા.


આ સમયે હરેશભાઈએ ગળામાં પેહરેલ સોનાનો ચેઇન આશરે દોઠેક તોલાનો જેની આશરે કિ.રૂ. ૧,૦૭,૦૦૦ નો તથા હાથમાં રહેલ મોબાઇલ જેના કવરમાં રોકડા રૂ પીયા ૨૫૦૦ હતા તે રોકડા રૂપીયા સહીતનો મોબાઇલ ફોનની કિ.રૂ. આશરે ૭,૫૦૦ ગણી શકાય તે સોનાનો ચેઇન તથા મોબાઇલ ફોન બન્ને ઝઘડો કરવા વાળા કોઇએ જુટવીને લઇ લીધેલા તેમજ બાદમાં મોબાઈલ તૂટેલી હાલતમાં સુરેશ નામનો વ્યક્તિ પરત આપી ગયો હતો.આ મામલે હરેશે માથાકૂટથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આરોપીઓ પૈકી શામજી થોરાળા પોલીસ મથકના તત્કાલીન પીઆઇ બી.એમ.ઝણકાંટ પર હુમલા પ્રકરણમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application